
આજે 21 મેને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં પાટણના ત્રણ યાત્રિકો ડૂબ્યા હોવાની ઘટના બની હતી. જેમાં એકનો બચાવ થયો છે જ્યારે ડૂબેલા બે વ્યક્તિઓની શોધખોળ યથાવત રાખવામાં આવી છે. બે યાત્રિક ગોમતી નદીમાં લાપત્તા થઇ જતા સ્થાનિક તરવૈયા તેમજ નગરપાલિકા ફાયર ટીમની કામગીરી યથાવત રાખવામાં આવી છે. સ્કુબા ડ્રાઈવરની મદદ લેવામાં આવી છે, જેથી ડૂબેલા બન્ને યાત્રિકોની શોધખોળ સરળતાથી થઈ શકે. ઘટનાની જાણ થતા જ SDM અને પોલીસ અધિકારી સહિતનો સ્ટાફ ધટના સ્થળે પહોંચ્યો હતો.
મોરબી રાજકોટ હાઇવે પર ખજુરા હોટલ નજીક રૂપિયા એક કરોડની લૂંટ થઈ છે. લૂંટની જાણ થતા જ જિલ્લાની પોલીસે દોડાદોડી કરી મુકી હતી. એક કરોડની માતબાર રકમની લૂંટના કેસને ગંભીરતાથી લઈને પોલીસે સમગ્ર મોરબી જિલ્લામાં નાકાબંધી કરી નાખી હતી. ધોળા દિવસે વાહનવ્યવહારથી ધમધમતા મોરબી રાજકોટ હાઇવે પર લૂંટની ઘટના બનતા મોરબીની પોલીસ ઉપર સવાલીયા નિશાન લાગી ગયા હતા. પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા હતા. મોરબીમાં પોલીસની ધાક ઓસરી જતા ગુનેગારો બેફામ બન્યા હોવાની ચર્ચાઓ થઈ રહી હતી.
મોરબી પોલીસે કરેલ નાકાબંધીને કારણે, પોલીસને આખરે સફળતા પણ મળી હતી. બે કાર સહિત બે લૂંટારૂ પોલીસના હાથે ચડયા હતા. લૂંટારૂઓ પાસેથી લૂંટમાં ગયેલી કેટલીક રોકડ પણ પોલીસે કબ્જે કરી. લૂંટ કરી લૂંટારૂઓ જામનગર જિલ્લા તરફ નાસી ગયા હતા. પરંતુ નાકાબંધીને કારણે મોરબી તરફ આવતા જ પોલીસે રાઉન્ડ અપ કર્યા.
કેન્દ્ર સરકાર દ્વારા ‘રવિ માર્કેટિંગ સિઝન 2025-26’ અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે રૂ. 2425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂ. 150 પ્રતિ ક્વિન્ટલ બોનસ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ‘રવિ માર્કેટિંગ સિઝન 2025-26’ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવી રહી છે. ઘઉંની પ્રાપ્તિની સમયમર્યાદા તા. 31 મે, 2025 સુધી નિયત કરેલ હોવાથી રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવ ઉપરાંત રૂ. 150 પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે વધારાના ચુકવવામાં આવશે, જેનો લાભ લેવા તમામ ખેડુતમિત્રોને વિનંતિ છે, તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ની યાદીમાં જણાવ્યું છે.
ભારતે, પાકિસ્તાન હાઈ કમિશનના વધુ એક અધિકારીને ભારત છોડવાનો આદેશ આપ્યો છે. આ અધિકારીને તેની કામગીરીને લઈને 24 કલાકની અંદર જ દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વઢવાણમાં ધોળે દિવસે છરીના અસંખ્ય ઘા મારીને યુવતીની કરાયેલ હત્યાની વિરુદ્ધમાં મહિલાઓ રોડ પર ઉતરી છે. દેખાવકર્તા મહિલાઓનું કહેવું છે કે, આત્મસન્માન માટે દેખાવો કરાઈ રહ્યાં છે. ન્યાયની માંગ સાથે સુરેન્દ્રનગર – રાજકોટ બાયપાસ હાઇવે મહિલાઓ દ્વારા કરાયો ચક્કાજામ તો તેની સાથેસાથે સુરેન્દ્રનગર ભાવનગર રેલવે ટ્રેક પર આવીને મહિલાઓએ ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હતો,
19 વર્ષીય યુવતીને છરીના 15 ઘા મારીને નિર્મમ હત્યા કરી નાખવામાં આવી હતુ. હત્યારા આરોપી સામે પોલીસ દ્વારા કડક પગલાં ના ભરાતા હાઇવે કરાયો બ્લોક કરાયો હોવાનું કહેવામાં આવ્યું છે. વાહનોની લાંબી કતારો લાગી જવા પામી છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી. આરોપીનું જાહેરમાં સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવા અંગેની માંગ કરવામાં આવી હતી. વઢવાણમાં મહિલાઓ સુરક્ષિત નથી એવુ ફલિત થઈ રહ્યું છે. વઢવાણમાં છેડતી અને મહિલાઓની સતામણીની ઘટનાઓ સતત બની રહી છે. સ્વમાન માટે મહિલાઓ રોડ પર ઉતરી હોવાનું પોલીસને કહેવામાં આવ્યુ છે.
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને આગામી 30મી જૂન 2025 સુધી નર્મદાનું 30689 MCFT પાણી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઉત્તર ગુજરાતના 950થી વધુ તળાવો તથા સૌરાષ્ટ્રના 243 તળાવો અને 1820 ચેકડેમમાં નર્મદા જળ આપવામાં આવશે. જેના કારણે 60 હજાર એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. ભૂપેન્દ્ર પટેલના નિર્ણયને પગલે, તદઅનુસાર, ઉત્તર ગુજરાત માટે નર્મદાનું 14539 MCFT અને સૌરાષ્ટ્ર માટે 16150 MCFT પાણી આપવામાં આવશે.
ગુજરાતમાં ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારમાં વિશ્વાસ ના હોય એ રીતે અમરેલીના સાંસદ અને ધારાસભ્યોએ સામુહિક રજૂઆત કરી હતી. આ રજૂઆતોમાં ખેડૂતોને ખાતરની પડતી સમસ્યાનો નિવેડો લાવવા અરજ કરવામાં આવી હતી. તો બીજી બાજુ અમરેલી જિલ્લાના રેલવેને લગતા પ્રશ્નો પણ ઉકેલાતા ના હોવાની ફરિયાદ રેલવે પ્રધાન અશ્વિનીકુમાર સમક્ષ કરવામાં આવી હતી. નીતિન ગડકરી સમક્ષ, અમરેલી જિલ્લાના નેશનલ હાઈવે સહિતના પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. ટૂંકમાં અમરેલી જિલ્લાના વર્ષોથી કેન્દ્ર સરકારને લગતા પડતર પ્રશ્નો ઉકેલવા માટે ભાજપના સાંસદ અને અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યોએ સંબધિત મંત્રીઓ સમક્ષ રજૂઆતો કરી હતી.
સુરતમાં ભાજપના નેતા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. સુરતના માંગરોળ પોલીસ મથક ખાતે સુરત જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી, બોરસદ દેગડીયા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. બોરસદ દેગડીયા ગામે સરકાર દ્વારા આશ્રમ શાળાના નવા 9 ઓરડા મંજૂર કર્યા હતા. 9 ઓરડાને બદલે 08 ઓરડા જ બનાવામાં આવ્યા હતા. રૂ 4.65 લાખની ઠગાઈ સરકાર સાથે કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે. વિપક્ષની રજુઆત બાદ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતા આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. માંગરોળ તાલુકા વિકાસ અધિકારીએ માંગરોળ પોલીસ મથક ખાતે ફરિયાદ આપી હતી. જેના અનુસંધાને પોલીસે હર્ષદ ચૌધરી સહિતના શખ્સોની અટક કરી હતી.
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં બાળલગ્ન કરાવાતા ફરિયાદ થઈ છે. 14 વર્ષની સગીરાનાં 19 વર્ષનાં યુવક સાથે નિકાહ થયા છે. સગીરાના પિતાએ પોતાનાં નાના ભાઈનાં દિકરા સાથે કરાવ્યા નિકાહ. પોલીસને મળેલી નનામી અરજીની તપાસમાં થયો ખુલાસો. લગ્ન કરનાર યુવક અને કાઝી સહિત 7 સામે નોંધાયો ગુનો. ગાયકવાડ હવેલી પોલીસે લગ્ન કરનાર યુવક, મૌલવી સહિત 7 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
માળિયા મિયાણાના દહીસરા ગામે ફાયરિંગનો બનાવ બન્યો છે. ખાનગી ગોળીબારમાં તરુણ ગામી નામનો યુવક ઈજાગ્રસ્ત થયો છે. જેને સારવાર અર્થે રાજકોટ ખસેડયો છે. યુવકની કાર મોરબીના ખાખરાળા ગામ પાસે મળી આવી છે. બનાવની હકીકત યુવક સ્વસ્થ થયા બાદ સામે આવશે. ગઈકાલે રાત્રે બનેલ બનાવ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. હાલ પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
હવામાનની બાબતોના જાણકાર પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. અરબ સાગરમા લો પ્રેશર બન્યું છે. જે હવે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી સંભાવના રહેલી છે. હાલ અરબ સાગરમા વાવાઝોડું બને તેવા પરિબળો સક્રિય થયા છે. આગળ જતા આ લો પ્રેશર વાવાઝોડું બની શકે છે. જો વાવાઝોડું બનશે તો, તે શક્તિ તરીકે ઓળખાશે. વાવાઝોડુ શક્તિ નામ શ્રીલંકા તરફથી આપવામાં આવશે.
સુરત: ચિલ્ડ્રન બેન્ક નોટો સાથે બે શખ્સ ઝડપાયા છે. પોલીસે 63 હજાર 879 ચિલ્ડ્રન બેન્કની નોટો જપ્ત કરી. નોટોના પાર્સલમાં 500ના દરની અસલી 112 નોટ ઝડપાઈ. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવહી હાથ ધરી.
છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ પુષ્ટિ આપી છે કે નક્સલીઓ સાથેની અથડામણમાં 26 નક્સલીઓ માર્યા ગયા છે. જોકે, આ એન્કાઉન્ટરમાં એક સૈનિક શહીદ થયો હતો જ્યારે એક સૈનિક ઘાયલ થયો હતો.
રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધી 4 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં રેડ એલર્ટ છે. દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં યલો એલર્ટ છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાની એન્ટ્રીથી સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ થઇ રહી છે. સિવિલ હોસ્પિટલમાં વિશેષ વોર્ડ તૈયાર કરાયો છે. PPE કીટ ,ટેસ્ટીંગ કીટ અને દવાનો જથ્થો તૈયાર કરાયો. ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધાથી હોસ્પિટલ સજ્જ કરાયા છે. તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ એલર્ટ પર છે.
ભાવનગર: જેસર તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. બિલ્લા, કોબાડીયા, છાપરીયાળી, તાતણીયા, માતલપરમાં વરસાદ, દેપલા, આયાવેજ, બેડા, ડુંગરપર પણ વરસ્યો વરસાદ. કસમયનો વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે.
અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ધારી ગીર પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ધારી, ખીચા, નવાગામ, આંબરડી તાલુકામાં વરસાદ વરસ્યો છે. છતડીયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો.
ગુજરાતમાંસિંહની વસતીનો આંકડો જાહેર કરવામાં આવ્યો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સત્તાવાર આંકડો જાહેર કર્યો. ગુજરાતમાં હાલ 891 સાવજ છે. વર્ષ 2020માં ગુજરાતમાં અંદાજે 674 સિંહ હતા. વર્ષ 2025માં 891ને સાવજનો આંક આંબી શકે છે. 5 વર્ષમાં સિંહોની વસતીમાં 217નો વધારો થયો છેય 11 મે થી 13 મે વચ્ચે થઈ હતી સિંહોની વસતી ગણતરી હાથ ધરાઇ હતી.
રાજ્યમાં 24 કલાકમાં 31 તાલુકામાં વરસાદ પડ્યો. સૌથી વધુ વિસાવદરમાં 2.44 ઈંચ વરસાદ વરસ્યો. કોટડાસંગાણીમાં 1.85 ઈંચ વરસાદ નોંધાયો. અમરેલીના કુકાવાવમાં 1.61 ઈંચ , ગોંડલમાં 1.57 ઈંચ વરસાદ, કુલ 9 સ્થળોએ 1થી વધુ ઈંચ વરસાદ પડ્યો.
દાહોદ: પાતા તળાવમાં ભાઇ-બહેન ડૂબ્યા છે. 9 વર્ષીય બહેન અને 11 વર્ષીય ભાઇનું મોત થયુ. ફાયર વિભાગે બંનેના મૃતદેહ બહાર કાઢ્યા. બંને મામાના ઘરે વેકેશન મનાવવા ગયા હતા. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે.
ગાંધીનગર મનપાએ પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરી છે. પ્રિ-મોન્સૂન કામગીરીમાં મુખ્યત્વે નાલા, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનની સફાઈ, રોડ-પેચ કામ, રસ્તાઓની જાળવણી, પાણીના રસ્તા ખુલ્લા રાખવા જેવી કામગીરી આવરી લેવામાં આવી છે..શહેરમાં જ્યાં વધુ પાણી ભરાતા હોય તેવા વિસ્તારમાં ખાસ તકેદારી રાખવામાં આવશે.
અમદાવાદના ચંડોળા તળાવમાં ફેઝ-2 ડિમોલિશનનો આજે બીજી દિવસ છે. આજથી AMC કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરશે. ગઈકાલે 3 હજાર પોલીસકર્મીના બંદોબસ્ત સાથે 35 જેસીબી અને 15 હિટાચી મશીનની મદદથી 8 હજાર 500 કાચા-પાકા મકાનો જમીનદોસ્ત કરાયા હતા.. આ કામગીરીમાં 350થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ કામગીરીમાં જોતરાયા હતા.
રાજ્યમાં હવે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. બુધવારથી રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. 22, 23, 24 તારીખે ભારે વરસાદની આગાહી છે. અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડશે. 25 તારીખે છૂટાછવાયા વરસાદની આગાહી છે. 23 અને 24 તારીખ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય છે.
12 નાપાસ યુવકોનો દેશ વિરોધી ચહેરો ATSએ ખુલ્લો પાડ્યો છે. આરોપીઓએ યુટ્યુબ અને અન્ય વબેસાઈટથી ટૂલ્સ અને ભાષાનું જ્ઞાન મેળવ્યું અને સરકારી વેબસાઈટ પર એટેક કરી ટેલિગ્રામ ચેનલમાં માહિતી શેર કરી. ઑપરેશન સિંદૂર બાદ એક્ટિવ થયેલા સાયબર ટેરર મામલે ગુજરાત ATSને મોટી સફળતા મળી. ATSની ટીમે નડીયાદથી બે શંકાસ્પદ સાયબર ટેરરિસ્ટની ધરપકડ કરી. ધરપકડ કરાયેલા શખ્સમાં જસીમ અંસારી અને અન્ય એક સગીર પણ સામેલ છે. આરોપીઓએ ઓપરેશન સિંદૂર બાદ મહત્વની સરકારી વેબસાઈટ પર એટેક કર્યો હતો. મહત્ત્વપૂર્ણ વેબસાઇટને હેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. ભારત સરકારની ઘણી વેબસાઇટને ટાર્ગેટ કરી હતી. આરોપીઓ વેબસાઈટ હેક કર્યા બાદ તેના સ્ક્રિન શોટ્સ અને દેશ વિરોધી નિવેદનો ટેલિગ્રામના ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ATSએ આરોપી જસીમ અંસારીને નડિયાદની કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
Published On - 7:36 am, Wed, 21 May 25