
આજે 14 જુન બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ વાંચો બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વાવાઝોડા બિપરજોયની અસર હેઠળ ગુજરાતના અનેક જિલ્લામાં રાત્રે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. નાઉકાસ્ટ જાહેર કરીને હવામાન વિભાગે આગાહી કરી છે કે, 40 કિમીની ઝડપે પવન ફુંકાવાની સાથે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા જિલ્લામાં વરસાદ પડશે. કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારે પવન ફુંકાવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કોલકાતા એરપોર્ટ પર ભીષણ આગ લાગી છે. ત્રણ ફાયર ફાયટર આગને કાબુમાં લેવા પ્રયાસ કરી રહ્યું છે. આગના કારણે ત્યાં હાજર મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આગ ચેક-ઈન કાઉન્ટર પાસે લાગી હતી. આગ કેવી રીતે લાગી તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી.
રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત બિપરજોય વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જૂનાગઢમાં 4604, કચ્છમાં 34300, જામનગરમાં 10000, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 5035, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6089 એમ કુલ 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 74345 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરાંત ફૂડ પેકેટ, વીજ થાંભલાઓ અને પાણી પુરવઠાની પૂરતી તૈયારી પણ કરવામાં આવી છે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, સી.એમ. ડેશબોર્ડ દ્વારા બિપરજોય વાવાઝોડાની સંભવિત આપત્તિને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાથી 0થી 5 તથા 5થી 10 કિ.મી. વિસ્તારના 164 ગામોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સરપંચોને સ્થળાંતર અંગેની તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર-સોમનાથ જિલ્લાના ગામોના સરપંચોનો સી.એમ. ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્ર મારફતે સંપર્ક કરીને તેમના ગામોની સ્થિતિની માહિતી મેળવી હતી.
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે, બિપરજોય વાવાઝોડાથી સંભવિત નુકસાન પામનાર કચ્છ, દ્વારકા, જામનગર અને સોમનાથ જિલ્લાનાં 164 ગામના સરપંચો સાથે વાતચીત કરી છે. 164 ગામોનો સીએમ ડેશબોર્ડ થકી સંપર્ક કરાયો હતો. સંભવિત અસરગ્રસ્ત ગામોમાં સંદેશા વ્યવહાર જળવાઈ રહે એ માટે કલેકટરોને સૂચના પણ અપાઈ છે.
વાવાઝોડા બિપરજોયની અસર હેઠળ ફુંકાયેલા પવનને કારણે, મોરબીના વાંકાનેર લુણસર રોડ પર આવેલ ફેકટરીના પતરા ઉડ્યા. લુણસર રોડ પર આવેલ લીટો સિરામિક ફેકટરીના સિમેન્ટના પતરા ભારે પવનને કારણે તૂટી પડ્યા છે. જો કે આ બનાવમાં કોઈ જાનહાની સમાચાર સામે આવ્યા નથી.
દિવસ ભર ભારે ઉકળાટ રહ્યાં બાદ સાંજે ગાંધીનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. વાવાઝોડા બિપરજોયની અસરને કારણે, ગાંધીનગરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
અમદાવાદમાં પણ વિનાશક વાવાઝોડા બિપરજોયની અસર જોવા મળી છે. વાવાઝોડાને કારણે, આજે સાંજે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વસ્ત્રાપુર, ઘાટલોડિયા, જોધપુર સહીતના વિસ્તારમાં અચાનક વરસાદ તુટી પડ્યો હતો.
વાવાઝોડા બિપરજોયની આફતથી ઝઝૂમી રહેલા કચ્છ જિલ્લામાં ભૂકંપનો આંચકો આવ્યો છે. આજે સાંજે કચ્છના ભચાઉમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 5 કિમી દૂર નોંધાયું છે. જો કે, ભૂકંપને કારણે જાનમાલને નુકસાનના કોઈ અહેવાલ નથી. પરંતુ ભૂકંપના આંચકાને કારણે શ્રણિક ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો.
બિપરજોય વાવાઝોડાને લઈ તમામ દરિયામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. જેની વચ્ચે દ્વારકા મંદિર એક દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોની મદદ માટે તપોવન સંસ્કારપીઠે આરંભ્યો છે. ગાંધીનગર જિલ્લાના અમિયાપુર ગામ પાસે આવેલા ત્યાગ ટ્રસ્ટ અને તપોવન સંસ્કારપીઠમાં અભ્યાસ કરી રહેલા બાળકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં લોકોની મુશ્કેલી ઓછી થઈ શકે તે માટે તાડપત્રી અને ટોર્ચ જેવી રાહત સામગ્રીની કિટ પણ તૈયાર કરવામાં આવી રહી છે.
Kutch : પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડાની ( Cyclone Biparjoy )આગેકૂચને લીધે ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. 5 દિવસ સુધી ભારે વરસાદ તથા પવનની આગાહી કરવામાં આવી છે. કુલ 8 જિલ્લાના 441 ગામે વાવાઝોડાનો સામનો કરવો પડશે. જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ સંભવિત જોખમ પણ વધી રહ્યુ છે.
ત્યારે સંભવિત વાવાઝોડાના સંકટ સામે પહોંચી વળવા તંત્રની તૈયારીઓ તેજ બની છે. અસરગ્રસ્ત તમામ 6 જિલ્લામાં સેટેલાઈટ ફોન એક્ટિવ કરાયા છે. વાવાઝોડા સમયે સંપર્ક યથાવત્ રાખવા સેટેલાઈટ ફોન એક્ટિવ કરાયા છે. ભૂજમાં (Bhuj) કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ( સેટેલાઈટ ફોનનો ડેમો કર્યો છે.
Cyclone Biparjoy : અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે. એક દિવસમાં કુલ 87 તાલુકામાં વરસાદ પડ્યો છે. દ્વારકાના (Dwarka) ખંભાળિયામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે નવસારીના દરિયા કિનારે બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દરિયામાં ભારે મોજા ઉછળતા આસપાસ નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે.
હજીરાથી મુંબઈ જતી ONGCની લાઈનને ભારે નુકસાન થયુ છે. દરિયામાં ભારે મોજા ઉછળતા ONGCની લાઇન બહાર નીકળી ગઇ છે. ONGCના અધિકારીઓએ સમારકામની કામગીરી હાથ ધરી છે. અગમચેતીના ભાગરૂપે બહાર નીકળેલી લાઈનને ઢાંકવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
Baba Vanga Predictions: આખી દુનિયા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરે છે. ભવિષ્યવક્તા બાબા વેંગાનું નામ વાંગેલિયા પાંડેવા ગુસ્તારોવા હતું, જે બલ્ગેરિયાની મહિલા ફકીર હતી. બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો. 12 વર્ષની ઉંમરે તેમની આંખોની રોશની જતી રહી હતી. 11 ઓગસ્ટ 1996ના રોજ 86 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. બાબા વેંગાએ તેમના મૃત્યુ પહેલા વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી.
Rajkot: રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની (Biparjoy Cyclone) પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાવચેતીના ભાગરૂપે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા બિપરજોય ચક્રવાતમાં સર્જાનાર સંભવિત પરિસ્થિતિ સામે સાવચેતી અને સલામતીના ભાગરૂપે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તો રાજકોટમાં બિપરજોય વાવાઝોડાના કારણે તમામ જનસેવા કેન્દ્રો તથા ઝોનલ પુરવઠા ઓફિસ 16 જૂન સુધી બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે.
Cyclone Biparjoy : અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગરમાં બિપરજોયના ખતરાને લઈ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
અંધાશ્રમ આવાસમાંથી 1500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. કોર્પોરેશનની ટીમે તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શેલ્ટર હોમમાં જમવા, રહેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાના ખતરાને લઈ શાળાઓમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
દ્વારકાના જગત મંદિર પરની ધ્વજા ખંડિત થઇ હોવાની માહિતી સામે આવી છે. શિખર પર લહેરાતી ધ્વજા ખંડિત થઇ છે. તેજ પવન અને વરસાદના કારણે મંદિરના શિખર પર ધ્વજા ચઢી નથી. પૌરાણિક માન્યતા મુજબ ધ્વજા ખંડિત થાય તે કોઈ મહત્વનું સૂચન હોય શકે છે.
Cyclone Biparjoy : હવામાન વિભાગે વાવાઝોડાના પગલે વરસાદની આગાહી કરી છે. બિપરજોય વાવાઝોડાને પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ (Rain) પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દેવભૂમિદ્વારકા, કચ્છમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડશે. આજે પોરબંદર, જામનગર, મોરબીના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પોરબંદર સિવિલ હોસ્પિટલમાં વીજળી ગુલ થઈ છે. બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવનની લીધે બે વિજપોલ અને એક વૃક્ષ ધરાશાયી થયુ છે. ફાયરબ્રિગેડ અને PGVCLની ટીમ દ્વારા કાટમાળ દુર કરવાની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે.
CM ભુપેન્દ્ર પટેલ 10 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા દરિયાકાંઠાના જિલ્લાઓના કલેક્ટર સાથે બેઠક કરશે. દરિયાકાંઠાના જિલ્લાઓ કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ તથા પાટણ અને બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર જોડાશે. સાથે જ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડાઓ અને રાજકોટ મહાનગર પાલિકા તેમજ જામનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર જોડાશે. તમામ જિલ્લાના પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા તથા મ્યુનિ. કમિશનરને જોડાશે.
સુરતમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સવારથી જ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
Gandhinagar: રાજ્યમાં પ્રવર્તી રહેલી ‘બિપરજોય વાવાઝોડા’ની (Cyclone Biparjoy) સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇને ઉદ્યોગ ગૃહોને સહાયરૂપ થવા રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના (BalvantSingh Rajput) હસ્તે ‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’ કાર્યરત કરાયો છે. આ ઉપરાંત હેલ્પ લાઇન નંબર 079-232-58385 પણ જાહેર કરાયો હતો.
બિપરજોય વાવાઝોડાને લઈને અદાલતી કાર્યવાહી બાબતે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ જે દેસાઈના નિર્દેશથી હુકમ બહાર પડાયો છે કે તમામ જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ વાવાઝોડાની અસરના સમયે પોતાના જિલ્લાની અદાલતો માટે સ્વયં નિર્ણય લઈ શકશે. અદાલતો ચાલુ કે બંધ રાખવા અંગેના નિર્ણય લેવાની સત્તા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજને અપાઈ છે. સ્થાનિક પ્રશાસન સાથેના સંકલન સહિતની સત્તા અને જવાબદારીઓ વાવાઝોડાના સમય પુરતી જિલ્લાના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજને અપાઈ છે.
બિપરજોય વાવાઝોડાને પગલે આજની કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે અને તમામ પ્રધાનોને સોંપેલા જિલ્લામાં જ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
Cyclone Biparjoy Update: દરિયામાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું, વાંચો લેટેસ્ટ અપડેટ
Published On - 6:15 am, Wed, 14 June 23