અમદાવાદમાં સર્જાયેલી ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે Lindy Cameron ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્લેન ક્રેશ દરમિયાન હોસ્ટેલ નજીક એક 15 વર્ષીય બાળકનું પણ કરુણ મોત થયું હતું. ચાની કિટલી ચલાવતા પરિવારના આ બાળકને યાદ કરીને પરિવારજનોએ ભાવુક બની શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઘટનાની વરસી નિમિત્તે સ્થાનિકો અને મૃતકોના સ્વજનોએ પણ દુર્ઘટનાને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં કારમાંથી એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઉતરાણ પોલીસ સ્ટેશન નજીક પાર્ક કરાયેલી ગાડીમાંથી મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ભારે કુતૂહલ ફેલાયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની ઓળખ તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં મીડિયાકર્મીઓ સાથે માર્શલો દ્વારા કરવામાં આવેલી ગુંડાગર્દીના મામલે પાલિકા કમિશનરે કડક કાર્યવાહી કરી છે. કમિશનરના આદેશ બાદ ત્રણ માર્શલ સહિત પાંચ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. મુખ્ય કચેરીમાં ફરજ બજાવતા ત્રણ માર્શલોને જુદા જુદા ઝોનમાં ખસેડવામાં આવ્યા છે. ગત રોજ નકલી ડિમોલિશન કાંડ મુદ્દે માહિતી મેળવવા આવેલી મીડિયા સાથે માર્શલોએ જીભાજોડ કરી હતી અને બાદમાં ધક્કામુક્કી પણ કરી હતી. ઘટનાને લઈને ભારે વિવાદ સર્જાતા પાલિકા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાણ ગામમાં સિંહણના હુમલામાં 7 વર્ષીય બાળકનું મોત થતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પરપ્રાંતિય પરિવારના બાળકને સિંહણે શિકાર બનાવ્યાની ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામલોકોએ જંગલી જાનવરોની વધતી અવરજવર સામે વનવિભાગ દ્વારા કડક અને અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વનવિભાગે હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી છે.
ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા નાગરિકોને હજુ થોડો વધુ સમય રાહ જોવી પડશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી એક અઠવાડિયા સુધી અમદાવાદમાં વરસાદની શક્યતા નહીંવત છે. વરસાદની રાહ વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેતા ઉકળાટમાં વધારો થવાની સંભાવના છે. શહેરમાં મહત્તમ તાપમાન 40થી 41 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થાય તેવી શક્યતા પણ દેખાતી નથી. બીજી તરફ ચોમાસું મધ્ય ભારત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને 15 જૂન બાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. ભાવનગર, અમરેલી અને દીવ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.
આજે 12 જૂનને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:50 am, Fri, 12 June 26