
આજે 07 ફેબ્રુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમેરિકા અને ભારત વચ્ચે થઈ રહેલી ટ્રેડ ડીલને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટે મહત્વપૂર્ણ ગણાવી છે.. તેમણે જણાવ્યું કે, આ ડીલથી આગામી સમયમાં ગુજરાતના અર્થતંત્રને નવી ઉંચાઈ મળશે. ખાસ કરીને રાજ્યના અગ્રણી ઉદ્યોગો જેવા કે ટેક્સટાઇલ, કેમિકલ્સ અને જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે આ ડીલ આશીર્વાદરૂપ સાબિત થશે અને નિકાસના નવા દ્વાર ખુલશે. સાથે તેમણે કહ્યું કે અમેરિકામાં ચીન, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોની પ્રોડક્ટ્સ પર વસૂલવામાં આવતી ઉંચી ડ્યૂટીનો સીધો ફાયદો હવે ભારતને મળશે. આને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ચીજવસ્તુઓને ફાયદો થશે..સાથે આ ડીલમાં કૃષિ અને ડેરી પ્રોડક્ટને દૂર રાખીને સરકારે ખેડૂતોના હિતનું પણ ધ્યાન રાખ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયા પહોંચ્યા છે. ત્યા PMનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.ભારતીય સમુદાયને મોદીએ સંબોધન કરતા કહ્યું કે આ ભવ્ય સ્વાગત આખો ભારત દેશ યાદ રાખશે. મલેશિયાની શાળામાં ભારતીય ભાષામાં અપાતાં શિક્ષણનો તેમણે ઉલ્લેખ કર્યો સાથે જ કહ્યું કે મલેશિયામાં ભારતીય સંગીત ખૂબ લોકપ્રિય છે. તેમણે મલેશિયામાં પ્રખ્યાત ભારતીય વાનગીઓનો પણ ઉલ્લેખ કર્યાો. એટલું જ નહીં સુભાષચંદ્ર બોઝની સેનામાં સામેલ મલેશિયાના જવાનોને તેમણે યાદ કર્યાં હતા.તેમણે એક મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે બહુ જલ્દીથી મલેશિયામાં ઓનલાઇન પેમેન્ટ માટે UPI લોન્ચ કરાશે. તેમણે વિકાસના પથ પર મલેશિયા અને ભારતની ભાગીદારી પર ભાર મૂક્યો હતો. મોદીએ કહ્યું કે ભારત મલેશિયામાં નવા કોન્સ્યુલેટ પણ ખોલશે.
ગાંધીનગર: માણસાના ધમેડામાં બે મૃતદેહ મળવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ખાનગી કંપનીના વાહને બાળકનો ભોગ લીધો હોવાની આશંકા સેવાઈ છે. અકસ્માતમાં બાદ પિતાની પણ હત્યા કરાઇ હોવાનો આરોપ લાગ્યો છે.
ઘટનાને દબાવવા પ્રયાસ થયાની આશંકા સેવાઈ છે. પિતાનો મૃતદેહ સળગાવી અને બાળકનો મૃતદેહ દાટી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ પરપ્રાંતીયની લાશ અડધી રાતે બાળવા મુદ્દે સવાલ ઉઠાવ્યા છે.
રાજકોટ: મહાદેવના મંદિરમાં ત્રાટક્યા તસ્કરો, ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મંદિરમાં ચોરી કરી. પુનિત સોસાયટીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં હાથફેરો કર્યો. બે જેટલા શખ્સોએ મોડીરાત્રે દાનપેટી તોડીને ચોરીને અંજામ આપ્યો. ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા . પોલીસે CCTVના આધારે 2 તસ્કરને ઝડપી પાડ્યા. ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત, મુદ્દમાલ જપ્ત.
અમદાવાદ મેટ્રો ટ્રેન સેવાનો સમય વધારવામાં આવ્યો છે. ICC T-20 વર્લ્ડ કપ 2026 ની કેટલીક મેચો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હોવાથી GMRC દ્વારા રાત્રિના સમય દરમિયાન બે સ્પેશ્યિલ ટ્રેન શરૂ કરવામાં આવશે. રાત્રિના 10 વાગ્યાથી મધરાત્રે 12.30 વાગ્યા સુધી મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન તથા સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકશે, મોટેરા સ્ટેડિયમથી એપીએમસી તેમજ વસ્ત્રાલ ગામથી થલતેજ પરના કોઈપણ મેટ્રો સ્ટેશન સુધી મુસાફરો મુસાફરી કરી શકશે.
ગીર સોમનાથ: કોડીનારમાં વીજ કરંટથી સિંહના મોત મામલે ગુનો નોંધાયો છે. વન વિભાગે ગેરકાયદે વીજ કરંટ લગાવનાર ખેડૂતની ધરપકડ કરી છે. કાજ ગામે ખેડૂત દ્વારા વાડીએ મૂકાયેલા ગેરકાયદે વીજ કરંટમાં સિંહ ફસાયો છે. 3 થી 4 વર્ષના સિંહને વીજ કરંટ લાગતા મોત થયુ છે. સ્થાનિક વન તંત્રની બેદરકારી ખુલ્લી પડી છે. DCF પ્રશાંત તોમરે ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટના ચાર દિવસ અગાઉની હોવાનું તપાસમાં ખુલ્યું છે. વન વિભાગને જાણ થતાં જ તપાસ હાથ ધરી
સાબરકાંઠા: ઈડરના કાનપુર પાસે ટેમ્પોની અડફેટે આધેડનું મોત થયુ છે. ભાણીનું મામેરુ ભરવાની તૈયારી દરમિયાન જ મામાનું મોત થયુ. રોડ ક્રોસ કરતી વેળાએ અજાણ્યા મીની ટેમ્પોએ અડફેટે લીધા. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ઈડર પોલીસે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
મહીસાગરમાં છેલ્લા એક સપ્તાહમાં 4 બાળલગ્નો થતા અટકાવાયા છે. લુણાવાડામાં ધોરણ 12ના વિદ્યાર્થીના લગ્ન અટકાવ્યા છે. માતા-પિતા પાસેથી લેખિતમાં લેવામાં આવી બાહેધરી. લુણાવાડા ગ્રામ્ય, લુણાવાડા શહેરમાં બે કિસ્સા સામે આવ્યા છે. બાલાસિનોરના ગ્રામ્ય વિસ્તારમાં પણ બે કિસ્સા સામે આવ્યા છે. બાળ સુરક્ષા વિભાગે 3 બાળલગ્નોને અટકાવ્યા છે. અધિકારીની ટીમે વાલીઓનું કર્યું કાઉન્સિલિંગ.
અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો મામલો સામે આવ્યો છે. મસ્જિદની અંદર એક બાળક નમાજ પઢવા ગયો હતો. નોમાન શેખ નામનો યુવક બાળકને લલચાવી ફોસલાવી ધાબા પર લઈ ગયો હતો. બાળકને નમાજ કઈ રીતે પઢવી તે શીખવાડવાના નામે ધાબે લઈ ગયો. મકદુમ સાબ નામની મસ્જિદના ધાબા પર આ બનાવ બન્યો હતો. બાળક હાલમાં ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે. આરોપી વિરુદ્ધમાં અગાઉ મારામારીનો ગુનો દાખલ કરાયો હતો. આરોપીનું નામ નોમાન શેખ છે, તેની ઉમર 21 વર્ષની છે. આરોપી અગાઉ ગાયકવાડ હવેલી વિસ્તારમાં રહેતો હતો. ગઈકાલે તે જુમ્માની નમાજ પઢવા માટે આવ્યો હતો અને આ ગુનો આચર્યો હતો.
અમદાવાદના ખોખરામાં AMC નો ભ્રષ્ટાચાર છતો થયો હોય તેવો બનાવ બન્યો છે. ખોખરામાં એક જ જગ્યા પર વારંવાર ભૂવા પડવાની સમસ્યા યથાવત રહેવા પામી છે. ગોરના કૂવા પાસે વગર વરસાદે પડ્યો ભૂવો. છેલ્લા બે વર્ષમાં એક જ જગ્યાએ પાંચથી વધુ વાર પડી ચૂક્યો છે ભૂવો. વારંવાર ભૂવો પડવાને લઈ યુથ કોંગ્રેસના દેખાવો યોજ્યા હતા. ભૂવા પાસે યુથ કોંગ્રેસના કાર્યકરોએ હવન કર્યો હતો.
હવન કરી રહેલ યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. થોડા સમય પૂર્વે જ રસ્તો બન્યો હોવા છતાં ભૂવો પડ્યો. મનપાના ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામા આવે:યુથ કોંગ્રેસ
ભાવનગરના બહુ ચર્ચિત નવનીત બલઘીયા હુમલા કેસના આરોપી જયરાજ આહીરના આખરે જામીન મંજૂર થયા છે. 14 દિવસ બાદ જયરાજ આહીરને મહુવા કોર્ટમાંથી જામીન મળતા ભાવનગર જિલ્લા જેલમાંથી જયરાજ આહીર આજે મુક્ત થશે. બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બલઘીયા ઉપર હુમલાની ઘટના બની હતી. જેમાં 29 ડિસેમ્બરના રોજ બગદાણા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. સમગ્ર પ્રકરણની તપાસ એસ.આઇ.ટી દ્વારા ચલાવવામાં આવી હતી. જેમાં જયરાજ આહીર સહિત 14 શખ્સોની ધરપકડ કરાઈ હતી. આ કેસમાં અગાઉ આઠ વ્યક્તિને જામીન મળ્યા હતા અને આજે જયરાજ આહિર સહિત છ વ્યક્તિના જામીન મંજૂર થયા છે.
થાનગઢ તાલુકાના એક ગામની સગીરાને ધમકીઓ આપી દુષ્કર્મ આચરી યુવાને ગર્ભ રાખી દેતા પોલીસ ફરિયાદ દાખલ. પાડોશમાં રહેતા યુવકે સગીરાના માતા ઘર પર ના હોય ત્યારે કમ્પાઉન્ડ વોલની દિવાલ કુદી ગેરકાયદેસર ઘરમાં પ્રવેશ કરી આચરતો હતો દુષ્કર્મ. ચાર મહિનાથી સગીરાના ભાઇને મારી નાખવાની ધમકી આપીને આચરતો હતો દુષ્કર્મ. ચાર મહિનાનો ગર્ભ રહી જતા પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસે સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી છે.
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ‘બી’ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં, પોલીસ સાથે ગેરવર્તન કરનાર શખ્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિગ્નલ ભંગ બદલ મેમો આપતા ફોર્ચ્યુનર ચાલકે પોલીસ સાથે કરી હતી માથાકૂટ. પોલીસે વાડજ વિસ્તારમાં રહેતા મહેશકુમાર ઉર્ફે મગનભાઈ વેલજીભાઈ ભરવાડની ધરપકડ કરી છે. 3 ફેબ્રુઆરીએ સિગ્નલ તોડવા બદલ મેમો આપતા આરોપીએ પોલીસ સાથે કરી હતી રકઝક. બીજા દિવસે આરોપીએ રોડ પર વચ્ચોવચ ગાડી ઉભી રાખી કર્યો હતો ટ્રાફિક જામ. સાથે જ પોલીસકર્મીને ‘સસ્પેન્ડ કરાવી દેવાની’ આપી હતી ધમકી. સરકારી કામમાં રુકાવટ અને ધમકી આપવા બદલ આરોપી સામે નોંધાયો ગુનો.
ગીર સોમનાથના કોડીનારના કાજ ગામે સિંહનું વીજ કરંટથી મોત થયું છે. વીજ કરંટના કારણે 3 થી 5 વર્ષના સિંહનું મોત થયું છે. ઘટના ચાર દિવસ પહેલાની છે પરંતુ પ્રકાશમાં હાલમાં સામે આવી છે. ખેડૂત દ્વારા વાડીએ જંગલી ભૂંડ અને નીલગાયના ત્રાસના કારણે રાખેલા વીજ કરંટથી શોક લાગ્યો છે. કાજ ગામના ખેડૂત પોતે પોતાની ભૂલ સમજી વન વિભાગ સમક્ષ રજૂ થયા. ખેડૂત માનસિંગ ઝાલા પોતાની ભૂલ સમજી સરેન્ડર કર્યું છે.
દાહોદ-લીમખેડા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું કમકમાટીભર્યું મોત થયું છે. દાંતીયા ગામ પાસે રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત સર્જાયો હતો. વાહનની ટક્કર વાગતા દીપડો રોડના ડિવાઇડર પર જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. નેશનલ હાઈવે પેટ્રોલિંગની ટીમે મૃત દીપડાને જોતા વન વિભાગને કરી જાણ. ઘટનાની જાણ થતા જ વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો. વન વિભાગે દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી.
કચ્છના ગાંધીધામના રોટરી સર્કલ પાસે આવેલ GJ-39 મેગી કોર્નર પાસે આશરે મધરાત્રે 1.25 વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં, 2 જણાના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે અન્ય 2 જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેગી કોર્નર આગળ એક્ટિવા ચાલક અને બાઈક ચાલાક સહિત ચાર વ્યક્તિઓને બેકાબુ કા ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. ફરાર થઈ ગયેલા કારચાલકની શોધખોળ શરૂ કરી છે.
વ્યાજખોરના ત્રાસથી આપઘાતની ઘટના સામે આવી છે. અમિત તન્ના નામના વ્યક્તિએ વ્યાજખોર મિત્રના ત્રાસથી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરતા પહેલા અમિત તન્નાએ વીડિયો પણ બનાવ્યો હતો. છેલ્લા છ વર્ષથી જયદીપ મૈયડ નામનો શખ્સ ત્રાસ આપતો હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે. મૃતક અમિત તન્નાની પત્નીનું નિવેદન સામે આવ્યું છે. એક લાખ વ્યાજે લીધા હતા જેની સામે 60 હજાર ભરી પણ દીધા હતા. અમિત પાસેથી આઠ કોરા ચેક લઈ લીધા હતા અને રકમ લખીને બેંકમાં નાખીને આરોપીએ કોર્ટમાં કેસ કરાવ્યો હતો. મૃતકની રિક્ષા પણ છેલ્લા ત્રણ વર્ષથી પડાવી લીધી હતી. 40 હજારની બાકી રકમ સામે હજુ પણ સાડા ત્રણ લાખની માંગણી વ્યાજખોર જયદીપ કરતો હોવાનો મૃતકના પત્નીનો આરોપ કર્યો છે.
મોડી રાત્રે NSUI કાર્યકરોએ સેવન્થ ડે સ્કૂલની તાળાબંધી કરી હતી. સ્કૂલમાં બનેલી ઘટનાના વિરોધમાં NSUI એ તાળું મારી દીધું. ઘટના બાદ ગઈકાલે DEO ને તાત્કાલિક કાર્યવાહીની કરી હતી માંગ. શાળા સામે કાર્યવાહી નહીં કરાય તો રોજ તાળાબંધી કરવા ઉચ્ચારી છે ચીમકી. NSUI એ આચાર્યને સસ્પેન્ડ કરવા કરી હતી માંગ.
જુનાગઢ મહાશિવરાત્રી પર્વને પગલે, રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 30 એકસ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ ડિવિઝન હેઠળના અલગ અલગ 9 ડેપો ઉપરથી જૂનાગઢ જવા માટે 30 એકસ્ટ્રા બસ દોડાવાશે. આગામી 11 થી 15 તારીખ સુધી જૂનાગઢના ભવનાથ તળેટી વિસ્તારમાં મહાશિવરાત્રીનો મેળો યોજાશે.
પીએમ મોદીએ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સને વેપાર કરાર પર અભિનંદન આપ્યા છે. સોશિયલ મીડિયા એક્સ ( ટ્વીટર) પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ એક વચગાળાના વેપાર કરાર માટે એક માળખા પર કરાર પર પહોંચ્યા છે. હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો અમારા બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે તેમની વ્યક્તિગત પ્રતિબદ્ધતા બદલ આભાર માનું છું.
Great news for India and USA!
We have agreed on a framework for an Interim Trade Agreement between our two great nations. I thank President Trump for his personal commitment to robust ties between our countries.
This framework reflects the growing depth, trust and dynamism of… https://t.co/zs1ZLzamhd
— Narendra Modi (@narendramodi) February 7, 2026
મહેસાણા જિલ્લામાં મતદારોની સંખ્યામાં જંગી ઘટાડો નોંધાયો છે. મતદાર યાદી સુધારણા દરમિયાન 23,341 વાંધા અરજીઓ આવી હતી. નામ કમી કરવા માટે કુલ 23,341 અરજીઓનો ખડકલો થયો છે. SIRની કામગીરીમાં 1,94,105 મતદારોના નામ રદ થયા છે. સ્થળાંતર અને મૃત્યુ સહિતના કારણોસર મતદારો ઘટ્યા હોવાનું તંત્ર દાવો કરી રહ્યું છે. અગાઉ 17.91 લાખ મતદારો હતા, હવે 15.97 લાખ મતદારો રહેવા પામ્યા છે.
એક્સપ્રેસ હાઇવે પર કારમાં આગની ઘટના બની છે. માંગરોળના નરોલી નજીક કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતા કાર ભડકે બળી ગઈ હતી. કાર નજીકથી એક મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ કોનો છે એ પોલીસ તપાસ કરી રહી છે. કાર વલસાડ પાસિંગની હોવાનું સામે આવ્યું છે. પોલીસ તેમજ 108 ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના મેમ્કો વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં પથ્થરમારાની ઘટના બની છે. દેરાણી જેઠાણી વચ્ચે ચાલી રહેલા મિલકતના ઝઘડામાં થયો પથ્થરમારો. પથ્થર મારામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. કૃષ્ણનગર પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર બનાવને લઈ કૃષ્ણનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં વાહનોમાં મોડીફાઈડ વ્હાઈટ લાઈટ વાળા વાહનો સામે ઝુંબેશ ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે. આંખોને આંજી નાખતી વાહનોની વ્હાઈટ લાઇટ સામે કાર્યવાહી. સુરતના વાય જંક્શન ખાતે સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. મોડીફાઇડ લાઇટવાળા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. રૂપિયા 1 હજારથી લઈ 6 હજાર સુધીનો દંડ કરાયો છે. અનેક વાહન ચાલકો RTO અને ટ્રાફિક પોલીસના સાણસામાં સપડાયા હતા. દંડ નહીં ભરે તો છ મહિના કેદ સુધીની જોગવાઈ.
Published On - 7:18 am, Sat, 7 February 26