
આજે 06 માર્ચ ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં ફરી આગ લાગી છે. આગ પર પહેલા કાબૂ મેળવ્યા બાદ, આગે ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રાજકોટ, ચોટીલા, ધ્રાંગધ્રા, વઢવાણ, સુરેન્દ્રનગર ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોચી ગઈ છે.
ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી આ ગોડાઉનમાં મૂકવામાં આવી હતી. આગે ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ગોડાઉનમાં 25 હજારથી વધુ મગફળીની બોરી રાખવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. JCB દ્વારા મગફળીનો જથ્થો બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે. આગને કાબૂમાં લેવા માટે તંત્રની તમામ ટીમો લાગી કામે ગઈ છે.
પોરબંદરના કુતીયાણાના દેવડા જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. દેવડાના મરઘા ડુંગર વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. દૂર દૂર સુધી આગની જ્વાલા જોવા મળી રહી છે.
રાજકોટમાં વધુ એક લાંચીયા અધિકારી ACBના છટકામાં સપડાયા છે. CGSTના વર્ગ 2ના ઇન્સ્પેકટર રામ ભરતલાલ મીના લાંચ લેતા ઝડપાયા. રૂ. 5000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. GST નંબર લેવા ઓનલાઈન કરેલી અરજી એપૃવ કરવા માટે ઈન્સ્પેકટરે લાંચ માંગી હતી. સુરેન્દ્રનગર ACBના છટકામાં CGST વિભાગના અધિકારી ઝડપાઈ જવા પામ્યા છે.
ખાલિસ્તાન તરફી આતંકવાદીઓ દ્વારા લંડનમાં વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષાનો ભંગ કરીને તેમના કાફલા તરફ આગળ વધવાની ઘટનાની બ્રિટને સખત નિંદા કરી છે. આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા બ્રિટને કહ્યું કે ડરાવવા, ધમકાવવા અથવા જાહેર કાર્યક્રમોમાં વિક્ષેપ પાડવાના આવા પ્રયાસો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. સુરક્ષા ભંગની આ ઘટના બુધવારે લંડનના ચેવેનિંગ હાઉસ ખાતે બની હતી. જ્યા એક ખાલિસ્તાની સમર્થક સૂત્રોચ્ચાર કરી ખાલીસ્તાની ઝંડા સાથે સુરક્ષા ઘેરો તોડીને જયશંકર તરફ આગળ વધ્યો હતો.
પશ્ચિમ રેલવે દ્વારા આગામી હોળીના તહેવાર અને ઉનાળાના વેકેશનને જોતાં, યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-દાનાપુર અને સાબરમતી-હરિદ્વાર વચ્ચે બે જોડી સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જૂનાગઢ શહેરની શ્રીજી હોસ્પિટલની બેદરકારીથી મહિલાના મોતનો આક્ષેપ થયો છે. 4 માર્ચે પિત્તાશયમાં સોજાની તકલીફને લઇને મહિલા દર્દીને દાખલ કરાયા હતા. કેશોદના રહેવાસી દર્દી મનીષા વાઘેલાનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો. દર્દીને છાતીમાં દુખાવો અને ઉલ્ટીઓ થઇ હતી. સ્ટાફને બોલાવવા છતા કોઈ ધ્યાન ના અપાયું હોવાના આક્ષેપ કરાયો છે. જો કે, શ્રીજી હોસ્પિટલનું કહેવું છે કે, દર્દીને તમામ જરૂરી સારવાર અપાઈ હતી. દર્દીને આજે છાતીમાં દુખાવો શરૂ થયો હતો. પીએમ રિપોર્ટ બાદ વધુ માહિતી જાણી શકાશે.
જલારામ બાપા વિરુદ્ધ બફાટ કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જલારામ બાપા અંગે બફાટ કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા માટે રાજકોટ પોલીસ કમિશનરને અરજી આપવામાં આવી છે. એડવોકેટ દ્વારા શહેર પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપવામાં આવી છે. ભારતીય ન્યાય સહીતાની કલમ 298, 302, 356 સહિતની કલમ હેઠળ ગુનો નોંધવા લેખિતમાં ફરિયાદ રાજકોટ પોલીસ કમિશનરને આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહમાં સરકારે રજૂ કર્યા આશ્ચર્યજનક આંકડા ! કચ્છ જિલ્લામાં નોંધાયેલા બેરોજગારો કરતા, અનેક ગણા વધુ લોકોને નોકરી આપી હોવાનું લેખિત જવાબમાં જણાવ્યું છે. કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના નોકરી અને બેરોજગારી અંગેના એક સવાલમાં સરકારે લેખિત જવાબમાં જે જણાવ્યું છે તેના પરથી એવું કહી શકાય કે, ગુજરાત સરકારે, કચ્છ જિલ્લામાં શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા તેના કરતા અનેક ગણા વધુ બેરોજગારોને નોકરી મળી છે. 31મી ડિસેમ્બર 2024ની સ્થિતિએ કચ્છમાં 7761 બેરોજગારો નોંધાયેલા છે. છેલ્લા 2 વર્ષમાં 44788 બેરોજગારોને રોજગારી મળ્યાનો સરકારે આપ્યો જવાબ. 31/12/2024ની સ્થિતિએ કચ્છમાં 6287 શિક્ષિત અને 1474 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા હોવાનો જવાબ આપવામાં આવ્યો છે. છેલ્લા 2 વર્ષમાં 36376 શિક્ષિત બેરોજગારોને રોજગારી મળ્યાનો સરકારનો જવાબ છે. 8412 અર્ધશિક્ષિત બેરોજગારોને 2 વર્ષમાં રોજગારી મળ્યાનો સરકારે જવાબ આપ્યો છે.
કલોલ વડાવસ્વામીમાં આવેલ પવન સ્ટીલ નામની લોંખડ ઓગળવાની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયો હતો જેમા એકનુ મોત થયુ છે, જ્યારે 5ને ઈજા થઈ છે. એક દિવસ અગાઉ મોડી રાતે લોંખડ ઓગાળતી વેળાએ ભઠ્ઠીની પાઇપ ફાટી હતી. પાઇપ ફાટતા ભઠ્ઠીમાં ઓગળેલું લોંખડ, ત્યાં કામ કરતા મજૂરો ઉપર પડ્યું હતું. જેમાં એક મજૂરનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જ્યારે અન્ય 5 જેટલા મજૂરો દાઝયા હતા. દાઝેલા તમામ મજૂરોને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. છત્રાલ પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સ્ટીલની ભઠ્ઠી પાસે તંત્રની જરૂરી પરવાનગી હતી કે કેમ એ મોટો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
ગાંધીનગર નિર્માણ ભવનમાં આગની ઘટના ઘટવા પામી છે. નિર્માણ ભવનના પહેલા માળે આર્કિટેક ઓફિસના સ્ટોર રૂમમાં આગ ફાટી નીકળી હતી. ગાંધીનગર ફાયર વિભાગને કોલ મળતા તરત જ પહોચી જઈને આગ ઊપર કાબુ મેળવ્યો છે. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે.
ગુજરાતમાં આજે ભાજપ દ્વારા વિવિધ જિલ્લા અને મહાનગરપાલિકાના પાર્ટીના પ્રમુખના નામની જાહેરાત કરવામા આવી છે. પરંતુ ભાજપના નીરીક્ષકો જે તે જિલ્લા કે મહાનગરમાં જઈને સત્તાવાર રીતે પાર્ટીના પ્રમુખના નામની જાહેરાત કરે તે પહેલા જ, સોશિયલ મીડિયામાં જે તે પ્રમુખના નામની જાહેરાત થઈ જવા પામી હતી. સામાન્ય રીતે ભાજપમાં જે તે પદાધિકારી કે હોદ્દેદારના નામ પાર્ટીના રીતરિવાજ મુજબ જાહેર કરવામા આવે છે અને ત્યાં સુધી આ નામ બધાથી ગુપ્ત રાખવામાં આવતા હોય છે. પરંતુ 35 જિલ્લા-મહાનગરપાલિકાના પાર્ટીના પ્રમુખોના નામની યાદી સોશિયલ મીડિયામાં ફોટા સાથે વાયરલ થઈ છે. કેટલીક જગ્યા પર પાર્ટી દ્વારા સત્તાવાર રીતે નામની જાહેરાત થઈ ગઈ છે.
જૂનાગઢ: નવા જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક કરવામાં આવી. ચંદુ મકવાણાને બનાવાયા જિલ્લા ભાજપ પ્રમુખ બનાવાયા. શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાની પસંદગી કરવામાં આવી. ભાજપ કાર્યાલયમાં પ્રદેશ હોદ્દેદારની અધ્યક્ષતામાં નિમણૂક કરાઇ.
PM મોદી શુક્રવારથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. ₹2500 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. દાદરા નગર હવેલી, દીવ-દમણને વિકાસ કાર્યોની ભેટ આપશે. સુરતના લીંબયાતમાં જાહેર સભાને સંબોધન કરશે. લિંબાયત હેલિપેડથી સભા સ્થળ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત કરાવશે. 8 માર્ચે નવસારીમાં જનસભાને વડાપ્રધાન સંબોધન કરશે. ગુજરાત સરકારની સખી સાહસ યોજનાનો પ્રારંભ કરાવશે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી આવેલ લખપતિ દીદી સાથે સંવાદ કરશે.
છેલ્લા 2 વર્ષ દરમિયાન રાજ્યમાં 12 સફાઈ કર્મચારીઓના મૃત્યુ થયા હોવાની ગૃહમાં માહિતી આપવામાં આવી છે. 12 સફાઈ કર્મીના મૃત્યુ બાદ સરકારે તેમના પરિવારોને રૂ. 180 લાખ સહાય ચૂકવી. વર્ષ 2023 – 24માં 10 સફાઈ કર્મીના મૃત્યુ બદલ પરિવારોને રૂ. 120 લાખની સહાય ચૂકવાઈ છે. વર્ષ 2024 – 25માં 2 સફાઈ કર્મીના મૃત્યુ બદલ પરિવારોને રૂ. 60 લાખ સહાય ચૂકવી.
મોરબી જિલ્લાને હવાઈ સેવા મળશે. વિધાનસભા ગૃહમાં માહિતી આપવામાં આવી કે 90 સીટોથી વધુ ક્ષમતા વાળા એરક્રાફ્ટ પહોંચી શકે તે પ્રકારનું સરકારનું આયોજન છે. સ્થાનિક ઉધોગકારોને આ હવાઈ સેવાથી ફાયદો થશે. નવી ઉડ્ડયન સેવા થવાથી અને મોરબીમાં સ્માર્ટ GIDC થવાથી પણ આ સેવાનો બહોળો ફાયદો થશે.
ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલ રિપીટ કરાયા છે. અમરેલીમાં અતુલ કાનાણીની જિલ્લા પ્રમુખ તરીકે વરણી થઇ. બનાસકાંઠામાં જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલા, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભરત રાઠોડ રિપીટ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ પદે ગિરીશ રાજગોર રિપીટ, ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે કુણાલ શાહની નિમણૂક, જૂનાગઠ શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાની નિમણૂક, વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદે જયપ્રકાશ સોનીની વરણી કરવામાં આવી.
આબૂરોડ પર કિવરલી પાસે અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. અમદાવાદથી જાલોર જતા પરિવારને અકસ્માત નડ્યો. સિરોહીમાં ટ્રેલર સાથે કારનો કચ્ચરઘાણ નીકળ્યો. 3 પુરુષ, 1 મહિલા અને 2 બાળકોનું કરૂણ મોત થયુ છે. અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ છે.
અમરેલી જીલ્લા ભાજપને મળ્યા નવા પ્રમુખ. જીલ્લા ભાજપના પ્રમુખ તરીકે અતુલ કાનાણીની નિમણૂક. પ્રદેશ ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા. નવનિયુક્ત પ્રમુખ અતુલ કાનાણી અગાઉ જીલ્લા યુવા ભાજપના પ્રમુખ રહી ચુક્યા છે.
ધારી વિધાનસભા બેઠકના કાર્યકર એવા યુવાન નેતાની પ્રમુખ તરીકે વરણી કરાઇ.
ગોધરા તાલુકાના નસીરપુર ગામમાં ભયજનક હંગામો સર્જાયો, જ્યાં ચાર મકાનોમાં આગચંપી કરવામાં આવી. 25 દિવસ અગાઉ ખોજલવાસા ગામની એક યુવતીને નસીરપુર ગામનો યુવક ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના અંગે અદાવત રાખી યુવતીના સગા ઘાતક હથિયારો સાથે નસીરપુર ગામે ધસી આવ્યા હતા. હુમલાખોરોએ એક મહિલાને ધારિયા વડે ગંભીર ઇજા પહોંચાડી, જેમાં તેણીના માથાના ભાગે ગંભીર ઘા પહોંચ્યા. હુમલાખોરોએ ગામમાં ધમકીભર્યું વાતાવરણ સર્જી ભયનો માહોલ ફેલાવ્યો અને ત્યારબાદ ચાર મકાનમાં આગ લગાવી દીધી.
ગુજરાત ભાજપ સંગઠનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે ભાજપ જિલ્લા પ્રમુખોની વરણી થશે. 33 જિલ્લાઓને આજે નવા પ્રમુખ મળશે. 11 વાગ્યાથી જિલ્લા ભાજપ કાર્યાલયોમાં પ્રક્રિયા હાથ ધરાશે. ક્લસ્ટર ઇન્ચાર્જ સ્થાનિક સંગઠનની હાજરીમાં નામ જાહેર કરશે. ઘણા સમયથી સંગઠન પ્રક્રિયા પર બ્રેક લાગી હતી.
અમદાવાદમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો છે. સ્કૂલે જતી સગીરાનો પીછો કરી યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપીને હવસનો શિકાર બનાવી હતી. સગીરાએ બાળકને જન્મ આપતા આરોપીનો ફાંડો ફૂટ્યો હતો. વાસણા પોલીસ સ્ટેશનમાં પોક્સોનો ગુનો નોંધાયા બાદપોલીસે આરોપી ભાવિન વિરમગામિયાની ધરપકડ કરી તેની સામે પુરાવા એકત્ર કરવા માટે તેના DNA સેમ્પલ મેળવ્યા છે અને આરોપીની વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ અને અમરનાથ શ્રાઇન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અમરનાથ યાત્રા 2025ની તારીખો જાહેર કરવામાં આવી છે. નિર્ણય મુજબ અમરનાથ યાત્રા ત્રીજી જુલાઈ 2025થી શરુ થશે અને 39 દિવસ સુધી ચાલશે, એટલે કે રક્ષાબંધને સંપન્ન થશે.
Published On - 7:21 am, Thu, 6 March 25