
આજે 05 જુલાઈને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
કેરેબિયન દેશનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ PM મોદી આર્જેન્ટિનાની મુલાકાતે પહોંચ્યા.બ્યુનોસ આયર્સમાં PM મોદીનું ભવ્ય સ્વાગત કરાયું.આ 2 દિવસની મુલાકાતમાં વડાપ્રધાન મોદી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલી સાથે મહત્ત્વપૂર્ણ મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા કરશે.
રાજકોટના પુષ્કરધામ ચોક પાસે આવેલ અતુલ બેકરીના આઉટલેટ માંથી મહિલાને ફૂગ વાળી બ્રેડ આપી દેતા , મહિલાએ રોષે ભરાઈ અતુલ બેકરીના આઉટલેટ માલિકનો ઉધડો લીધો, મહિલાએ વિડીયો ઉતારી કહ્યું જો મારી દિકરી ને કાંઈ થયું તો બેકરીના શટર પાડી દઈશ, સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ
વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ ને લઇ મધુબન ડેમમાં ફરી પાણી આવક થવા પામી છે . મધુબન ડેમની સપાટી 70.75 મીટરે પોહચી ડેમના 8 ગેટ ખોલી દમણગંગા નદીમાં ડેમમાંથી 46,840 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે . દમણગંગા નદીના જળ સ્તરમાં વધારો થતા નદીના નીચાણવાળા વિસ્તારમાં લોકોને કિનારે ન જવા અપીલ કરાઈ
પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલને, ભાજપના એક સમયના MLA ધીરૂ ગજેરાએ અપીલ કરી છે. સુરતના પૂર્વ MLA ધીરુ ગજેરાએ સોશિયલ મીડિયામાં આ અંગેનો એક વીડિયો શેર કર્યો છે. મહારાષ્ટ્રમાં જે બની રહ્યું છે તેનાથી હું અત્યંત દુઃખી છું. દેશના અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવેલા લોકોને ગુજરાતીઓએ સ્વીકાર્યા છે. સી.આર. પાટીલ સાહેબે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ છે જ અને 4 વખત સાંસદ બન્યા છે. આજે ગુજરાતની સર્વોત્તમ સત્તા તેમની પાસે છે. ગુજરાતીઓ તેમની ભાષા બાબતે ક્યારેય ટિપ્પણી કરી નથી. પણ મુંબઈની અંદર ભાષાને લઈને અનેક વખત બનાવો સામે આવે છે. નાગરિક તરીકે મુંબઈમાં જે લોકો કામ ધંધો કરે છે તેમને ભાષાને લઈને મારવામાં આવે છે તેમના પર ત્રાસ આપવામાં આવે છે તે દુઃખદ બાબત છે. સી. આર પટેલને વિનંતી કે સવાયા ગુજરાતી થઈને આવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ. મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર છે ત્યારે આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. નહીં તો આગામી દિવસોમાં અન્ય રાજ્યોમાં પણ આ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
લગભગ 20 વર્ષ પછી રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક થયા છે. મહારાષ્ટ્રમાં હિન્દીના વિરોધમાં તેઓ એક થયા છે. રાજ ઠાકરેએ હિન્દી ભાષા પર બળજબરીથી લાદવામાં આવેલા આરોપો અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે મરાઠી ભાષા અને મહારાષ્ટ્રનુ હિત સર્વોપરી છે. રાજ ઠાકરેએ બંને ઠાકરે પિતરાઈ ભાઈઓને એકસાથે લાવવાનો શ્રેય દેવેન્દ્ર ફડણવીસને આપ્યો અને મરાઠી ઓળખનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી.
પ્રેમીએ ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરતા યુવતીએ આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યું છે. મૃતક યુવતી અને મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા વચ્ચે પ્રેમસંબંધ હતો. હાર્દિક રબારી અને મોહિતે બંનેએ યુવતીનો ન્યુડ વીડિયો બનાવ્યો હતો અને બ્લેકમેઇલ કરી હતી. મૃતક મુસ્કાને આરોપી મોહિતને રૂપિયા 6000 આપ્યા અને પોતાની સોનાની ચેઇન પણ ગીરવે મૂકી હતી. ન્યુડ વીડિયો ડિલીટ કરવા માટે યુવતી મિત્ર સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ હાજરીમાં વીડિયો ડિલીટ થયો હોવા છતાં ફરીથી બ્લેકમેઇલ કરતા હતો. મૃતક યુવતી વીડિયો વાયરલ થવાની ડરથી આપઘાત કર્યો હોવાનુ માનવામાં આવી રહ્યું છે. ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.
હવામાનના જાણકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, સાબરમતી, તાપી અને નર્મદા નદીનુ જળસ્તર વધે તેવો વરસાદ વરસશે. અમદાવાદ, ગાંધીનગરમાં આજે વરસાદ પડવાની સંભાવના છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. મહી સાગર અને પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ પડશે.
ભરૂચ અને ઉત્તર ગુજરાતના ભાગોમા પણ વરસાદ પડશે તેવી આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું છે કે, પૂર્વ ગુજરાત, કચ્છ અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. જામનગરના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડશે. તારીખ 15 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. 24 જુલાઈ થી 30 જુલાઈ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે. 2 થી 8 ઓગસ્ટ માં દ.ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. તાપી નદીનું જળ સ્તર વધશે. નર્મદા નદી બે કાંઠે થશે. સાબરમતી નદીમાં પાણીનો આવરો આવશે.
આજે સવારના 6 વાગ્યાથી સાંજના 10 વાગ્યા સુધીના 4 કલાકમાં ગુજરાતના 64 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વઘુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં 8થી 10ના બે કલાકના સમયગાળામાં જ ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. કલ્યાણપુરમાં પણ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં પણ સવારના 8થી 10 સુધીના બે કલાકમાં લગભગ સવા બે ઈંચ જેટલો વરસાદ તુટી પડ્યો હતો.
અમરનાથ યાત્રા દરમિયાન, રામબન જિલ્લામાં ચાર બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 36 યાત્રાળુ ઘાયલ થયા છે. બ્રેક ફેલ થવાને કારણે એક બસના ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેના પગલે આ અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં લગભગ 30,000 શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર મનપાનો ઉધડો લીધો હોવાના સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર મનપાના અધિકારી-પદાધિકારીની બેઠક બોલાવી હતી. ગાંધીનગર મેયર દ્વારા મુખ્યમંત્રીની બેઠકને સમીક્ષા બેઠક ગણાવી હતી. મુખ્યમંત્રી દ્વારા વરસાદ બાદ જનતાને તકલીફ ના પડે તે માટે કામગીરી કરવા સૂચના આપી છે. રોડ રસ્તાની 1500 જેટલી ફરિયાદો ગાંધીનગર મનપાને મળી છે. જેમાંથી મોટાભાગની ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું હોવાનો મેયરે દાવો કર્યો છે.
સુરતમાંથી સાયબર ફ્રોડ ઝડપાયું છે. સુરત સાયબર ક્રાઇમનું સૌથી મોટું સાયબર રેકેટ ઝડપી પાડ્યું.ફોરેક્સ ટ્રેડિંગના નામે કૌભાંડ ચાલવામાં આવતું હતું. 2.34 કરોડ થી વધુનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જો કે તપાસમાં આંકડો 100 કરોડથી વધુ જવાની શક્યતા છે. પિતા અને બે પુત્રો દ્વારા આ કૌભાંડ આચરવામાં આવતું હતું. સુરતના મોટા વરાછા વિસ્તારમાં ચાલતું હતું રેકેટ. IV TRADE ના નામે કંપની ચલાવી લોકો પાસે રોકાણ કરાવતા હતા. આ રેકેટ સુરત, રાજકોટ,અને દુબઇથી ચાલવામાં આવતું હતું. સાયરબ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. લોકોને રોકાણ કરતા 10 ટકા નફો અને અલગ અલગ સ્કીમો આપવાના નામે રેકેટ ચલાવતા હતા. બે નંબર ના રૂપિયા USDT માં પણ ટ્રાન્સફર કરતા હોવાની વાત.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સોનાની દાણચોરી અને મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલ કન્નડ અભિનેત્રી રાણ્યા રાવ સામે કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ બેંગલુરુ અને તુમકુરમાં રાણ્યા રાવની આવેલ રૂ. 34.12 કરોડની મિલકત જપ્ત કરી છે. ED હાથ ધરેલ તપાસમાં, રાણ્યા રાવે ગુના દ્વારા કમાયેલી રકમમાંથી રૂ. 55.62 કરોડની માલ મિલકત વસાવી હોવાનો ખુલાસો થયો હતો
સુરતમાં પૂરની સ્થિતિ નિવારવા સરકાર એક્શનમાં આવી છે. સુરતમાં આજે કેન્દ્રીય મંત્રી અને અધિકારીઓની બેઠક યોજાશે. કેન્દ્રીય મંત્રી આર પાટીલની હાજરીમાં સંકલન બેઠક યોજાશે. પાલિકાના અધિકારીઓ અને કલેકટર કચેરીના અધિકારીઓ હાજર રહેશે. કાયમી નિકાલ થાય તે માટે પ્રયાસ થાય તેવી શક્યતા.
આજથી ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેગ લેસ ડેની શરૂઆત થશે. સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તિઓમાં જોડવામાં આવશે. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે ઈતર પ્રવૃત્તિમાં રસ લેતા થાય તે હેતુથી બેગ લેસ ડે ની શરૂઆત કરવામાં આવી છે. વિવિધ સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ બેગ વિના શાળાએ પહોંચ્યા છે. શાળાઓમાં શૈક્ષણિક કાર્યની જગ્યાએ રચનાત્મક પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ જોડાયા.
,
શુક્રવાર સવારના 6 વાગ્યાથી શનિવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં, રાજ્યના 201 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સુર જિલ્લાના પરસાણા તાલુકામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. વર્તમાન ચોમાસામાં શનિવાર 05 જુલાઈના સવારના 6 વાગ્યા સુધીામાં, ગુજરાત રાજ્યનો 40.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જો ઝોનદીઠ વરસાદની વાત કરીએ તો, કચ્છમાં 40 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 36 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ ગુજરાતમા 39.78 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 42 ટકા વરસાદ નોંધાયો છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ 42.66 ટકા વરસાદ નોંધાયો છે.
CBI એ ફાર્મસી કાઉન્સિલ કેસમાં ડોકટરો સહીત 6ની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલાઓમાં, 3 ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. કોલેજને મંજૂરી માટેનો રિપોર્ટ બનાવવા માટે માંગ્યા હતા રૂપિયા, 55 લાખ રૂપિયા માંગવાના કેસમાં કરાઈ ધરપકડ. બેંગ્લોરમાં રૂપિયા મોકલાયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. છત્તીસગઢ શ્રી રાવતપુરા સરકાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ અને રિસર્ચના હોદ્દેદારોના પણ ફરિયાદમાં નામ છે દાખલ.
બિહારની રાજધાની પટનામાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની શુક્રવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ગાંધી મેદાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામગુલામ ચોક પાસે આવેલી હોટેલ પનાશ પાસે બની હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. પોલીસને ઘટનાસ્થળેથી એક ગોળી અને કારતૂસ મળી આવ્યા છે અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. બાઇક સવાર ગુનેગારોએ ઉદ્યોગપતિના માથામાં ગોળી મારીને તેમની હત્યા કરી હતી.
પી.ટી જાડેજાને પાસા હેઠળ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા છે. અમરનાથ મંદિરમાં આરતીના વિવાદને લઇને ધમકી આપી હતી. ધમકીના આધારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ બાદ પી.ટી જાડેજાની અટકાયત કરવામાં આવી હતી. પી.ટી. જાડેજાની પાસા હેઠળ કાર્યવાહી રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. ક્ષત્રિય આંદોલનના મુખ્ય ચહેરા હતા પી.ટી. જાડેજા. ક્ષત્રિય આંદોલનનો ખાર રાખીને કાર્યવાહી કરવામાં આવી હોવાનો ક્ષત્રિય સમાજના આગેવાનોનો આક્ષેપ છે.
પંચમહાલમાં ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ જિલ્લામાં ત્રણ બાળકોના ભેદી મોત થયા છે. એક સપ્તાહમાં 3 બાળકોના ભેદી વાયરસને લઈને થયા મોત. એક બાળક સારવાર હેઠળ વડોદરા એસએસજીમાં દાખલ કરાયા છે. બાળકોના મોતનું કારણ જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે. શહેરા તાલુકાના ડોકવા, ગોધરા તાલુકાના ખજુરી, હાલોલ તાલુકાના જાંબુડી ગામના બાળકોના થયા છે મોત.
ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. તએ આણંદ ખાતે ત્રિભોવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે. આણંદના વાલ્મી ખાતથી દેશની સૌ પ્રથમ સહકાર યુનિવર્સિટી “ત્રિભોવન સહકારી યુનિવર્સિટી”નું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ આણંદ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે જનસભાને સંબોધન કરશે. દેશની પ્રથમ સહકાર યુનિવર્સિટીના ભૂમિ પૂજન અને શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.
Published On - 7:05 am, Sat, 5 July 25