રાજ્યના શ્રમયોગીઓના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અને નીતિઓની અમલવારી થકી રાજ્ય સરકાર (State Government) ઘણા પ્રયત્નો કરી રહી છે. આવી યોજનાઓ શ્રમયોગીઓ સુધી પહોંચે અને તેનો લાભ શ્રમયોગીઓને સરળતાથી મળે તે બાબત સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર પોતાના વિવિધ પ્રયત્નો કરી રહી છે.
આ માટે અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓની યોગ્ય રીતે નોંધણી થાય અને અસંગઠિત શ્રમયોગી તરીકે તેઓ પોતાની ઓળખ મેળવી અને તેમને મળવાપાત્ર લાભ સરળતાથી મેળવતા થાય તે માટે ઘરેલુ કામદાર, સ્વરોજગાર મેળવતા શ્રમયોગી તેમજ અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ પોતાની નોંધણી ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સ્થાપિત e-SHRAM Portal ઉપર સરળતાથી કરી શકે તે માટેની ચિંતા સરકારે કરી છે.
કેન્દ્ર સરકારની સૂચના મૂજબ આ પ્રકારની નોંધણી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે કરવાની થાય છે. પરંતુ આવી નોંધણીની કાર્યવાહી વધુ ઝડપી અને શ્રમયોગીને સુલભ બની શકે તે હેતુથી રાજ્ય સરકારે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ‘‘ઈ-ગ્રામ સેન્ટર’’ને શ્રમિકોની નોંધણીના હેતુથી ‘‘શ્રમિક સહાયતા કેન્દ્ર’’ જાહેર કરવાનો ઉમદા નિર્ણય લીધો છે.
જેના પરિણામે અસંગઠિત શ્રમયોગીઓ કે જે છેવાડાના ગામડા સુધી વસેલા છે તેઓ નજીકના પંચાયત ઘર સુધી જઈને e-SHRAM Portal ઉપર પોતાના નામની નોંધણી કરાવી શકે છે અને અસંગઠિત શ્રમયોગીઓને મળવાપાત્ર સરકારની વિવિધ યોજનાઓ મુજબના લાભ મેળવી શકશે. આમ, રાજ્યના શ્રમ-રોજગાર અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા (Brijesh Merja) દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: બ્રિટનમાં કોરોના વાયરસનો કહેર યથાવત, કોરોના સંક્રમણના 40,954 કેસ નોંધાયા, હવે સરકાર પ્લાન ‘C’ પર કરશે કામ