Big News: રાજ્ય ચૂંટણી પંચે બોલાવી પ્રેસ કોન્ફરન્સ, ગ્રામ પંચાયતની ચૂંટણીની થઈ શકે છે જાહેરાત

|

Nov 22, 2021 | 3:54 PM

Gram panchayat election 2021: રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ સાંભળવાના શરુ થઇ ગયા છે. ચૂંટણી પંચે 22 નવેમ્બરે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે.

Gujarat: રાજ્ય માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી (gram panchayat election 2021) નજીક આવી રહી છે ત્યારે, આજે સાંજે 4 વાગ્યે રાજ્ય ચૂંટણી પંચ (election commission of Gujarat) દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. માહિતી અનુસાર આ કોન્ફરન્સમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. સૂત્રો અનુસાર ડિસેમ્બરના મધ્યભાગમાં ચૂંટણી યોજાઈ શકે એમ છે. જણાવી દઈએ કે રાજ્યમાં 10 હજારથી વધુ ગામડાઓમાં પંચાયતની ચૂંટણી યોજાશે.

જણાવી દઈએ કે એક હજાર જેટલી ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી પણ સાથે થવાની છે. આ ચૂંટણીમાં ઇવીએમ નહીં પણ બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચે મતદાર યાદી સહિતની ચૂંટણીલક્ષી તમામ કાર્યવાહી પૂર્ણ કરી છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ પછી ઉમેદવારીપત્રો ભરી શકાશે એવી માહિતી સામે આવી છે. તો રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ માટે મહત્વની બની રહેશે.

ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.

સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, ઉપસરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે. ગ્રામ પંચાયત 8 થી 16 સભ્યોની બનેલી હોય છે. ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી – તલાટી-કમ-મંત્રી પણ હોય છે, જેને ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.

ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહીવટી માળખું તથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે. જેવી કે, સંપૂર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના, ખાસ રોજગાર યોજના, ઇન્દિરા આવાસ યોજના, ગ્રામીણ સ્વચ્છતા યોજના, ગોકુળ ગ્રામ યોજના, સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના વગેરે. ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતાં પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે.

 

આ પણ વાંચો: જામનગરમાં 10 કરોડની કિંમતનું 2 કિલો હેરોઇન કબજે કરાયું, ગુજરાત એટીએસએ કરી મોટી કાર્યવાહી

આ પણ વાંચો: Surat : હવે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓનલાઇન એક્ઝામના ત્રીસ મિનિટ પહેલા પણ પરીક્ષા ફોર્મ ભરી શકશે

Published On - 3:26 pm, Mon, 22 November 21

Next Video