Gujarat : રાજયમાં ભરચોમાસે વરસાદ ખેંચાતા કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી સર્જાઈ છે. બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને કચ્છના ત્રણથી ચાર તાલુકામાં ટેન્કરથી લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. રાજ્યનો પાણી-પુરવઠા વિભાગ 4 જિલ્લાના 8 તાલુકાના 23 ગામમાં 13 ટેન્કર દોડાવે છે.
પાણી-પુરવઠા વિભાગના 13 ટેન્કર રોજના 56 ફેરા થકી લોકોને પીવાનું પાણી પહોંચાડે છે. કચ્છ જિલ્લામાં ટેન્કર દ્વારા સૌથી વધારે 27 ફેરા કરવામાં આવે છે. ભુજના કોટાચ ગામમાં 8 અને ધ્રોબાણા ગામમાં રોજ 7 ફેર મારીને સ્થાનિકોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. આ સિવાય કેટલાક ગામમાં લોકો ખાનગી ટેન્કરો મારફતે પણ પાણી મેળવતા હોવાનો અંદાજ છે.
રાજયમાં ટેન્કર થકી પાણી પહોંચાડાઇ રહ્યું છે
નોંધનીય છેકે રાજ્યમાં હજૂ પણ 48 ટકા વરસાદની ઘટ છે. અને, હવામાન વિભાગ દ્વારા પણ નજીકના સમયમાં સારા વરસાદનો કોઇ જ આગાહી કરવામાં આવી નથી. ગુજરાતમાં આ વરસે 22 તાલુકામાં હજૂ 5 ઇંચ જેટલો પણ વરસાદ નોંધાયો છે. ગત વર્ષે ઓગસ્ટ માસમાં જ સરેરાશ 100 ટકાથી વધારે વરસાદ નોંધાઇ ચુકયો હતો.
આમ, આ વર્ષે વરસાદની અછતને પગલે પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. વરસાદની ઘટને પગલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અછતની સ્થિતિ પ્રવર્તે છે. ત્યારે પાણીની અછતને પહોંચી વળવા ગુજરાતમાં ફરી ટેન્કર પ્રથા શરૂ કરવામાં આવી છે. રાજયના પાણી પુરવઠા બોર્ડના અહેવાલ પ્રમાણે, રાજ્યના 4 જિલ્લાના 8 તાલુકાના 23 ગામોમાં હાલમાં ટેન્કર થકી પાણી પહોંચાડવામાં આવે છે. જેમાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ અને દ્વારકાના 23 ગામોમાં 13 ટેન્કર થકી રોજના 56 ફેરાઓ કરી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
રાજયમાં પાણીની અછતની જિલ્લા પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં 3 તાલુકાઓમાં 11 ગામ, સુરેન્દ્રનગરમાં 2 તાલુકામાં 3 ગામ, કચ્છમાં 2 તાલુકાના 7 ગામ, દેવભૂમિ દ્વારકામાં એક તાલુકાના 2 ગામોમાં ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે. કચ્છ જિલ્લામાં ટેન્કરો દ્વારા સૌથી વધુ 27 ફેરા કરીને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં રોજના 12-12 ટેન્કરના ફેરા કરવા પડી રહ્યાં છે. ભૂજ તાલુકાના કોટાય ગામમાં ટેન્કરોથી સૌથી વધારે દૈનિક 8 ફેરા કરવામાં આવે છે. ભૂજ તાલુકાના જ ધ્રોબાણા ગામમાં રોજના ટેન્કરના 7 ફેરા કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છેકે આ તમામ આંકડાઓ પાણી પુરવઠા બોર્ડ દ્વારા રજુ કરવામાં આવ્યા છે. આ સિવાય પણ ગામોમાં ખાનગી ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હોવાનો અંદાજ છે.