ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહીલનો મુખ્યમંત્રીને પત્ર, જ્ઞાન સહાયક યોજના નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતીની કરી માગ

|

Sep 14, 2023 | 8:51 PM

Ahmedabad:  રાજ્યમાં કરાર આધરિત જ્ઞાન સહાયકોની ભરતી રદ કરવા મુદ્દે TET,TAT પાસ ઉમેદવારો લડી લેવાના મૂડમાં છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આ ઉમેદવારોનું સમર્થન કરવામાં આવ્યુ છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે પણ જ્ઞાન સહાયક યોજનાને ગેરબંધારણીય ગણાવી કરાર આધારિત ભરતી રદ કરી કાયમી ભરતી કરવાની માગ કરી છે.

Ahmedabad: ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના વિરુદ્ધનું TET-TATના ઉમેદવારોનું આંદોલન દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહ્યુ છે. કાયમી શિક્ષક ભરતીની માગ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ સહિત અનેક સામાજિક સંગઠનો પણ આવ્યા છે. આ મામલે હવે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

પત્રમાં જ્ઞાન સહાયક યોજના નાબુદ કરી કાયમી ભરતી કરવા માગ

આ પત્ર દ્વારા તેમણે માંગ કરી છે કે ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરવામાં આવે. તેના સ્થાને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. શક્તિસિંહ ગોહિલનો પત્રમાં દાવો છે કે રાજ્યમાં શિક્ષકોની 32,000 કરતાં વધુ જગ્યા ખાલી છે. જેની સામે TET-TAT પાસ 30,000 યુવક, યુવતીઓ કાયમી નોકરીની માંગ કરી રહ્યા છે. ત્યારે આ સંજોગોમાં કરાર આધારિત નોકરી કરવી કેટલી યોગ્ય છે ?

શક્તિસિંહે જ્ઞાન સહાયક યોજનાને ગણાવી ગેરબંધારણીય

એટલું જ નહીં આ પત્રમાં અનેક આંકડાકીય માહિતી આપીને ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પત્રમાં દાવો કરાયો છે કે ગુજરાતના 33 જિલ્લાની 1657 શાળા માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે. જ્યારે 14,652 શાળામાં એક જ વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલનું કહેવું છે કે એક તરફ જ્યારે શિક્ષણનું આ સ્તર છે ત્યારે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી ન કરવી એ બાળકોના ભણતરમાં સમસ્યા સર્જી શકે છે.

આ પણ વાંચો: TET-TAT ઉમેદવારોને શિક્ષણમંત્રીએ આપ્યો ઉડાઉ જવાબ, કહ્યું – જ્ઞાનસહાયકની વૈકલ્પિક વ્યવસ્થામાં જોડાઉ હોય તો જોડાવો નહીં તો ઘરે બેસો

રાષ્ટ્રીય શિક્ષણ નિતિમાં કાયમી શિક્ષકોની જોગવાઇ તો રાજ્યમાં જ્ઞાન સહાયક કેમ ?

ઉલ્લેખનીય છે કે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત માત્ર 11 મહિનાના કરાર આધારિત જ નોકરી આપવામાં આવે છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં માસિક 21,000, 24,000 અને 26,000ના ફિક્સ પગારથી નોકરી મળે છે. એક તરફ આકરી મહેનત કરી TET-TATની પરીક્ષાઓ ભાવિ શિક્ષક બનવાના સપના સાથે ઉમેદવારો પાસ કરે છે. જેની સામે જ્ઞાન સહાયક યોજનાના નામે તેમને માત્ર 11 મહિનાની કરારબદ્ધ નોકરી મળે છે. એ જ કારણ છે કે આ મુદ્દે ઉમેદવારોનું આંદોલન ઉગ્ર બન્યુ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video