ગુજરાતનું બજેટ આજે જાહેર થયું છે. આ બજેટમાં શિક્ષણ માટે ખાસ રજૂઆત કરવામાં આવી છે. કનુભાઈ દેસાઈએ શિક્ષણ અંગે રજૂઆત કરતા કહ્યું કે ગુજરાતની આશરે 36% વસ્તી યુવા છે. રાજ્યની આ યુવાશક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ, સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સતત કાર્યરત છે. સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા 81 લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ માટે ₹4827 કરોડની જોગવાઇ કરી છે.
યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ 10 જિલ્લાઓમાં કુલ 20 સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવામાં આવશે. જેનો લાભ 13 હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે.
“ખેલે તે ખીલે”ના અભિગમ સાથે ગુજરાતના યુવાનો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ સ્થાપવાનું આયોજન છે. યુવાનોને વિવિધ રમતગમત સ્પર્ધાઓ માટે તૈયાર કરવા ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે. અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને કરાઇ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓને ઉદ્યોગોની માંગ અનુરૂપ ટેકનોલોજી અને અદ્યતન સાધનોથી તાલીમ મળી રહે તે ઉદ્દેશથી આઇ.ટી.આઇ ને અપગ્રેડ કરવા ₹450 કરોડની માતબર જોગવાઇ કરી છેે. આ આયોજનથી આવનારા પાંચ વર્ષમાં અંદાજિત પાંચ લાખ તાલીમાર્થીઓ તેનો લાભ મળશે.
આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના યુગમાં આપણા યુવાનો દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે એલ.ડી.ઈજનેરી કોલેજ, અમદાવાદ ખાતે અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે AI લેબ સ્થાપિત કરવામાં આવશે.
અમદાવાદ ખાતેના i-Hub અને i-Create થકી સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ સફળતાપૂર્વક ઊભી થઇ છે. રાજ્યના અન્ય વિસ્તારમાં સ્ટાર્ટઅપ્સને વેગ આપવા માટે ચાર રીજીયનમાં i-Hubની સ્થાપનાનું આયોજન છે. રાજ્ય સરકારે સર્વિસ ક્ષેત્રમાં વધુ રોજગારીનું નિર્માણ કરવાના હેતુથી “ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ”(GCC) નીતિ અમલમાં મૂકી છે. જેના અમલથી આ ક્ષેત્રની ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે અને ૫૦ હજારથી વધુ રોજગારીનું સર્જન થશે.
આ બજેટમાં રાજ્યના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉપરાંત સ્ટાર્ટઅપ એકમોની વિવિધ યોજનાઓ હેઠળ સહાય માટે અંદાજે ₹3600 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાત ટેકસટાઇલ એકમો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અમલી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાય પૂરી પાડવા આ બજેટમાં ₹2000 કરોડની જોગવાઇ કરું છું.
કુટીર ઉદ્યોગ ક્ષેત્રમાં સ્વ-રોજગારીને પ્રોત્સાહન આપવા માટે “વાજપાઇ બેંકેબલ યોજના” હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રોમાં મળતી લોન વધારી ₹25 લાખ તથા સબસીડી રકમ વધારી ₹3 લાખ 75 હજાર કરવાનો નિર્ણય કરેલ છે. આ યોજનાની જોગવાઇમાં 100% નો વધારો કરીને ₹480 કરોડની જોગવાઇ સૂચવું છું.
આદિજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વ-રોજગારીની તક વધારવાની રાજ્ય સરકારની નેમ છે. આ માટે નાણાકીય સહાય માટે વ્યાજ સબસીડી આપવાની જાહેરાત કરું છું. આ બેંકેબલ યોજનામાં ₹10 લાખ સુધીની લોન ઉપર મહિલા લાભાર્થીઓને ૭% તથા પુરુષ લાભાર્થીઓને 6% વ્યાજ સહાયનો લાભ મળશે.
( ઈનપુટ ક્રેડિટ – કિંજલ મિશ્રા, રોનક વર્મા, નરેન્દ્ર રાઠોડ )
Published On - 2:41 pm, Thu, 20 February 25