Gir Somnath: સોમનાથ મંદિરના 73મા સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્વક કરાઈ ઉજવણી, 101 તોપોની સલામી સાથે કરાઈ હતી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા

Gir Somnath: આજના દિવસે સોમનાથ મંદિરમાં વિધિવિધાન સાથે 11 મે 1951ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ દિવસે યાદ કરી 73મા પ્રાણપ્રતિષ્ઠા સ્થાપના દિવસની સોમનાથ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

| Edited By: | Updated on: May 11, 2023 | 5:34 PM

કરોડો હિંદુઓના આસ્થાનું પ્રતીક અને 12 જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરમાં આજના દિવલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. 11 મે 1951ના રોજ સોમનાથ મંદિરમાં સંપૂર્ણ ધાર્મિક વિધિવિધાન સાથે તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાગના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ જે આ પ્રસંગના 73માં સ્થાપના દિવસ નિમીતે સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી છે.

સર્જન અને વિસર્જન પ્રક્રિયા વચ્ચે સોમનાથ મંદિરનો દબદબો યથાવત

સોમનાથ મહાદેવ મંદિરની સાથે અનેક ઐૅતિહાસિક ઘટનાઓ ઘટી ચુકી છે. આ એ જ પવિત્ર ભૂમિ છે જેને ભગવાન શ્રીકૃષ્ણએ દેહોત્સર્ગ માટે પસંદ કરી હતી. એક સમયે આ મંદિરની જાહોજલાલી એટલી હતી તેના પર મોગલો દ્વારા અનેકવાર ચડાઈ કરવામાં આવી હતી. આ મંદિર આખુ સૂવર્ણજડિત હતુ. પરંતુ વિદેશી આક્રાંતાઓ દ્વારા આ મંદિરને લૂંટવામાં આવ્યુ હતુ. જો કે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલને પ્રયાસો બાદ આ મંદિરનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને આજે આ મંદિરની જાહોજલાલી પરત આવી રહી છે. આ મંદિરના સર્જન અને વિસર્જન પ્રક્રિયા વચ્ચે પણ સોમનાથ મંદિરનો દબદબો રહ્યો છે.

11 મે 1951ની એ ધન્ય ક્ષણ હતી જ્યારે 101 તોપોની સલામી સાથે કરાઈ હતી શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા

વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે 73મો પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે. આ દિવ્ય પ્રસંગના પ્રસંગ સાક્ષી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમારે જણાવ્યું કે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે તત્કાલીન રાષ્ટ્રપતિએ શિવલિંગના તળ ભાગે રાખેલી સુર્વણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે 108 તીર્થસ્થાનોના અને 7 સમુદ્રોના જળ લાવીને સોમનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો અને એ ધન્ય પળે 101 તોપોની સલામી આપવામાં આવી હતી.

અખંડ ભારતના શીલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે કરાવ્યો હતો સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર

આ મંદિરના નવ નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો સિંહફાળો રહ્યો છે. તેમણે મંદિરની ગરીમા પરત લાવવા દરિયાકાંઠે જળ અંજલિ લઈને નવનિર્માણનો દૃઢ સંકલ્પ કર્યો હતો. એ પછી 11 મે ના રોજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો. જે તે સમયે સોમનાથ મહાદેવને ભારતની 108 નદીઓ, સાત મહાસાગરોના જળથી જળાભિષેક કરવામાં આવ્યો હતો. સવારે 9.46 મિનિટે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. આજે પણ મંદિરમાં ગર્ભગૃહને સૂર્વણથી મઢવામાં આવ્યુ છે. દ્વારશાખ આગળના સ્તંભો, નૃત્ય મંડપ, સભાગૃહના કળશો સૂવર્ણજડિત બન્યા છે. મંદિરના નાગર શૈલીના મહામેરૂપ્રસાદ દેવાલય છે. આ મંદિરને સાત માળ છે.

આ પણ વાંચો: Gir Somnath: સોમનાથ ટ્રસ્ટ મુક બધિર ક્રિકેટ ટુર્નામેન્ટનું યજમાન બન્યું, મુક બધિરોએ રમતનું કૌશલ્ય બતાવ્યું

સ્થાપનાદિને યોજાઈ કળશ યાત્રા

આજે મંદિરના મંદિરના 73 માં સ્થાપના દિવસ પર મૂળ સ્થાપના દિવસની સ્મૃતિમાં પવિત્ર જળની કળશ યાત્રા યોજવામાં આવી હતી. જ્યાં માતા સરસ્વતીએ વડવાનરને સમુદ્રમાં પધરાવેલ એવા રત્નાકર સમુદ્રના ઉદધિ જળ, હિરણ, કપિલા અને સરસ્વતી જ્યાં મહાદેવના ચરણ પખાળવા સાથે મળે છે એવું ત્રિવેણી સંગમ જળ, અને શિવજીએ પોતાની જટામાં ધારણ કરેલ ગંગા જળ લાવીને બાળાઓ દ્વારા કળશ માથા પર રાખીને સોમનાથ ટ્રસ્ટ પરિવાર, તીર્થ પુરોહિતો અને ભાવિકો સાથે મંદિરમાં કળશ યાત્રા કરી હતી. ઢોલ શરણાઈના નાદ સાથે આ યાત્રાથી સમગ્ર તીર્થ શિવમય બન્યું હતું.

ઈનપુટ ક્રેડિટ- યોગેશ  જોષી- ગીરસોમનાથ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 5:31 pm, Thu, 11 May 23