થોડા દિવસથી ગુજરાતમાં (Gujarat) મેઘરાજાએ ફરી ધબધબાટી બોલાવી છે. ગુજરાતમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. 12 સપ્ટેમ્બરના રાત્રે પણ ગિરનાર જંગલમાં 7 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. જેની અસર ગીર જંગલના પશુઓ પર પણ થઇ. આ ધોધમાર વરસાદના પગલે ગિરનારના જંગલમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતુ. એટલુ જ નહીં એક સિંહણનું (Lion) પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી મોત થયુ હોવાની માહિતી છે. વન વિભાગે સિંહણના મૃતદેહનો કબ્જો લઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ જિલ્લાના ગિરનારમાં 12 સપ્ટેમ્બરના રાત્રે ગિરનાર જંગલમાં 7 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. ગિરનાર જંગલમાં વધુ વરસાદ પડતાં એક સિંહણ પાણીના પ્રવાહમાં તણાઈ ગઇ હતી. લોલ નદીમાં પૂર આવતા સિંહણ પાણીમાં તણાઇને ડેરવાણ ગામ પહોંચી હતી. પાણીમાં તણાતાં સિંહણનું મોત થયુ છે. ગિરનારના ઉત્તર રેન્જમાં આ ઘટના બની છે. વન વિભાગ દ્વારા પણ સિંહણનું પાણીમાં ડુબી જવાથી મોત થયાની પુષ્ટિ કરી છે. વન વિભાગે ડેરવાણ ગામથી સિંહણનો મૃતદેહ પહોંચતા વનવિભાગ પહોંચી કબજો લીધો છે.
બીજી તરફ ગીરસોમનાથમાં જંગલનો રાજા સિંહ કૂવામાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે. જેને વનવિભાગે કલાકોની જહેમત બાદ બહાર કાઢ્યો છે. આ ઘટના ગીરગઢડાના ખિલાવડ ગામની છે. જ્યાં શિકારની શોધમાં નીકળેલો સિંહ રાત્રિના અંધારામાં કૂવામાં ખાબક્યો હતો. જે અંગે વાડીના માલિકે જાણ કરતાં જ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કૂવામાં ખાબકેલા સિંહને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સિંહ કૂવાની એક ભેખડ પર બેસી ગયો હતો. તેને બહાર કાઢવા માટે વનવિભાગે કલાકોની જહેમત ઉઠાવી હતી. આખરે વનવિભાગે સિંહને સલામત બહાર કાઢ્યો હતો. સિંહને બહાર કાઢીને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઈ જવાયો છે.
બીજી તરફ જૂનાગઢમાં ગિરનાર પર્વતનો આહલાદક નજારો જોવા મળ્યો છે. વાદળો સાથે વાતો કરતા ગિરનાર પર્વતની કેટલીક સુંદર તસવીરો કેમેરામાં કેદ થઈ છે. પર્વત સાથે વાર્તાલાપ કરતા હોય તેવો સુંદર નજારો ગિરનાર પર્વતનો જોવા મળ્યો હતો. રોપવેની સફર સાથે પ્રવાસીઓએ આહલાદક નજારો માણ્યો હતો.