સિંહની પજવણી કરનારા 8 ને પાંજરે પુરતુ વન વિભાગ, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પજવણીના વીડિયોમાં દેખાયા

જસાધાર રેન્જના અધિકારીઓએ સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી કરીને વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારના 8 યુવકોને ઝડપી પાડ્યા હતા. તમામ સામે વન્યજીવ સંરક્ષણ કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સિંહની પજવણી કરનારા 8 ને પાંજરે પુરતુ વન વિભાગ, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પજવણીના વીડિયોમાં દેખાયા
| Updated on: Jul 12, 2026 | 11:00 AM

ગીર સહિત અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સિંહ દ્વારા માનવ પર હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોના આધારે ગીર (પૂર્વ) વન વિભાગે સિંહની પજવણી કરવા અને પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ 8 યુવકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વન વિભાગના જણાવ્યા અનુસાર, ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક યુવકો સિંહની નજીક જઈ તેને હેરાન-પરેશાન કરતા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, હાલ જંગલ વિસ્તારમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે, આમ છતા જંગલના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા આ યુવકો જોવા મળ્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ વન વિભાગે તેની ગંભીર નોંધ લીધી લઈને કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે જસાધાર રેન્જના અધિકારીઓએ સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી કરીને વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારના 8 યુવકોને ઝડપી પાડ્યા હતા. તમામ સામે વન્યજીવ સંરક્ષણ કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વન વિભાગે જણાવ્યું છે કે, ગીરના જંગલ વિસ્તારમાં સિંહ સહિતના વન્યજીવોને હેરાન કરવી, તેમની નજીક જવાનો પ્રયાસ કરવો અથવા પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર પ્રવેશ કરવો ગંભીર ગુનો છે. આવા કૃત્યો વન્યજીવોના સ્વભાવમાં ફેરફાર લાવી શકે છે તેમજ માનવજીવન માટે પણ જોખમ ઉભું કરી શકે છે.

તાજેતરમાં ગીર પંથકમાં સિંહ દ્વારા માનવ પર હુમલાના બનાવોમાં વધારો જોવા મળતા વન વિભાગ વધુ સતર્ક બન્યું છે. અધિકારીઓએ લોકોને સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવવા કે રીલ્સ બનાવવાના હેતુથી જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ ન કરવાની અપીલ કરી છે.

વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વન્યજીવોની સુરક્ષા અને લોકોની સલામતી માટે આવા કિસ્સાઓમાં ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. વન્યજીવ સંરક્ષણના નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદા મુજબ પગલાં લેવામાં આવશે.

Junagadh News: ગિરનારની સીડીઓ ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો, પગના અવશેષો મળ્યા, ઘટના બાદ ગિરનાર પ્રવાસીઓ માટે બંધ

Follow Us