Night curfew in Gujarat : રાજ્યના 8 મહાનગરોમાં 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ યથાવત

|

Sep 14, 2021 | 5:26 PM

રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે.

GANDHINAGAR : રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, આમ છાતા સાવચેતીના ભાગરૂપે રાજ્યના ગૃહ વિભાગે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 25 સપ્ટેમ્બર સુધી યથાવત રાખવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના ગૃહવિભાગે જાહેર કરેલા હુકમ મુજબ રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે.

રાજ્યના ગૃહવિભાગે જાહેર કરેલા હુકમમાં જણાવાયું છે કે પ્રવર્તમાન પરિસ્થિતિનું પુનઃ સમીક્ષા કરીને રાજ્યના આ આઠ મહાનગરોમાં તારીખ 15-09-2021 થી 25-09-2021 સુધી રાત્રીના 11:00 વાગ્યાથી સવારના 6:00 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો સોમવારે 13 સપ્ટેમ્બરે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં કોરોનાના 12 નવા કેસો સામે આવ્યાં છે અને 16 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે અમદાવાદ સહિત 30 જિલ્લાઓમાં એક પણ નવા કેસની પુષ્ટિ થઈ નથી. અત્યાર સુધી, રાજ્યમાં આ કોરોનાના કુલ કેસોની સંખ્યા 825576 થઈ ગઈ છે.

રાજ્યના સુરત જિલ્લામાં સોમવારે સૌથી વધારે સાત દર્દીઓની પુષ્ટિ થઈ છે. આ સિવાય વડોદરામાં ચાર અને જામનગરમાં એક દર્દીની ઓળખ થઈ છે. રાજ્યના અન્ય ત્રીસ જિલ્લાઓમાં એક પણ દર્દી નોંધાયો નથી. કોરોનાના સંદર્ભમાં અત્યાર સુધી સૌથી વધુ દર્દીઓ ધરાવતા અમદાવાદ જિલ્લામાં સોમવારે એક પણ દર્દીની પુષ્ટિ થઈ નથી.

બીજી બાજુ, કોરોનાથી મુક્ત થયા બાદ 16 દર્દીઓને રજા આપવામાં આવી હતી, જેમાં કોરોનાને હરાવનારા લોકોની કુલ સંખ્યા 815386 થઈ ગઈ હતી. આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ 10082 દર્દીઓના મોત થયા છે. હાલમાં, કુલ 161 સક્રિય દર્દીઓમાંથી પાંચ વેન્ટિલેટર પર છે જ્યારે અન્ય 156 ની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે.

Published On - 2:41 pm, Tue, 14 September 21

Next Video