પાકિસ્તાની તંત્ર દ્વારા પકડાયેલા માછીમારો સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાની મરીન સિક્યુરિટી દ્વારા ગુજરાતના માછીમારોને પકડી જવાની ઘટનાઓ બને નહીં તે માટે આપણી મરીન સિક્યુરિટી સજાગ છે.
રાઘવજી પટેલે જણાવ્યુ કે માછીમારી દરમિયાન ગુજરાતના માછીમારો આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગી ન જાય તે માટે પણ અનેક જનજાગૃતિ કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. એટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા માછીમારોને તેમની બોટમાં જીપીએસ સિસ્ટમ લગાડવા માટે રૂ.20 હજાર જેટલી સહાય પણ ચૂકવવામાં આવે છે.
રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાનમાંથી ગુજરાતના માછીમારો અને તેમની પકડાયેલી બોટોને છોડાવવા માટે તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાત કરીને જરૂરી કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત વિદેશ મંત્રીને પણ લેખિત રજૂઆત કરી માછીમારો અને પકડાયેલી બોટોને છોડાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતના માછીમારો પાકિસ્તાનમાં કેદ છે તેમના પરિવારના જીવન નિર્વાહ માટે અગાઉ રાજ્ય સરકાર દ્વારા દૈનિક રૂ.50 પ્રતિ માછીમાર આપવામાં આવતા હતા. જે સહાય વર્ષ 2012માં વધારીને રૂ.150 કરવામાં આવી હતી. પકડાયેલા માછીમાર દીઠ વર્ષ 2019થી આ સહાય વધારીને દૈનિક રૂ.300 આપવામાં આવે છે તેમ રાઘવજીએ ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ રાજ્યના 560 માછીમારો પાકિસ્તાનની જેલમાં છે. છેલ્લા બે વર્ષમાં 274 માછીમારોને પાકિસ્તાની તંત્ર દ્વારા પકડવામાં આવ્યા છે. તે પૈકી બે વર્ષમાં 55 માછીમારોને પાકિસ્તાની જેલમાંથી છોડવામાં આવ્યા છે.