આજે ગુજરાત ભાજપના તમામ સાંસદોની દિલ્હીમાં સાંજે 4:30 વાગે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. ગરવી ગુજરાત ભવન ખાતે આ મહત્વની બેઠક યોજાશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં સાંસદો સાથે બેઠક યોજાશે. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહેવાના છે. તેમજ આ બેઠકમાં થોડા સમય માટે PM મોદી પણ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે.
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ અત્યારથી જ સજ્જ થઇ ગયું છે. ગુજરાતના ભાજપના સાંસદોને આજે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. જેમાં ગુજરાત ભાજપના તમામ 26 સાંસદોને તેમજ રાજ્યસભાના આઠ સાંસદોને બોલાવવવામાં આવ્યા છે. આજની આ બેઠકમાં લોકસભા ચૂંટણી અંગે પણ મહત્વની ચર્ચા થશે. કેટલાક સાંસદોને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે.
ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠક ઉપર જીત મેળવી હતી . આ જીત યથાવત્ રાખવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેની સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 26 બેઠકમાં અત્યાર સુધીમાં હાઇએસ્ટ માર્જીનથી કેવી રીતે જીતવું તેને લઇને આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. અહેવાલો એવા પણ પ્રાપ્ત થયા છે કે આ બેઠકમાં થોડી વાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.
પાંચ વર્ષ દરમિયાન સાંસદોના રિપોર્ટ કાર્ડ સીધા વડાપ્રધાન દ્વારા લેવામાં આવતા હોય છે. ત્યારે પાંચ વર્ષની અંદર વડાપ્રધાન દ્વારા કયા પ્રકારની કામગીરી થઇ છે. ગુજરાતના કયા સાંસદો છે કે જેણે ગુજરાતમાં સારી કામગીરી કરી છે. તો કયા સાંસદોની કામગીરી નબળી છે તે અંગેની તમામ બેઠકો ધ્યાનમાં લેવામાં આવશે.
કારણકે વિધાનસભા ચૂંટણીમાં પણ ઘણા ફેરફારો ઉમેદવારોના નામોને લઇને કરવામાં આવ્યા હતા. સાથે જ ગુજરાતના 156 ધારાસભ્યોમાં ઘણા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. ત્યારે આ તમામની વચ્ચે જ્યારે સાંસદોના નામની પસંદગી કરવામાં આવશે. કેટલા નવા ચહેરાઓને પ્રાધાન્ય મળશે, કેટલા સાંસદો ઉમેદવાર તરીકે રિપીટ થશે તેનો આધાર તેમના પાંચ વર્ષની કામગીરી પર રહેલો છે. આવતીકાલે દિલ્હી ખાતે યોજાનારી સાંસદોની બેઠકને આ માટે જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.