ગુજરાતમાં (Gujarat) રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યોની રચાયેલ કમિટીની બેઠકમાં તમામ માંગણીઓ સંતોષાતા આશા વર્કર બહેનો(Asha Worker) દ્વારા હડતાળ (Strike) પાછી ખેંચવાનો મહત્વનો નિર્ણય લીધો છે . જેમાં રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકની આશાવર્કર બહેનો દ્વારા ચાલી રહેલ હડતાળ સંદર્ભે તેમની તમામ માંગણીઓ સંતોષાતા તેઓના એસીએશન દ્વારા હડતાળ તાત્કાલિક પરત ખેચવાનો નિર્ણય કરાયો છે.જેમાં ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો દ્વારા રચાયેલી કમિટીની સભ્યો જીતુ વાધાણી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, હર્ષ સંધવી બ્રિજેશ મેરજા, નિમીષા સુથાર તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમા યોજાયેલ ફળદાયી બેઠકમાં તેઓની માંગણીઓ સંદર્ભે હકારાત્મક નિર્ણય લેવાતા હડતાળ પાછી લેવામાં આવી છે.
પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પંચાયત વિભાગ હસ્તકની આશાવર્કર બહેનો પ્રશ્નોના નિરાકરણ માટે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજય મંત્રી નિમીષા સુથારના અધ્યક્ષે વિવિધ તબક્કે બેઠકો યોજીને તેમની માંગણીઓ સંદર્ભે વિગતવાર ચર્ચાઓ કરાઈ છે. કોરોનાકાળ સહિત કોઈપણ પરિસ્થિતિમાં આ બહેનો ખડેપગે ફિલ્ડમાં કામ કરે છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સહાનુભૂતિ દાખવી છે. આ બહેનોની જે માગણીઓ આવી છે તે પૈકી મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આશા બહેનો દ્વારા જે માંગણીઓ કરાઈ છે જેમાં મુખ્યત્વે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા રૂપિયા 3000 માસિક ભથ્થું અપાય છે એમાં રૂપિયા 2000નો વધારો કરી આપવા માટે કમિટી એ હકારાત્મક અભિગમ દાખવ્યો છે. આ ઉપરાંત બે સાડી આપવાની માંગણી તથા કામગીરી અંગે જે વહીવટી સુધારણાને લગતા પ્રશ્નોના નિવારણ માટે પણ જરૂરી કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચનાઓ આપી દેવાઈ છે. એટલે સૌ આશા બહેનોએ હડતાલ પાછી ખેચીને જનસેવામાં જોડાવવા અપીલ કરતા એસોસીએશને હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની હડતાળ પણ સમેટાઈ છે. આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મીઓ દ્વારા જે માંગણીઓ કરાઈ છે જેમાં તેમને ટેકનિકલ ગણવા, ફેરણી ભથ્થું તથા કોરોના કાળ દરમિયાન રજામા બજાવેલ ફરજોનો પગાર આપવા માટેની જે મહત્વની માગણીઓ હતી તે તમામ માગણીઓ સ્વીકારી તે સંદર્ભે રાજ્ય સરકાર આગામી એક માસમાં હકારાત્મક રીતે નિર્ણય લેશે. એટલે સૌ કર્મીઓને હડતાલ પાછી ખેચીને જનસેવામાં જોડાવવા અપીલ કરતા એસોસીએશને હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો છે.