ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 13 માર્ચના રોજ નવા 48 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 268એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં 30 , ભાવનગરમાં 4, રાજકોટમાં 4, વડોદરામાં 4, અમરેલીમાં 3, મહેસાણામાં 2, સુરત જિલ્લામાં 2, અમદાવાદ જિલ્લામાં 1, સુરતમાં 2, ગાંધીનગરમાં 1, ગીર સોમનાથમાં 1, પોરબંદરમાં 1, રાજકોટ જિલ્લામાં 1, સાબરકાંઠામાં 1 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.11 ટકા થયો છે. તેમજ કોરોનાથી 23 દર્દી સાજા થયા છે. આજે કોરોનાંથી એક પણ મોત થયુ નથી.
ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા છેલ્લા 10 દિવસમાં 7 ગણો વધારો થયો છે.
કર્ણાટકના મૃતકની ઓળખ 87 વર્ષીય હીરે ગૌડા તરીકે કરવામાં આવી છે, જેઓ કર્ણાટકની હોસ્પિટલમાં 24 ફેબ્રુઆરીના રોજ સારવાર માટે દાખલ થયા હતા. જ્યારે હરિયાણાના 56 વર્ષીય દર્દીને ફેફસાનું કેન્સર હતું અને તેઓને જાન્યુઆરીમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. બંને મૃતકોમાં H3N2ના લક્ષણો જોવા મળ્યા હતા. જ્યારે વડોદરાની પ્રૌઢા નવા વાયરસના ચેપનો ભોગ બની હતી. શહેરના ફતેગંજ વિસ્તારના 58 વર્ષિય મહિલાનું H3N2ને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. મહિલાની SSG હોસ્પિટલમાં મહિલાની સારવાર ચાલતી હતી. મહિલા હાઈપર ટેન્શનના દર્દી હતા અને વેન્ટિલેટર પર હતા. H1N1થી મ્યુટેટ થયેલા H3N2 વાયરસથી દેશમાં આ ત્રીજુ મોત છે.
H3N2 ફ્લૂના લક્ષણો વિશે વાત કરીએ તો, તેમાં તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, ઉલ્ટી અને ઝાડા સામેલ છે. ડોકટરોના મતે, આ ફ્લૂ સામાન્ય રીતે 5 થી 7 દિવસ સુધી રહે છે. ચિંતાજનક વાત એ છે કે ફ્લૂના ત્રીજા દિવસે તાવ ઉતરી જાય છે, પરંતુ તેમાંથી આવતી ઉધરસ 3 અઠવાડિયા સુધી રહી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ દિલ્હી-એનસીઆરમાં 40 ટકા લોકો આ ફ્લૂ સામે લડી રહ્યા છે. એટલું જ નહીં, ઘણા લોકો પોસ્ટ વાયરલ બ્રોન્કાઇટિસના કારણે હોસ્પિટલમાં આવી રહ્યા છે.
2011 માં, એવિયન, સ્વાઈન અને હ્યુમન ફ્લૂ વાયરસના જનીનો સાથેનો ચોક્કસ H3N2 વાયરસ અને 2009ના H1N1 રોગચાળાના વાયરસમાંથી M જીન પ્રથમ વખત મળી આવ્યો હતો. આ વાયરસ 2010 થી ડુક્કરમાં ફરતો હતો અને 2011 માં પ્રથમ વખત માનવોમાં જોવા મળ્યો હતો. 2009 M જનીનનો સમાવેશ આ વાયરસને અન્ય સ્વાઈન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ કરતાં લોકોને વધુ સરળતાથી સંક્રમિત કરવાની મંજૂરી આપે છે.
હેલ્થ એક્સપર્ટના મતે આ વાયરસ દર વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં દસ્તક દે છે. તેનું કારણ હવામાનમાં આવેલ ફેરફાર છે. જો કે, આ સમય દરમિયાન લોકોએ પોતાની જાતની ખૂબ કાળજી લેવાની જરૂર છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે 5 વર્ષથી નીચેના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને આ વાયરસનું જોખમ વધારે છે. જો આવા કોઈ લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.
ગુજરાતમાં પણ H3N2 વાયરસના કેસ ખૂબ જ વધ્યા છે. ત્યારે ડૉકટર્સે દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝા વિશે સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ વાયરસ પણ કોરોનાની જેમ જ ફેલાય છે. તેનાથી બચવા માટે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો.
Published On - 8:13 pm, Tue, 14 March 23