વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) દ્વારા તાજેતરમાં અમદાવાદ મેટ્રો રેલ(Metro Train) પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં મેટ્રોના લોકાર્પણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ(Student) આ અત્યાધુનિક પ્રોજેક્ટના વિવિધ પાસાંઓ જેવા કે વિકાસ, સંચાલન, દેખરેખ વગેરેને પ્રત્યક્ષ રીતે નિહાળે જેથી તેઓમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગની સમજ કેળવાય તથા આ પ્રણાલીને પોતાની સમજી તેનું સમજણપૂર્વક જતન કરે અને કરાવે તેવી ભાવના કેળવાય. વડાપ્રધાનની ઉક્ત લાગણીને અનુસરીને શિક્ષણ વિભાગના અગ્રસચિવ ના અધ્યક્ષસ્થાને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારી સાથે પ્રથમ તબક્કે અમદાવાદ-ગાંધીનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે મેટ્રોની પ્રત્યક્ષ મુલાકાતનું શનિવારે આયોજન કરવામાં આવ્યું છે.
આ મેટ્રો સ્ટડી ટૂરમાં આશરે 1000 વિદ્યાર્થીઓની સાથે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહેશે. આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અગ્ર સચિવ એસ.જે. હૈદર અને ટેકનિકલ શિક્ષણ વિભાગના નિયામક જી.ટી.પંડ્યા તેમજ અમદાવાદ મેટ્રોના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે મેટ્રો પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ જનસમુદાયને આધુનિક, સલામત, ઝડપી અને ઇકો ફ્રેન્ડલી પરિવહન સેવાઓ નજીવા દરે પ્રાપ્ત થાય અને એ સાથે જ ટ્રાફિક સમસ્યાઓમાં ઘટાડો થાય તે છે.
મેટ્રોના 21 કિલોમીટર લાંબા પૂર્વ-પશ્ચિમ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદી પરથી પસાર થશે અને જમીનની નીચે ભૂગર્ભમાંથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડે છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્હી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝૂ તરફ જતાં 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે.
Published On - 10:41 pm, Fri, 7 October 22