BANASKANTHA : જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ થયા બાદ વાવેતર થઇ ગયા બાદ વરસાદ થયો નથી. વરસાદ વિના ખેડૂતોને બિયારણ તેમજ ખાતરના નાણાં વેડફાય તેવી શક્યતા છે.
બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારથી લઈ પર્વતીય વિસ્તારમાં વરસાદ ઓછો છે. અષાઢી બીજ બાદ ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું. તે બાદ વરસાદ થવો જોઈએ તે વરસાદ થયો નથી. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો 3 લાખ 57 હજાર હેક્ટરમાં ખરીફ સીઝનમાં વાવેતર થયું છે. જો વરસાદ ન આવે તો આ તમામ વિસ્તારમાં વાવેતર નિષ્ફળ જાય તેવી શક્યતા છે.
એક તરફથી આ વિસ્તારમાં ભુગર્ભ જળ ઉંડા જવાથી ખેડૂતો પિયત વિસ્તારમાં પાણીની મુશ્કેલી છે, જ્યારે બીજી તરફ બિન પિયત વિસ્તારમાં વરસાદ વિના વાવેતર કરેલો વિસ્તારમાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. જીલ્લાના ખેડૂતો વિના વરસાદે કફોડી પરિસ્થિતિમાં છે અને વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએથી નિવેદન આપવામાં આવ્યું છે કે ચાલું વર્ષે ખરીફ ઋતુમાં 3 લાખ 64 હાજર હેક્ટરમાં જુદા જુદા પાકોનું વાવેતર થયું છે. હાલની પરિસ્થિતિ મૂજબ જોઈએ તો એકંદરે વરસાદ થોડા થોડા અંતરે પડી રહ્યો છે, જેથી પાકની સ્થિતિ હાલ સારી છે, પાક સુકાવાની શકયતા રહેલી નથી. પરંતુ જો વરસાદ 10 – 15 દિવસ પછી મોડો આવશે, પાકની પરિસ્થિતિમાં સંભવિત નુકસાન થવાની શક્યતા રહેલી છે.
બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં વાવેતર થઇ ચૂક્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ વધુ દસ દિવસ સુધી વરસાદ ખેંચાય તેમ છતાં ખેતીના પાકોને નુકશાન થઈ શકે તેવી શક્યતા નહિવત છે. પરંતુ જો વરસાદ દસ દિવસથી વધુ ખેંચાશે તો ખેતીના પાકોને મોટું નુકસાન થશે.
જિલ્લાના પિયત વિસ્તાર તેમજ બિન પિયત વિસ્તારમાં વરસાદના પાણીની મુશ્કેલી સર્જાઇ રહી છે.વરસાદ વિના ખેતીના પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. ત્યારે ખેડૂતો આકાશ તરફ મીટ માંડી કાળા વાદળોની આશા ફરી આંખે પ્રતીક્ષા કરી રહ્યા છે.