સમાજ સેવાને વરેલી રોટરી ક્લબ ઓફ બરોડા કોસ્મોપોલિટન દ્વારા રૂ.૨૯ લાખથી વધુ કિંમતની એરકન્ડિશન અને રક્તદાન લેવા અને મળેલા રક્તને ઠંડા વાતાવરણમાં સાચવવા સહિતની અદ્યતન સુવિધાઓ થી સુસજ્જ અને ગમે તે સ્થળે તાત્કાલિક રક્તદાન શિબિર યોજવાની સુવિધા આપતી મોબાઇલ બ્લડ કલેક્શન વાનની સયાજી હોસ્પિટલ બ્લડ બેંકને ઉપયોગી સખાવત કરવામાં આવી હતી.
જેમાં પ્રશાંત જાની અને પ્રકાશ મસંદ સહિત રોટરી પદાધિકારીઓએ આ વાન સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક અને રોટરી ક્લબના સક્રિય સદસ્ય ડો.રંજન કૃષ્ણ ઐયરને સયાજી હોસ્પિટલ બ્લડ બેંકમાં ઉપયોગ માટે અર્પણ કરી હતી.
આ પ્રસંગે રોટરી પદાધિકારી એ જણાવ્યું હતું કે,અમારા કાર્યકાળનું આ શ્રેષ્ઠ માનવસેવા કાર્ય છે.સમુદાય માટે કશુંક નક્કર કરવાની અમારી મહેચ્છા આ સખાવત થી ફળીભૂત થઇ છે.
હરતી ફરતી બ્લડ બેંક જેવી આ વાન અમિતાભ બચ્ચનની મેકઅપ વાન જેવી સુંદર અને સુવિઘાયુક્ત છે તેવા શબ્દોમાં પોતાનો આનંદ વ્યક્ત કરતાં તબીબી અધિક્ષકએ જણાવ્યું કે,તેની મદદ થી સયાજી હોસ્પિટલ બ્લડ બેંકની પ્રવૃત્તિઓ વેગવાન બનશે અને અમે રક્તદાન પ્રવૃત્તિને અંતરિયાળ ગામડાઓ સુધી વ્યાપક બનાવી શકીશું.
આ વાન જનરેટરથી સુસજ્જ હોવાથી વીજ પ્રવાહ ન હોય ત્યાં પણ એસી અને ફ્રીજર ચાલુ રાખી શકાય એવી જાણકારી આપતાં તેમણે ઉમેર્યું કે,તેના ફ્રીજરમાં દાનમાં મળેલા રક્તના ૧૦૦ પાઉચ ઠંડા વાતાવરણમાં સાચવવાની સગવડ છે.રકતદાતા આરામ થી લોહી આપી શકે તે માટે બે રિકલાઇનર કાઉચ,ચાર્જિંગ પ્લગ જેવી આધુનિક સગવડો છે. આ રક્તદાન સેતુ વાહનથી બ્લડ બેંકની કામગીરીમાં સક્રિયતા વધશે અને સંવર્ધન થશે.
તેમણે રોટરી ક્લબ સયાજી હોસ્પિટલને અવાર નવાર સાધનસામગ્રીની સહાય દ્વારા મદદરૂપ બને છે તેના ઉલ્લેખ સાથે સંસ્થાનો આભાર માન્યો હતો.
સામાન્ય રીતે ગામડાઓમાંથી રક્તદાન મેળવવું મુશ્કેલ પડે છે. તેમજ રક્તદાન લીધા બાદ તેની સાચવણી પણ એટલી જ જરૂરી છે. જેના લીધે તે રક્તદાન જરૂરી દર્દીઓ સુધી પહોંચી શકે. તેથી ગ્રામીણ વિસ્તારોમાંથી રક્તદાન મેળવવા માટે આધુનિક સુવિધા ધરાવતી વાનોની જરૂર હોય તે સ્વાભાવિક છે.
તેવા સમયે રોટરી ક્લબ ઓફ વડોદરા દ્વારા સયાજી હોસ્પિટલને અર્પણ કરવામાં આવેલી આ આધુનિક સુવિધાથી સજ્જ વાન સેવા કાર્યમાં ઉપયોગી થશે. તેમજ ગ્રામીણ વિસ્તારમાંથી રક્તદાન મેળવવાની પ્રવુતિને પણ વેગ મળશે. તેમજ ગ્રામીણ લોકોને જનજાગૃતિના માધ્યમથી રક્તદાન તરફ વાળી શકાશે .
આ પણ વાંચો : Ahmedabad: રાજ્ય સરકારને ઝટકો, લવજેહાદના કાયદામાં કલમ-5 પર સ્ટે હટાવવાની માગ હાઇકોર્ટે ફગાવી
આ પણ વાંચો : Ind vs Eng: રિષભ પંતે વિરાટ કોહલીને સમર્થન આપ્યું, ટોસ જીત્યા બાદ બેટિંગના નિર્ણય પર કહી આ વાત
Published On - 5:15 pm, Thu, 26 August 21