Dahod: કુપોષણ દુર કરવાની વાતો વચ્ચે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા, શાળામાં જીવાતવાળુ અનાજ વિતરણ કરાતા વાલીઓમાં રોષ

દાહોદ (Dahod) જિલ્લાના ફતેપપુરાના ભીચોર પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજન અંતર્ગત બાળકોને સડેલા અને અખાદ્ય ચોખા આપવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Dahod: કુપોષણ દુર કરવાની વાતો વચ્ચે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા, શાળામાં જીવાતવાળુ અનાજ વિતરણ કરાતા વાલીઓમાં રોષ
દાહોદ જિલ્લાની શાળામાં સડેલા અનાજનું વિતરણ
| Edited By: | Updated on: Jun 01, 2022 | 2:15 PM

દાહોદ (Dahod) જિલ્લામાં પુરવઠા વિભાગની (Supply Department) બેદરકારી સામે આવી છે. દાહોદના ભીચોર પ્રાથમિક શાળામા નાના બાળકોને મધ્યાહન ભોજન (Mid day meal) અંતર્ગત સડેલું અનાજ આપવામાં આવતા વિવાદ થયો છે. સરકારી અનાજની દુકાન પરથી શાળા સંચાલકને ચોખા આપવામાં આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓને અખાદ્ય અનાજ આપતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

મધ્યાહન ભોજન માટે અપાયુ સડેલુ અનાજ

દાહોદ જિલ્લાના ફતેપપુરાના ભીચોર પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજન અંતર્ગત બાળકોને સડેલા અને અખાદ્ય ચોખા આપવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા બાળકોને આપવામાં આવતુ મધ્યાહન ભોજન પૌષ્ટિક અને ગુણવત્તાસભર આપવા અંગેનો પરિપત્ર જાહેર કરવામા આવેલો છે.

બાળકોને આપવામાં આવતા અનાજને પહેલા આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા ચકાસણી કરવામાં આવે છે. પરંતુ ભીચોર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા આ પરિપત્રના જાણે કે ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. જયારે આ અનાજ આચાર્ય દ્વારા જાતે જ વિતરણ કરવામા આવ્યું હોવાનુ બાળકો તેમજ બાળકોના વાલીઓ દ્વારા જણાવેલ છે જે બાબતે આચાર્યનો સંપર્ક કરતા આચાર્ય જવાબ આપવાનુ ટાળ્યું હતું.

લેબ ટેસ્ટ બાદ અપાય છે અનાજ, કઠોળ: પુરવઠા વિભાગ

સડેલા ચોખા મળી આવતા આ શાળાના આચાર્યનો સંપર્ક કરતા આચાર્ય દ્વારા એસ.એમ.સી. સભ્યોની હાજરીમાં અનાજનો જથ્થો લીધાનું જણાવવામાં આવ્યુ. બીજી તરફ જયારે આ બાબતે મામલતદાર ફતેપુરા અને નાયબ મામલતદાર સાથે સંપર્ક કર્યો તો તેમણે ફોન જ રીસીવ ન કર્યો. પુરવઠા વિભાગના ડેપો મેનેજરને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, અમારી પાસે આવો કોઈ મુદ્દો આવ્યો નથી અને જણાવવામાં આવ્યુ કે કોઈ પણ મધ્યાહન ભોજન માટે મોકલવામાં આવતા ચોખા કે કઠોળને અમે અહીંયા લેબ ટેસ્ટ કરી અને ત્યારબાદ જ મોકલીએ છીએ.

સવાલ એ છે કે જો ગોડાઉનમાંથી આનાજ ચકાસણી કર્યા બાદ ટેસ્ટ કર્યા પછી જ અનાજ નો જથ્થો મોકલવામા આવે છે તો આ સડેલા ચોખા આવ્યા ક્યાંથી? એક તરફ બાળકોને કુપોષણથી બચાવવા માટે સરકાર દિવસરાત એક કરી ગુજરાતના કુપોષિત બાળકોના આંકડા ઓછા કરવા માટે મહેનત કરી રહી છે અને બીજી તરફ આવી હલકી ગુણવત્તાનું અનાજ બાળકો માટે મોકલી અને તેમના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.