નવી સિવિલ હોસ્પિટલમાં આજે ડોક્ટરોએ કાળા કપડાં પહેરીને પોતાની ફરજ બજાવવાની સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધમાં સામેલ ઇન સર્વિસ ડોક્ટર દ્વારા પોતાના પડતર પ્રશ્નો બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં અત્યાર સુધી કોઈ નિરાકરણ નહીં આવતાં નારાજ થયેલા ડોક્ટરોએ હવે અચોક્કસ મુદતની હડતાળની ચિમકી આપી છે.
સિવિલના ડોકટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું છે કે રાજ્યમાં ફરજ બજાવતાં ડૉક્ટરોએ ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નો બાબતે માંગણી કરી છે. વિરોધ પ્રદર્શન પણ કર્યા છે અને પત્રો પણ લખ્યા છે. છતાં પણ અમે અત્યાર સુધી કોઈપણ માંગણી સ્વીકારવામાં આવી નથી.
થોડા દિવસો પહેલાં પણ ડોક્ટરો દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમ છતાં કોઈ નિરાકરણ નથી આવતા હવે ફરીથી વિરોધ નોંધાવવા અને પોતાની માંગણીઓ તેમ જ પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એનપીએ, એન્ટ્રી પે, ટીકુ લાભ વગેરે સહિત વિવિધ 11 મુદ્દાઓને લઈને પડતર માંગણીઓ અને પ્રશ્નો ડોક્ટરો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. આ મુદ્દાઓને લઈને ઇન સર્વિસ ડોક્ટરોએ આજે કાળા કપડાં પહેરી પોતાની ફરજ બજાવી હતી.
ડો.ઓમકાર ચૌધરીએ ઉમેર્યું હતું કે કોરોનાના સમયમાં ડોક્ટરો રાત દિવસ જોયા વગર પરિવારને ભૂલીને દર્દીઓની સેવા કરી રહ્યા છે. પરંતુ વિવિધ પડતર પ્રશ્નો બાબતે આજદિન સુધી ડોકટરોને સાંભળવામાં આવ્યા નથી. તેમજ હજી જો માંગણી પૂર્ણ કરવામાં ન આવે તો આગામી 25 જુનથી અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ચીમકી પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો: Surat: ભરનિંદ્રામાં સુતેલા પરિવાર પર છતનો પોપડો પડતા માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો, જર્જરિત આવાસ સામે ઉઠ્યા સવાલ
Published On - 3:25 pm, Mon, 21 June 21