RAJKOT : વજુભાઈ સાથેની મુલાકાત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મોટી જાહેરાત, કહ્યું “અમારા વડીલ હવે અમારી સાથે છે”
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વજુભાઈ સાથેની આ શુભેચ્છા મુલાકાત રાજકીય દ્રષ્ટીએ ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.
RAJKOT : રાજ્યના મુખ્યપ્રધાન સીએમ રૂપાણી આજે જન્મ દિવસ છે અને આ નિમિત્તે તેમણે સૌથી પહેલા ભાજપના કદાવર નેતા વજુભાઈ વાળાના આશીર્વાદ લીધા.તેઓ વજુભાઈ વાળાના ઘરે પહોંચ્યા.વજુભાઈ વાળા સાથેની મુલાકાત બાદ મુખ્યપ્રધાને ઘણી સૂચક અને મહત્વની વાતો કરી.
તેમણે કહ્યું કે અમારા બધા માટે આનંદની વાત છે કે હવે વડીલ વજુભાઈ અમારી સાથે છે. પાર્ટીના કાર્યકર્તાઓને બહુ મોટી હૂફ, માર્ગદર્શન અને એમની મદદ મળતી રહેશે. રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, એ સતત આગળ વધતો રહે અને એમના માર્ગદર્શનથી અમને લાભ થશે.
વજુભાઈના રાજકારણમાં ફરી સક્રિય થવા અંગે તેમણે કહ્યું કે વજુભાઈનો સ્વભાવ છે કે એક આદર્શ કાર્યકર્તા તરીકે જીવનપર્યંત પાર્ટી અને ભારતમાતાની જય એ જ જીવનમંત્ર બનાવીને, RSS ના સ્વયંસેવકથી શરૂ કરીને, જનસંઘથી માંડીને ભારતીય જનતા પાર્ટીમાં એમણે જીવનભર કામ કર્યું છે, એટલે વજુભાઈ કદી નિવૃત્ત હોય જ ન શકે. વજુભાઈ અલગ અલગ સ્વરૂપે કામમાં છે. અને હવે તેઓ પાર્ટી અને પાર્ટીના કાર્યકર્તાઓની ચિંતા કરશે.
વજુભાઈ વાળાની સાથે મુલાકાત બાદ તરત જ મીડિયાને સંબોધતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે આજે રાજ્યમાં સેવાસેતુ અંતર્ગત 500 જેટલા સ્થળોએ રાજ્ય સરકારની 58 સેવાઓ નાગરિકોને સ્થળ પર જ મળશે.