શું આને જ કહીશું વિકાસ? કરોડોની હોસ્પિટલ માત્ર શોભાના ગાંઠિયા જેવી, પ્રસૂતાઓને આજે પણ ‘ઝોળી’નો સહારો – જુઓ Video

ગુજરાતમાં વિકાસના મોટા દાવાઓ વચ્ચે એક શરમજનક વાસ્તવિકતા સામે આવી છે. છોટાઉદેપુરના નસવાડીમાં આઝાદીના આઝાદીના 8 દાયકા બાદ પણ રસ્તા નથી, જેના કારણે સગર્ભા મહિલાઓને આજે પણ લાકડી અને કપડાની ઝોળીમાં ઊંચકીને હોસ્પિટલ લઈ જવી પડે છે.

શું આને જ કહીશું વિકાસ? કરોડોની હોસ્પિટલ માત્ર શોભાના ગાંઠિયા જેવી, પ્રસૂતાઓને આજે પણ ઝોળીનો સહારો - જુઓ Video
| Edited By: | Updated on: Mar 15, 2026 | 8:12 PM

ગુજરાતમાં વિકાસના દાવાઓ વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની એક વાસ્તવિકતા સામે આવી છે. અહીંના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં આઝાદીના દાયકાઓ બાદ પણ પાકા રસ્તાની સુવિધા ન હોવાથી સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને કુકરદા, નલિયા બારી અને ખોખરા જેવા ગામોમાં સગર્ભા મહિલાઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે પરિવારે આજે પણ લાકડા અને કપડાની ઝોળીનો સહારો લેવો પડે છે.

એમ્બ્યુલન્સ પહોંચવી અશક્ય, જીવનું જોખમ

પથ્થરાળ માર્ગો અને ઊંચા ઢોળાવોને કારણે આ ગામો સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી. પ્રસૂતિની પીડા ઉપડે ત્યારે મહિલાઓને ઝોળીમાં સુવડાવી 2 થી 4 કિલોમીટર સુધી પથરાળ રસ્તે ચાલીને લઈ જવી પડે છે. આ વિલંબ અને જોખમી મુસાફરીને કારણે અગાઉ ઘણી વખત રસ્તામાં જ પ્રસૂતિ થઈ જવાના અથવા માતા અને નવજાત બાળકના મોત નિપજવાના કિસ્સાઓ પણ નોંધાયા છે.

ધૂળ ખાઈ રહી છે ‘એમ્બ્યુલન્સ’

સ્થાનિક તંત્રની ગંભીર બેદરકારી એ છે કે, આવા દુર્ગમ માર્ગો માટે ખાસ ફાળવવામાં આવેલી બે અદ્યતન એમ્બ્યુલન્સ ગઢ બોરિયાદ હોસ્પિટલના પ્રાંગણમાં ધૂળ ખાઈ રહી છે. મળતી માહિતી મુજબ, આ એમ્બ્યુલન્સનું હજુ સુધી લોકાર્પણ થયું ન હોવાથી તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો નથી. આ બાબતે જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કર્યો હતો.

6.50 કરોડની હોસ્પિટલમાં ડોક્ટરનો અભાવ

મુશ્કેલી માત્ર રસ્તા પૂરતી સીમિત નથી. ગઢ બોરિયાદમાં 6.50 કરોડના ખર્ચે હોસ્પિટલ તો બનાવવામાં આવી છે પરંતુ ત્યાં ગાયનેક ડોક્ટર જ ઉપલબ્ધ નથી. પરિણામે, ગંભીર હાલતમાં પ્રસૂતાઓને નસવાડી, રાજપીપળા કે વડોદરા સુધી લાંબો ધક્કો ખાવો પડે છે. જિલ્લાના ઉચ્ચ પદો પર મહિલા અધિકારીઓ હોવા છતાં પ્રસૂતાઓની આ પીડાનો કોઈ ઉકેલ આવતો નથી તે એક મોટો પ્રશ્ન છે.

વહીવટી તંત્રના અધિકારીઓનું કહેવું છે કે, અંતરિયાળ વિસ્તારોમાં કરોડોના ખર્ચે બે નવા રસ્તાઓનું કામ ચાલી રહ્યું છે. આ રસ્તાઓનું કામ પૂર્ણ થયા બાદ જ આ વિસ્તારની આરોગ્ય અને પરિવહનની સમસ્યાનું કાયમી નિવારણ આવશે.

Input Credit- Maqbul Mansuri- Chhota Udepur

આ પણ વાંચો: સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ Video

Follow Us