Chhota Udepur: અંધારપટમાં જીવતા ગ્રામજનો બન્યા ‘બાહુબલી’, 1 હજાર કિલો વજનનું ટ્રાન્સફોર્મર ઊંચકી જાતે ગામમાં લાવ્યા

છોટાઉદેપુર (ChhotaUdepur)જિલ્લાના નસવાડી તાલુકામાં ડુંગરાળ પ્રદેશમાં આવેલા છેવાડાના ગામ સાંકડીબારીમાં 15 દિવસથી અંધારપટ છવાયેલો છે. ભારે ખાબકેલા વરસાદ બાદ અહીં ટ્રાન્સફોર્મર બળી ગયુ હતુ.

Chhota Udepur: અંધારપટમાં જીવતા ગ્રામજનો બન્યા બાહુબલી, 1 હજાર કિલો વજનનું ટ્રાન્સફોર્મર ઊંચકી જાતે ગામમાં લાવ્યા
ટ્રાન્સફોર્મર ઊંચકીને લઇ જવા મજબૂર બન્યા ગ્રામજનો
| Edited By: | Updated on: Jul 18, 2022 | 2:11 PM

રાજ્યમાં ગતિશીલ ગુજરાતના (Gujarat) બણગા તો ખૂબ ફૂંકવામાં આવે છે. પરંતુ કેટલાક સ્થળો એવા છે જ્યાં હજુ સુધી પાકા રસ્તા નથી બન્યા. જુઓ આ છે ગતિશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતા. આ દ્રશ્યો છે છોટાઉદેપુરના (Chhota Udepur)નસવાડી તાલુકાના સાંકડીબારી ગામના. જ્યાં આઝાદી બાદ ક્યારેય પાકો રસ્તો ન બનતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેમાં છેલ્લા 15 દિવસથી ગામનું વીજ ટ્રાન્સફોર્મર (Power transformer) બળી જતા વીજ કંપનીને જાણ કરી હતી. પરંતુ કોઇ કાર્યવાહી ન થતા આખરે ગ્રામજનો એક ટન વજનનું ટ્રાન્સફોર્મર 6 કિલોમીટર ઉંચકીને વીજ ટ્રાન્સફોર્મર જીપ સુધી લાવ્યા હતા.

વારંવાર રજૂઆત પણ સમસ્યાનો હલ નહીં

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ડુંગરાળ પ્રદેશમાં આવેલા છેવાડાના ગામ સાંકડીબારીમાં 15 દિવસથી અંધારપટ છવાયેલો છે. ભારે ખાબકેલા વરસાદ બાદ અહીં ટ્રાન્સફોર્મર બળી ગયુ હતુ. જેના પગલે ઘણા દિવસથી ગામના લોકો ભારે હાલાકી સહન કર રહ્યા હતા. ગ્રામજનોએ MGVCL ની કચેરીમાં આ અંગે વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ નિકાલ ન આવતા આખરે ટ્રાન્સફોર્મરને ગ્રામજનો જાતે જ લાવવા મજબૂર બન્યા હતા. આખરે ગ્રામજનો એક ટન વજનનું ટ્રાન્સફોર્મર 6 કિલોમીટર ઉંચકીને વીજ ટ્રાન્સફોર્મર જીપ સુધી લાવ્યા હતા. ગામમાં અંધારપટ હોવાથી ગ્રામજનો ટ્રાન્સફોર્મરને કોતરોના પાણી અને ઉંચા નીચા ડુંગરો પાર કરીને નસવાડી લાવ્યા હતા.

ગ્રામજનોએ જાતે જ ઊચકીને ટ્રાન્સફોર્મર લાવવું પડ્યુ

જો કે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીએ ટ્રાન્સફોર્મરને જાતે જ ગામમાં જઇને બદલી આપવાના બદલે માત્ર વીજ પુરવઠો ચાલુ કરવાની ખાતરી જ આપી હતી. MGVCLના જુનિયર ઈજનેર એસ.એચ.પટેલે મીડિયા સાથેની વાતચીતમાં વીજ ટીસી બળી ગયું અને પાકો રસ્તો ન હોવાની વાત સ્વીકાર કર્યો હતો. વીજ પાવર શરૂ થઈ જશે તેવી ઈજનેરે ગ્રામજનોને ખાતરી આપી હતી.

આ અગાઉ પણ છોટા ઉદેપુરમાં આવી જ એક ઘટના બનેલી છે. થોડા દિવસ પહેલા જનીયારા ગામે બે સપ્તાહ પહેલા વાવાઝોડાને (Cyclone) કારણે અનેક વીજપોલ ધરાશાયી થયા હતા. જો કે MGVCL આજ સુધી આ વીજપોલ ફરીથી ઊભા કરવા આવ્યા ન હતા. વીજળી વગર ખેડૂતો પોતાના બોરવેલની મોટર શરુ કરી શકતા નહતા. જેને કારણે મુશ્કેલી વેઠતી પ્રજાએ અંતે જાત મહેનત કરવી પડી અને જનીયારા ગામના લોકોએ જાતે જ વીજપોલને સ્થળ પર લગાવ્યા હતા.