ભરૂચના નર્મદા માર્કેટમાં ગત મંગળવારે જાહેરમાં એક વ્યક્તિને ચપ્પુના ઉપરાછાપરી 12 ઘા ઝીંકી નિર્દય રીતે ગળું કાપી નાખી તેની હત્યા કરી હત્યારો ફરાર થઇ ગયો હતો. ઘાતકી હત્યાની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી. હત્યા પાછળ અનૈતિક સંબંધની શંકા કારણભૂત હતી જે મામલે પોલીસે મૃતકના નિકટના મિત્રની ગુનામાં ધરપકડ કરી છે.
ભરૂચના નર્મદા માર્કેટમાં ચપ્પુ લઈને દોડતા અને જીવ બચાવવા ભાગતા બે યુવાનો નજરે પડયા હતા. આ જોઈ નર્મદા માર્કેટનાં વેપારીઓ પણ હેબતાઈ ગયા હતા. દરમિયાન આરોપીએ નર્મદા માર્કેટની એલઈડી લાઈટ સર્વિસ વર્કશોપ પાસે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી હત્યાના ગુનાને અંજામ આપી નાસી છૂટ્યો હતો. વેપારીઓ મદદે પહોચે તે પહેલા જ ઈજાગ્રસ્ત મૃત્યુ પામ્યો હતો. ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે આ અંગે સ્થળ પર પહોચી તપાસ હાથ ધરતા મૃતક સોનેરી મહેલ વિસ્તારના ડુમવાડ વિસ્તારમાં રહેતો આર્યન હુસેન ઝહિરુદ્દીન મન્સૂરી હોવાનું બહાર આવ્યું હતું.
ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ કે ભરવાડ અને ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા આર્યન ઉપર ૧૦ થી ૧૨ ઘા ઝીકાય હોવાનું સામે આવ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં હત્યારામાં રોષ એ હદે જોવા મળ્યો હતો કે આર્યનને ઉપરાછાપરી ઘા ઝીક્યાં બાદ તેનું ગળું કાપી નાખયું હતું. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ મૃતકના મિત્ર અઝરુદ્દીન આસીફ મન્સૂરી સુધી પહોંચી હતી જે ચપ્પુના ઘા ઝીકતો સ્પષ્ટ નજરે પડતો હતો.
હત્યારાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે હત્યારાનું નામ અઝરુદ્દીન આસીફ મન્સૂરી રહે. ખુશ્બુ પાર્ક શેરપુરા ભરૂચ હોવાનું બહાર આવ્યું હતું.જેની પોલીસે ધરપકડ કરી હતી .પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે અને હત્યા પાછળના કારણ ઉપરથી પડદો ઊંચકાયો હતો. આરોપી અઝરુદ્દીનને તેની પત્ની સાથે મૃતક આર્યન હુસેનના અનૈતિક સંબંધ હોવાની શંકા હતી. વારંવાર આ મુદ્દે બન્ને વચ્ચે તકરાર પણ થતી હતી. મંગળવારે વધુ એકવખત બંને વચ્ચેની તકરારમાં અઝરુદીને આ અંતિમ પગલું ભર્યું હતું અને આર્યનને છરીના ઉપરાછાપરી 12 જેટલા ઘા ઝીંકી ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ પણ વાંચો : Ganesh Utsav: વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હશે તો પણ નેગેટીવ રીપોર્ટ જરૂરી, ગણેશોત્સવ માટે પ્રશાસનની તૈયારી