
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકાના સમુદ્રમાં થયેલી તાજેતરની અંડરવોટર શોધે ઈતિહાસપ્રેમીઓ અને સંશોધકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે. ભારત સરકારના આર્કિયોલોજી વિભાગની મરીન ટીમ દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન સમુદ્રના તળિયે અત્યંત મહત્ત્વપૂર્ણ પુરાતત્વીય અવશેષો મળ્યા છે, જે દ્વારકાના પ્રાચીન વૈભવને નવી દૃષ્ટિ આપે છે.
શોધાયેલા અવશેષોમાં સુવ્યવસ્થિત માળખા અને ગલીઓ જેવી રચનાઓ સ્પષ્ટપણે જોવા મળી હતી, જે તે સમયે આયોજિત શહેરીકરણનું સૂચન કરે છે. આ ઉત્ખનન દરમિયાન વ્યાપારી અને ઔદ્યોગિક ગતિવિધિઓના અનેક પુરાવાઓ પણ સામે આવ્યા છે. સૌથી નોંધપાત્ર શોધોમાં રોમન સિક્કા, રોમન એમ્ફોરા (માટીના પાત્રો), ટોર્પિડો આકારના જહાજોના અવશેષો અને વિદેશી પોટરી (માટીકામ)નો સમાવેશ થાય છે. આ તમામ પુરાવાઓ સૂચવે છે કે આ પ્રાચીન બસ્તીનું વ્યાપક દરિયાઈ વેપાર થતો હતો અને તેના આંતરરાષ્ટ્રીય સંબંધો પણ હતા. અહીં અનેક પ્રકારના ઉદ્યોગો કાર્યરત હોવાની પણ માહિતી મળી છે
સંશોધન દરમિયાન સમુદ્રની અંદર સુનિયોજીત પ્રાચીન નગરના નિશાન મળ્યા હોવાનું સામે આવ્યું છે. આ નગરમાં સુવ્યવસ્થિત ગલીઓ, માળખાકીય રચનાઓ અને વિશાળ બાંધકામના અવશેષો જોવા મળ્યા છે, જે દર્શાવે છે કે તે સમયનું શહેર વિકાસશીલ અને આયોજનબદ્ધ હતું. પ્રાથમિક અંદાજ મુજબ આ અવશેષો આશરે સવા બે હજાર વર્ષ જેટલા જૂના હોવાનું મનાય છે.
આ શોધમાં ખાસ નોંધપાત્ર બાબત એ છે કે સમુદ્રના તળિયેથી રોમન સિક્કાઓ પણ મળી આવ્યા છે. આ સિક્કાઓથી સંકેત મળે છે કે દ્વારકાનો વેપાર વિદેશી સંસ્કૃતિઓ સાથે પણ જોડાયેલો હતો અને તે સમયગાળામાં આ વિસ્તાર વૈશ્વિક વેપાર કેન્દ્ર તરીકે વિકસિત રહ્યો હશે.
દ્વારકા અને બેટ દ્વારકાનો ઉલ્લેખ પ્રાચીન સાહિત્ય અને ધાર્મિક ગ્રંથોમાં વારંવાર જોવા મળે છે. આથી આ સ્થળો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. અગાઉ પણ અનેક ઇતિહાસકારો અને પુરાતત્વવિદો દ્વારા અહીં સંશોધન કરવામાં આવ્યું છે, પરંતુ તાજેતરની આ શોધે નવા પ્રશ્નો અને નવી શક્યતાઓ ઊભી કરી છે.
હાલમાં વધતી ગરમીના કારણે આ અંડરવોટર સંશોધનને તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યું છે. જોકે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની અંડર વોટર આર્કિયોલોજી વિંગ દ્વારા નવેમ્બર મહિનામાં ફરીથી સંશોધન શરૂ કરવામાં આવશે. આ આગામી અભિયાનથી દ્વારકાના પ્રાચીન ઈતિહાસ વિશે વધુ સ્પષ્ટ અને મહત્વપૂર્ણ માહિતી મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ શોધ માત્ર એક પુરાતત્વીય સફળતા નથી, પરંતુ તે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની એક ઝાંખી પણ છે, જે દુનિયાને ફરીથી દ્વારકાના પ્રાચીન વૈભવ સાથે પરિચિત કરાવે છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? જાણો શું છે સરકારની મોટી તૈયારી! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો