Breaking News : ગીરમાં કાળમુખો વાયરસ બેફામ! 8 સિંહને ભરખી રહ્યો છે CDV અને બેબીસિયા? તંત્ર હજુ પણ સેમ્પલિંગમાં વ્યસ્ત! જુઓ Video

ગીરના ગૌરવ એશિયાટીક સિંહો પર ફરી મોટું સંકટ! અમરેલી ગીરમાં છેલ્લા 15 દિવસમાં 8 થી વધુ સિંહોના રહસ્યમય મોત થયા છે. 'બેબીસિયા' અને 'CDV' જેવા જીવલેણ રોગ જવાબદાર હોવાની આશંકા છે. આ ઘટના 2018 ના CDV પ્રકોપની યાદો તાજી કરાવે છે. વન વિભાગ સિંહોને બચાવવા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ, આઇસોલેશન અને ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેથી આ ચેપ અન્ય સિંહોમાં ન ફેલાય. સિંહોનું અસ્તિત્વ જોખમમાં છે.

Breaking News : ગીરમાં કાળમુખો વાયરસ બેફામ! 8 સિંહને ભરખી રહ્યો છે CDV અને બેબીસિયા? તંત્ર હજુ પણ સેમ્પલિંગમાં વ્યસ્ત! જુઓ Video
8 to 10 gujarat lion dead in gir shakes forest department
| Updated on: May 26, 2026 | 11:06 AM

ગીરના ગૌરવ સમાન એશિયાટીક સિંહો પર ફરી એકવાર મોટું સંકટ આવી પડ્યું છે. અમરેલી અને આસપાસના ગીર વિસ્તારમાં છેલ્લા 10 થી 15 દિવસમાં 8 કરતાં વધુ સિંહોના રહસ્યમય મોતના સમાચારથી વન વિભાગ સહિત પ્રકૃતિપ્રેમીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. પ્રાથમિક આશંકા મુજબ સિંહોના આ મોત પાછળ ‘બેબીસિયા’ (Babesia) અને ‘સીડીવી’ (Canine Distemper Virus – CDV) જેવા જીવલેણ રોગ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વાયરસનું પુનરાવર્તન અને વર્તમાન સ્થિતિ

વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગના વિસ્તારોમાં સિંહોના ટપોટપ મોત થઈ રહ્યા છે. જેમાં ગીરગઢડા બોર્ડર અને જસાધાર રેન્જ પર એક જ દિવસમાં બબ્બે સિંહોના મોત થતાં વન તંત્ર દોડતું થયું છે. આ આંકડામાં 3 સિંહબાળ (બચ્ચાં) સહિત કુલ 5 સિંહોના કરુણ મોતનો પણ સમાવેશ થાય છે.

આ ઘટનાએ વર્ષ 2018 ની એ ભયાનક યાદો તાજી કરી દીધી છે, જ્યારે ગીરની દલખાણીયા રેન્જમાં CDV વાયરસના કારણે 29 થી વધુ સિંહોના મોત નીપજ્યા હતા. લગભગ 8 વર્ષ પહેલાં જે વાયરસે સિંહોનો ભોગ લીધો હતો, તે જ ઘાતક વાયરસ ફરીથી સક્રિય થયો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

વન વિભાગ દ્વારા લેવાયેલા તાત્કાલિક પગલાં

પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વન વિભાગની ટીમ હાઈ એલર્ટ પર આવી ગઈ છે અને સિંહોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે:

  • રેસ્ક્યુ અને ઓબ્ઝર્વેશન: ધારીની સરસિયા રેન્જમાંથી 8 સિંહોના આખેઆખા ગ્રુપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ તમામ સિંહોને હાલ જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે કડક ઓબ્ઝર્વેશન (નિરીક્ષણ) હેઠળ રાખવામાં આવ્યા છે.
  • આઇસોલેશન અને સેમ્પલિંગ: ગીરના જુદા જુદા વિસ્તારોમાં વસતા સિંહોના જૂથોનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જે સિંહોમાં રોગના પ્રાથમિક લક્ષણો દેખાય, તેમને અન્ય સિંહોથી તાત્કાલિક અલગ (આઇસોલેટ) કરવામાં આવી રહ્યા છે.
  • લેબોરેટરી ટેસ્ટ: રોગચાળાનું ચોક્કસ કારણ જાણવા માટે સિંહોના લોહી અને અન્ય જરૂરી સેમ્પલ લઈને તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે.

સિંહોના અસ્તિત્વ સામે મોટો પડકાર

ગુજરાતનું ગીર એ એશિયાટીક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે. ભૂતકાળમાં પણ જ્યારે પણ આવા ચેપી વાયરસ ફેલાયા છે, ત્યારે સિંહોની વસ્તી પર મોટો ખતરો ઊભો થયો છે. વન વિભાગ હાલ એ બાબત પર પૂરતું ધ્યાન આપી રહ્યું છે કે આ ચેપ ગીરના અન્ય વિસ્તારોમાં રહેતા સિંહોમાં ન ફેલાય. જો સમયસર આ વાયરસને કાબૂમાં લેવામાં નહીં આવે તો સિંહોના સંવર્ધન અને સંરક્ષણના વર્ષોના પ્રયત્નો પર પાણી ફરી વળે તેવી ભીતિ સેવાઈ રહી છે. તબીબો અને વન્યજીવ નિષ્ણાતોની ટીમ હાલ દિવસ-રાત સિંહોની સારવાર અને સુરક્ષામાં લાગેલી છે.

ઉનાળાની ગરમીમાં ખાઓ હળવા પરાઠા, સ્વાદિષ્ટ, સુપાચ્ય અને તાજગીભર્યો સવારનો નાસ્તો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Input Credit : JAYDEV KATHI

Follow Us