
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાતા લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. રાત્રે લગભગ 2 વાગ્યે 24 મિનિટે આવેલા આ ભૂકંપની તીવ્રતા 3.7 મેગ્નિટ્યુડ નોંધાઈ હતી, જેણે સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવા નજીક હોવાનું જાણવા મળ્યું છે.
આ ભૂકંપની અસર રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ લાઇન, ખાંભા અને સાવરકુંડલા જેવા વ્યાપક વિસ્તારોમાં વર્તાઈ હતી. તીવ્ર આંચકાના કારણે લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને ગભરાટમાં ઘરની બહાર ખુલ્લામાં દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, મોટાભાગના લોકો મધ્યરાત્રિએ ઘરમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર આવી ગયા હતા.
સ્થાનિક રહેવાસી આરીફભાઈએ જણાવ્યું કે, “રાત્રે 2 વાગ્યે 24 મિનિટે જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. એની પહેલા થોડોક નાનો આંચકો પણ અનુભવાયો હતો. પછી મોટા આંચકાથી લોકો પબ્લિક રોડ ઉપર આવી ગયા. રાજુલામાં પણ લોકો રસ્તા પર આવી ગયા હતા. અન્ય એક સ્થાનિકે જણાવ્યું કે તેઓ ઘરની અંદર સૂતા હતા, પરંતુ અવાજ એટલો પ્રચંડ હતો કે તેઓ ધોડીને બહાર આવવા મજબૂર બન્યા. બહાર આવીને જોયું તો શેરીમાં બધા માણસો દોડતા-દોડતા આવતા હતા.
આ ભૂકંપના કારણે કેટલાક જર્જરિત મકાનો અને જૂના ઘરોની દિવાલોમાં તિરાડો પણ પડી હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. આ ઘટનાએ લોકોમાં ગભરાટ અને ચિંતા વધારી દીધી હતી. ખાસ કરીને રાજુલા અને કોસ્ટલ વિસ્તારમાં તેની સૌથી વધારે અસર જોવા મળી હતી. જોકે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટી નુકસાનની આશંકા નથી. ભૂકંપનો આંચકો અનુભવાયા બાદ સ્થાનિકોમાં કુદરતી આફતનો ભય સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
ફ્રોડ કરનારની હવે ખેર નહીં ! RBI લાવી રહ્યું છે કડક સુરક્ષા નિયમો આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો