
ગુજરાત વિધાનસભાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકારણમાં ગૌમાતા મુદ્દે નવી ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસ પક્ષે વિધાનસભામાં ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા માટે બિલ રજૂ કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ ગૌવંશના સન્માન અને સુરક્ષા માટે ખાસ કાયદો લાવવાની માંગ સાથે મહત્વનું બિલ રજૂ કર્યું. હવે સૌની નજર ભાજપ સરકાર પર છે કે તે આ બિલને સર્વાનુમતે પસાર કરાવે છે કે નહીં.
કોંગ્રેસનું કહેવું છે કે રાજ્યમાં ગૌરક્ષા અંગે ઘણી વાતો થાય છે, પરંતુ કાયદાકીય રીતે ગાયને વિશેષ દરજ્જો આપવા માટે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટ પગલું લેવામાં આવ્યું નથી. તેથી ગૌમાતાને રાજમાતા તરીકે માન્યતા આપીને તેના સંરક્ષણ, કલ્યાણ અને સન્માન માટે કાયદાકીય વ્યવસ્થા કરવાની જરૂર છે. આ મુદ્દો ખાસ કરીને ચૂંટણી પહેલા રાજકીય રીતે મહત્વનો બન્યો છે.
થોડા સમય પહેલા અમદાવાદમાં યોજાયેલી એક ધાર્મિક સભામાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરજીની હાજરીમાં ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાનને સમર્થન આપવામાં આવ્યું હતું. તે કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પણ હાજરી આપી હતી અને ગૌમાતાના સન્માન માટે વિધાનસભામાં અવાજ ઉઠાવવાનો વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગૌમાતાના અધિકારો માટે જરૂરી હોય તો કાયદો લાવવામાં આવશે.
આ વચનને પૂર્ણ કરતાં આજે વિધાનસભામાં “ગુજરાત રાજમાતા બિલ, 2025” રજૂ કરવામાં આવ્યું. હવે રાજકીય ચર્ચાનો કેન્દ્ર એ છે કે ગૌરક્ષા અને ગાયને માતા તરીકે માની મત માંગતી ભાજપ સરકાર આ બિલને સમર્થન આપે છે કે નહીં. આવનારા દિવસોમાં વિધાનસભામાં આ મુદ્દે ગરમાગરમ ચર્ચા થવાની શક્યતા છે.