
GCMMFની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતનો દબદબો યથાવત રહ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેન તરીકે અશોક ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી GCMMFના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા છે.
હવે અઢી વર્ષ માટે અશોક ચૌધરીની GCMMFના ચેરમેન તરીકે કાર્યરત રહેશે. જ્યારે GCMMFના વાઈસ ચેરમેન પદે ગોરધન ધામેલિયા ચૂંટાયા છે. રાજકોટ ડેરીના વર્તમાન ચેરમેન ગોરધન ધામેલિયા GCMMFના વાઈસ ચેરમેન પદે ચૂંટાયા છે. આણંદ ખાતે યોજાયેલી GCMMFની ચૂંટણીમાં કુલ 18 દૂધ સંઘના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. GCMMFની ચૂંટણીમાં ચેરમેન પદે અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન પદે ગોરધન ધામેલિયા બિનહરીફ ચૂંટાયા છે.
Ashok Chaudhary Elected Unopposed as GCMMF Chairman | Gujarat | TV9Gujarati#GCMMF #Amul #AshokChaudhary #DairyNews #GujaratPolitics #MilkFederation #CooperativeNews #IndianDairy #Anand #Gujarat #TV9Gujarati pic.twitter.com/kHweeS2nCU
— Tv9 Gujarati (@tv9gujarati) July 22, 2025
GCMMFના નવા ચૂંટાયેલા ચેરમેન અશોક ચૌધરીની રાજકીય સફર પર નજર કરીએ તો 2005માં મહેસાણાના ચિત્રોડીપુરાથી અશોક ચૌધરીએ સહકારી ક્ષેત્રમાં રાજનીતિની શરૂઆત કરી હતી, અને 2011માં ચિત્રોડીપુરાથી કો-ઓપ સોસાયટીના ડિરેક્ટર બન્યા હતા, ત્યાર બાદ 2015માં દૂધસાગર ડેરીના ડિરેક્ટર પદે અશોક ચૌધરી ચૂંટાયા હતા. 2021માં અશોક ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન બન્યા છે. અશોક ચૌધરીને શંકર ચૌધરીના નજીકના માનવામાં આવે છે.
જ્યારે કે GCMMFના નવા ચૂંટાયેલા વાઈસ ચેરમેન ગોરધન ધામેલીયા સૌરાષ્ટ્રમાંથી આવે છે. વિઠ્ઠલ રાદડિયા જેવા દિગ્ગજ સહકારી નેતાના સમયથી ગોરધન ધામેલીયા ભાજપ અને સહકારી રાજનીતિમાં સક્રિય છે. જયેશ રાદડિયા, સી આર પાટીલ સાથે ઘરોબો ધરાવતા ગોરધન ધામેલીયાની GCMMFના વાઈસ ચેરમેન તરીકે નિમણૂક કરીને ફેડરેશનમાં ઉત્તર અને સૌરાષ્ટ્રનું સંતુલન જાળવાનો પ્રયાસ કરાયો છે. GCMMFના વર્તમાન ચેરમેન શામળ પટેલને સાબરડેરીના ભાવફેનો મુદ્દો નડ્યો હોય તેમ ફરી તક આપવામાં આવી નથી.