અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને અસર કરતી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદનો શાહીબાગ અંડરબ્રિજ ફરી 10 દિવસ માટે બંધ રહેશે. મળતી માહિતી મુજબ રેલવે ટ્રેક રીપેરિંગની ચાલતી કામગીરીના પગલે અમદાવાદનો આ અંડરબ્રિજ બંધ કરવા નો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 19થી 28 માર્ચ બપોરે અને રાત્રે વાહનોની અવરજવર પર રોક લગાવવામાં આવશે. 12 થી 5 વાગ્યા સુધી વાહનોની અવરજવર બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે હવે આ બ્રિજના બદલામાં મુસાફરો શિલાલેખથી રિવરફ્રન્ટના રસ્તાનો ઉપયોગ કરી શકશે.
શાહીબાગ અંડરબ્રિજ 19 માર્ચથી 28 માર્ચ સુધી કુલ 10 દિવસ માટે સમયાંતરે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે ટ્રેકના રિપેરીંગ કામને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે જેના કારણ બ્રિજ પર વાહનોની અવર જવર રોકવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાન બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી તેમજ રાત્રિના કેટલાક સમય દરમિયાન વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કારણે રોજિંદા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, તેથી ટ્રાફિક વિભાગે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
વૈકલ્પિક માર્ગ તરીકે શિલાલેખથી રિવરફ્રન્ટ તરફ જતો રસ્તો ખુલ્લો રાખવામાં આવશે, જેના મારફતે વાહનચાલકો પોતાની મુસાફરી ચાલુ રાખી શકશે. આ ઉપરાંત શાહીબાગથી મહાપ્રજ્ઞજી બ્રિજ તરફ જવા માટે પણ માર્ગ ઉપલબ્ધ રહેશે, જેથી ટ્રાફિકનો ભાર વહેંચી શકાય. તેમજ આર્મી કોન્ટોન્મેન્ટ વિસ્તારનો રસ્તો પણ નક્કી કરાયેલા સમય દરમિયાન ઉપયોગ માટે ખુલ્લો રહેશે. ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ સૂચિત માર્ગોનો ઉપયોગ કરે અને સમયસર પોતાની મુસાફરીનું આયોજન કરે, જેથી અનાવશ્યક ટ્રાફિક જામથી બચી શકાય.