ગુજરાતમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહીછે અને હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આગામી દિવસો દરમિયાન વાતાવરણ સૂકૂ રહેવાની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સવારથી બોટાદ (Botad) જિલ્લાના વાતાવરણમાં ફેરફાર નોંધાયો હતો. બોટાદ જિલ્લામાં ગઇ કાલ સાંજથી પવન ફૂંકાવાનો શરૂ થયો હતો અને પવન બાદ જિલ્લાના ઇતરિયા, લીંબાળી, ગઢડામાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં (Rainstorms) પડ્યા હતા. વરસાદી ઝાંપટાને પરિણામે વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી અને લોકોને આંશિક રીતે ગરમીમાં રાહત મળી હતી. આ ઝાપટાં અને ગાજવીજને પગલે સ્થાનિક વરતારાકારો અને ખેડૂતોએ જણાવ્યું હતું કે આ રીતે જેઠી બીજના દિવસે જો વીજળી થાય તો વરસાદ ખેંચાતો હોય છે જોકે વૈશ્વિક સ્તરે વાતાવરણમાં પલટો આવતા તેમજ ગ્લોબલ વોર્મિંગના પરિણામે સચોટ વરતારો કરવો મુશ્કેલ છે.
કાળઝાળ ગરમી વચ્ચે બોટાદ જિલ્લામાં ગત સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ગઢડા અને તેની આસપાસના લીંબાળી , ઇતરિયા ગામમાં વરસાદી ઝાપટાં પડતા વાતાવરણ આહલાદક બની ગયું હતું. ગુજરાતમાં ચોમાસું હજી દૂર છે ત્યારે વિવિધ જિલ્લાઓમાં સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જોકે બપોર બાદ વાદળ હટી જતા ઉગ્ર તડકાનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં જૂન મહિનાના અંતમાં ચોમાસુ બેસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તે દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તડકા સાથે દિવસ દરમિયાન વાદળછાયાં વાતાવરણનો પણ અનુભવ થઈ રહ્યો છે.
Published On - 3:14 pm, Thu, 2 June 22