
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ના વિવિધ દિવ્ય સ્વરૂપો, તેમની અનન્ય ઓળખ અને સાળંગપુર ધામ સાથે સંકળાયેલી આધ્યાત્મિક વિશિષ્ટતાઓને ભાવિ પેઢીઓ સુધી અકબંધ અને સુરક્ષિત રાખવાના શુભ હેતુથી એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો અને કલાત્મક કૃતિઓ માટે વિવિધ બૌદ્ધિક સંપત્તિ (Intellectual Property) હકોની કાયદેસર નોંધણીઓ પ્રાપ્ત કરવામાં આવી છે.આ વિશેષ કાનૂની પ્રક્રિયા અંતર્ગત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્વરૂપો, વિશિષ્ટ ચિત્રાત્મક અભિવ્યક્તિઓ, સર્જનાત્મક કૃતિઓ તથા ભક્તોમાં અત્યંત લોકપ્રિય બનેલી ‘કિંગ ઓફ સાળંગપુર’ (King of Sarangpur) સહિતના વિવિધ કૉપીરાઇટ (Copyright), ટ્રેડમાર્ક (Trademark) અને અન્ય બૌદ્ધિક સંપત્તિ હકોની નોંધણીઓ સફળતાપૂર્વક મેળવી લેવામાં આવી છે.
ત્યારે સાળંગપુર ધામના હનુમાનજી મહારાજ માટે લેવાયેલા આ કોપીરાઈટનો રાજ્યભરમાંથી વિરોધ શરૂ થયો છે અને તેને સનાતન ધર્મ વિરોધી ગણાવવામાં આવ્યુ છે. કેટલાક સનાતની ભક્તોનું કહેવું છે કે ભગવાન પર કોપીરાઈટ ન હોઈ શકે અને ભગવાન સૌના છે. જેના લીધે અમુક શ્રદ્ધાળુઓ આ ઘટનામાં જોડાયેલા લોકો સામે કડક પગલાં લેવાની પણ માગ કરી રહ્યા છે.
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશને હનુમાનજી મહારાજ પર કોપીરાઈટનો વિરોધ કર્યો છે. વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન રાવલે સાળંગપુરધામના હનુમાનજી પર કોપીરાઈટ ને વખોડ્યો છે. તેમણે કહ્યુ ભગવાનની આસ્થા કોઈ એક સંપ્રદાયની જાગીર ન હોઈ શકે. ભગવાન પર ભક્તોનો અધિકાર છે કોઈ ટ્રસ્ટનો નહીં. ભગવાન કોઈ કોર્પોરેટ સંપત્તિ કે ખાનગી જાગીર નથી. ભગવાનના અલગ-અલગ સ્વરૂપો છે, તેનુ કોપીરાઈટ ન લઈ શકાય. કોપીરાઈટ મામલે કાયદાકીય લડત આપવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે.
આ તરફ જ્યોતિર્નાથ બાપુએ પણ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા લેવાયેલા આ પગલાનો વિરોધ કર્યો. તેમણે જણાવ્યુ કે સંપ્રદાયવાળા સનાતન વિરોધી છે. દેવી દેવતાઓના અપમાન કરવા ટેવાયેલા છે તો હનુમાનજીના નામે પેટન્ટ શા માટે કરાવે છે, હનુમાનના નામે રોટલા શેકવા માટે,રામને પણ દાસ બતાવવાની કોશિશ બાદ હવે કોપીરાઈટ ના મુદ્દે તેઓ સ્વામીનારાયણ સંપ્રદાયને જવાબ આપશે.
Published On - 6:04 pm, Sat, 13 June 26