
બોટાદના ગઢડાના ઉગામેડી ગામના તળાવની દેશભરમાંથી અમૃત સરોવર તરીકે પસંદગી કરવામાં આવી છે. ધર્મનંદન અમૃત સરોવરના ઉદ્ધાટન કાર્યક્રમમાં PM મોદી ડ્રોન વીડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ કલેકટર સહિતના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની હાજરીમાં લાઈવ ડ્રોન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાણ કરી તળાવનું નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો :Botad: કષ્ટભંજન હનુમાનજીને કરાયો કેસૂડાનો શણગાર, મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન
લોક ભાગીદારીથી નિર્માણ પામેલા સરોવરને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બિહારથી બે અને ગુજરાતમાંથી ગઢડાના ઉગામેડી ગામના ધર્મનંદન અમૃત તળાવની અમૃત સરોવર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ તળાવમાં પ્રકૃતિ સંવર્ધન, વિરાટ પાણી સંગ્રહ અને પ્રાકૃતિક વાતાવરણમાં બોટીંગની પણ લોકો મજા માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ અમૃત સરોવરની લંબાઇ ૫૧૫ મીટર છે, જ્યારે સરોવરનો વિસ્તાર 12.74 એકર છે. અમૃત સરોવર બનાવવા પાછળ અંદાજીત 630 લાખનો ખર્ચ થયો છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ આ અંગેની વિગત આપતા જણાવ્યું હતું કે, 4 એપ્રિલ 2022ના રોજ પંચયતી રાજ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 50 હજાર અમૃત સરોવર બનાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લામાં ઓગષ્ટ’ 2023 સુધીમાં 75 તળાવ પુર્ણ કરવાનું આયોજન કરેલું છે. પ્રત્યેક તળાવ ઓછામાં ઓછા 1 એકરમાં બનશે અને અંદાજે 10 હજાર ક્યુબિક મીટર જળ સંગ્રહ શક્તિ ધરાવતા પ્રત્યેક તળાવના પગલે ભુગર્ભ જળ ઉંચા આવશે.
આ અગાઉ 2022મા આ 23 અમૃત સરોવરમાં સાણંદના 3, બાવળાના ૩, દશ્ક્રોઈના 4, માંડલના 3, વિરમગામના 3, દેત્રોજ-રામપુરાના 3, ધોળકાના 3 અને ધંધુકાના 1 સરોવરની પસંદગી કરવામાં આવી હતી. સાણંદ તાલુકાના પીંપણ, ગીબપુરા, ઈયાવા ગામના સરોવરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે બાવળા તાલુકાના કેશરડી, દહેગામડા, શિયાળ ગામના તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
તો દશ્ક્રોઈ તાલુકાના નાઝ, બડોદરા, ઉંદ્રેલ, લીલાપુર ગામના સરોવરોનો સમાવેશ કરાયો હતો. જ્યારે માંડલ તાલુકાના નાયકપુર, નાના ઉભાડા, ઢેઢાસણા ગામન તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો આ તરફ દેત્રોજ-રામપુરા તાલુકાના કુકવાવ અને ગુંજાલા ગામના બે તળાવોનો સમાવેશ કરાયો હતો. ધોળકા તાલુકાના નાનીબોરૂ, વાલથેરા, ખાનપુર ગામના તળાવોનો સમાવેશ કરાયો હતો તથા ધંધુકા તાલુકાના ધોળી ગામના તળાવ ખાતે ખાતે ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.