બોટાદ જિલ્લાના બરવાળા તાલુકમાં આવેલું લાખો હરિ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનું (Salangpur Kashtabhanjan Hanumanji ) મંદિર, દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે બોટાદ (Botad) સાળંગપુર (Salnagpur kasta bhanjan Dev) ખાતે કાળી ચૌદશના દિવસે વિશેષ પજા અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાળી ચૌદશના દિવસે આયોજિત વિશેષ યજ્ઞમાં પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો.
આજના દિવસ નિમિતે સાળંગપુરમાં હનુમાનજી દેવને (Salangpur Hanumanji Dev) હીરા અને ડાયમંડના વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ નરક ચતુદર્શીના દિવસ નિમિત્તે વહેલી સવારથી દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા અને દિવાળીના દિવસે પણ દર્શન કરવા માટે ભાવિકોનો ધસારો ચાલુ જ રહ્યો છે. તો બીજી તરફ દિવાળીએ શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. સવારે 4 વાગ્યાથી જ શ્રદ્ધાળુઓએ લાંબી કતારો લગાવી છે. કષ્ટભંજન દેવ મંદિર ખાતે વિશાળ જનસંખ્યામાં ભાવિકો ઊમટી પડ્યા છે. દિવાળીના પંચ પર્વ દરમિયાન રોજબરોજ અહી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે ત્યારે દર્શન અને પ્રસાદ માટે વિશેષ વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી છે.
લાખો લોકોની વ્યાધિ અને પીડા થાય છે તેવા સાળંગપુર ધામ ખાતે હનુમાનજી મહારાજની સ્થાપના સ્વામિનારાયણ ભગવાનના વરિષ્ઠ સંત એવા ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. એવી કથા છે કે સાળંગપુરના દરબાર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને તેમના આંગણે થઈને સંતો ભક્તો ગઢડા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે જતા હતા પરંતુ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે વાઘા ખાચર સંતો ભક્તોની સેવા કરી શકતા નહોતા અને વ્યથિત રહેતા હતા. આવા સમયે ગોપાળાનંદ સ્વામીએ તેમને કહ્યું કે હું તમને પ્રતાપી હનુમાનજીની સ્થાપના કરી આપું છું અહી દેશ વિદેશથી કરોડો લોકો પોતાની વ્યાધિ દૂર કરવા આવશે. તે નિમિત્તે જે આવક થાય તેનાથી તમે સંતો ભક્તોની સેવા કરજો.
આમ કહીને તેમણે પોતાના હાથે એક સુંદર ચિત્ર બનાવ્યું અને શિલ્પકારને આ ચિત્ર અનુસાર કારીગરને ખૂબ જ સુંદર મૂર્તિ બનાવવા કહ્યું. તેમણે જે ચિત્ર બનાવ્યું હતું તેમાં હનુમાનજીએ શનિદેવને પગ નીચે દબાવી દીધા હતા તે જ પ્રસંગને દર્શાવતી મૂર્તિ આજે સાળંગપુર મંદિરમાં બિરાજમાન છે. ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીની સ્થાપના કરીને ચમત્કારિક છડી મૂકી જેના સ્પર્શથી આજે પણ અહીં કરોડો લોકોને પોતાની મૂંઝવણમાંથી અને આધિ વ્યાધિ ઉપાધિમાંથી છૂટકારો મળે છે અને માનસિક શાતા મળે છે અને ગોપાળાનંદ સ્વામી દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છડી પણ અહીં દર્શન માટે રાખવામાં આવી છે.