ભાવનગર(Bhavnagar) શહેરમાં દર વર્ષે યોજાનારી રથયાત્રાનું અનેરું મહત્વ હોય છે, ત્યારે આ વર્ષે ધામધૂમ પૂર્વક અતિ ભવ્ય રથયાત્રા (Rathyatra) યોજવાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને જેના ભાગરૂપે રથયાત્રાની અનેક કામગીરી પણ શરૂ થઈ છે. કોરોનાના બે વર્ષ ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમ નહોતી કાઢી શકાય ત્યારે જગન્નાથજી રથયાત્રા(Jagnnath Rathyatra) મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્રારા 37મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
જેના ભાગરૂપે ગઈકાલે શહેરના પરિમલ ચોક ખાતે આવેલા કાર્યાલય ખાતે રથયાત્રાની ધજા બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ભાવનગરમાં કેસરિયો માહોલ બનાવવા કાર્યકરોની ટીમ દ્રારા ધજા બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. 15 હજારથી 17 હજાર જેટલી ધજા બનાવી ભાવનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લગાવવામાં આવશે અને ભાવનગરને કેસરિયો માહોલ બનાવવામાં આવશે. દર વર્ષે અષાઢી બીજના દિવસે સમગ્ર દેશમાં જગન્નાથજી ભગવાનની રથયાત્રા કાઢવામાં આવે છે. દેશની પ્રથમ નંબરની ગણાતી રથયાત્રા જગન્નાથપુરીમાં જોવામાં આવે છે.
જ્યારે ગુજરાતમાં પ્રથમ નંબરની અમદાવાદ અને ત્યારબાદ બીજા નંબરે સૌથી મોટી રથયાત્રા ભાવનગરમાંથી કાઢવામાં આવે છે. ભાવનગરમાં છેલ્લા 36 વર્ષથી પરંપરાગત રીતે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આવતી 1 જુલાઈના રોજ ભાવનગર શહેરના રાજમાર્ગો પર 37 મી રથયાત્રા નિકળશે.