
ગુજરાતના દ્વારકાપીઠના (Dwarkapith) શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું (Shankaracharya Swaroopanand Saraswati)રવિવારે બપોરે 99 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુરમાં બપોરે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા. 1924માં મધ્યપ્રદેશના સિયોનીમાં જન્મેલા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ સ્વતંત્રતા સંગ્રામમાં પણ ભાગ લીધો હતો અને જેલમાં પણ ગયા હતા.
જ્યારે કથાકાર મોરારીબાપુએ(Moraribapu) પણ જગતગુરુ સ્વરૂપાનંદ શંકરાચાર્યને શ્રદ્ધાંજલિ અર્પી છે. તેમણે કહ્યું કે સનાતન વૈદિક ધર્મના એક સમર્થ જગતગુરુની વિદાય આપણી દિવ્ય સનાતન વૈદિક પરંપરા માટે એક બહુ જ મોટી ક્ષતિ છે. હું એમના નિર્વાણને પ્રણામ કરું છું અને એમની વિદાય પ્રસંગે નતમસ્તક છું.મારી અંતઃકરણ પૂર્વકની શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. રામ સ્મરણ સાથે, ભાવ પૂર્વક શ્રદ્ધાંજલિ
આ ઉપરાંત દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના મહારાજના દેહઅવસાન પર ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પી છે. તેમણે લખ્યું છે કે ‘શ્રી શારદા પીઠ, દ્વારકાના શંકરાચાર્ય પરમ પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના બ્રહ્મલીન થવા પર અત્યંત વ્યથિત છું. સનાતન ધર્મના પ્રખર જ્ઞાતા સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ પોતાનું સમગ્ર જીવન આધ્યાત્મને અર્પણ કર્યું હતું. લાખો અનુયાયીઓના હૃદયમાં તેઓ સદા અમર રહેશે. ૐ શાંતિ। ‘
નવ વર્ષની નાની ઉંમરે જગદગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ ઘર છોડીને ધાર્મિક તીર્થયાત્રાઓ શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ કાશી પહોંચ્યા અને અહીં તેમણે બ્રહ્મલિન શ્રી સ્વામી કરપતિ મહારાજ વેદ-વેદાંગ અને શાસ્ત્રો શીખ્યા. આ તે સમય હતો જ્યારે દેશ અંગ્રેજો સામે લડી રહ્યો હતો. દેશમાં આંદોલનો થયા. 1942માં જ્યારે ગાંધીજીએ ભારત છોડોનો નારો આપ્યો ત્યારે તેઓ સ્વતંત્રતા સંગ્રામમાં પણ કૂદી પડ્યા. તે સમયે તેની ઉંમર 19 વર્ષની હતી. આ ઉંમરે તેમની ઓળખ ‘ક્રાંતિકારી સાધુ’ તરીકે થઈ હતી. આ સમય દરમિયાન, તેમણે નવ મહિના વારાણસીની જેલમાં અને છ મહિના તેના ગૃહ રાજ્ય મધ્યપ્રદેશની જેલમાં પણ વિતાવ્યા હતા.
જગદગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી કરપતિ મહારાજના રાજકીય પક્ષ રામ રાજ્ય પરિષદના પ્રમુખ પણ હતા. 1981માં તેમને શંકરાચાર્યની પદવી મળી. 1950માં શારદા પીઠે શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દીક્ષા લીધી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા. તેઓ રાજકારણમાં પણ ખૂબ સક્રિય હતા. અવારનવાર તમામ મુદ્દાઓમાં સરકાર સામે અવાજ ઉઠાવતા હતા. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ઈરાનના પ્રવાસે હતા ત્યારે સુષ્માએ માથું ઢાંકી દીધું હતું. હિજાબનો ટ્રેન્ડ હોવાથી તેઓએ પણ એવું જ કરવું પડ્યું. શંકરાચાર્યે તેનો વિરોધ કર્યો.
Published On - 9:46 pm, Sun, 11 September 22