BHAVNAGAR : જિલ્લામાં રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે નવ દિવસીય જનસેવા યજ્ઞનો પ્રારંભ ભાવનગર શહેર-જિલ્લામાં નવા સ્થળોએ જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી દ્વારા કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત કે.જી.બી.વી. ગર્લ્સ હોસ્ટેલ આર.એમ.એસ.એ. સેકન્ડરી સ્કૂલ, આઇ.સી.ટી.લેબ સહિતના પ્રોજેક્ટના રૂ. ૧,૪૨૧ લાખના લોકાર્પણ અને ઉદઘાટન તેમજ નવ આઇ.સી.ટી. કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન તેમજ ૨૦૬ પ્રાથમિક શાળાઓમાં ૬૯૩ વર્ગોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીવિભાવરીબેન દવેએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ ક્ષેત્રે લેવાયેલાં પગલાઓ અને સુધારાત્મક નિર્ણયોને પગલે હવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે સરકારી શાળામાં પ્રવેશ લેવાં માટે અમારે ભલામણ કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શિક્ષણ ક્ષેત્ર માટે ઉઠાવેલા પગલાઓ અને તેને પરિણામે શિક્ષણ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનને કારણે આ શક્ય બન્યુ છે.
છેલ્લા પાંચ વર્ષમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના સક્ષમ નેતૃત્વમાં સૌના સાથ, સૌના વિકાસ થકી વિકાસની ગતિ વધુ તેજ બની છે. ગુણવતાયુક્ત શિક્ષણની દિશામાં ગુજરાત આજે સમગ્ર દેશમાં અગ્રેસર છે.જ્ઞાન કુંજ પ્રોજેક્ટના માધ્યમથી સ્માર્ટ ક્લાસ દ્વારા ગામડાઓ સુધી ટેકનોલોજી આધારિત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાયના એક કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ સમાજ ઉત્થાન માટે રાજ્ય સરકારે કરેલા વિવિધ કાર્યોની ઝાંખી પ્રસ્તુત કરી હતી.
સરકારની યોજનાઓમાં રહેલી ઉણપો- ક્ષતિઓ નિવારી છેલ્લા ૨૫ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા કરેલા કાર્યોની રૂપરેખા આપી તેમણે રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે તેમજ શિક્ષણ સુધારણા માટે હાથ ધરાયેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, બેટી બચાવો- બેટી વધાવો વગેરે કાર્યક્રમો ની વિશેષ છણાવટ પણ કરી હતી.
આ પણ વાંચો : BHAVNAGAR : ખખડધજ રસ્તાઓ અને રખડતા ઢોરની સમસ્યાથી જનતા ત્રાહિમામ, કયારે આવશે નિવેડો ?
આ પણ વાંચો : Ahmedabad: ખરાબ રસ્તાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા, તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી
Published On - 7:16 pm, Sun, 1 August 21