પવિત્ર ચૈત્ર માસ દરમિયાન યોજાતી નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા કરવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી સૌથી વધુ શ્રદ્ધાળુઓ આ પરિક્રમા કરવા માટે આવતા હોય છે. આ પરિક્રમા શરૂ થાય એ પહેલા પરિક્રમાવાસીઓને કોઈ અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ તકેદારી રખાતી હોય છે પરંતુ છતા કોઈને કોઈ ચૂક સામે આવતી રહે છે. આ વર્ષે પણ પરિક્રમાવાસીઓ જીવના જોખમે નદી પસાર કરવા મજબુર બન્યા છે. જે બોટમાં બેસીને નદી પસાર કરવાની હોય છ તે બોટમાં ક્ષમતા કરતા વધુ પરિક્રમાવાસીઓને બેસાડવાનો આરોપ લાગ્યો છે. હાંસોડના વમલેશ્વરથી દહેજના મીઠી તલાઈ જવા માટે બોટનો સહારો લેવામાં આવે છે.
આ બોટમાં બેસવા માટે પરિક્રમાવાસીઓ પાસેથી 500 રૂપિયા વસુલવામાં આવે છે. છતા સુવિધા ન મળતી હોવાનો દાવો આક્ષેપ શ્રદ્ધાળુઓ દ્વારા કરાઈ રહ્યો છે. બોટમાં સવાર એક પરિક્રમાવાસીએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમા તે સલામતી સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. બોટમાં ખીચોખીચ લોકોને ભરવામાં આવ્યા છે. કેટલાકને તો લાઈફ જેકેટ પણ આપવામાં આવ્યા નથી અને પહેલા જે પરિક્રમાર્થી પાસેથી 150 થી 200 રૂપિયા લેવાતા હતા તે 500 રૂપિયા વસુલવામાં આવી રહ્યા છે અને છતા સલામતી કોઈ નથી.
ભરૂચ જિલ્લા કમિટીએ બોટ એજન્સીને મોંઘુ ટેન્ડર ફાળવી દીધુ છે જેના કારણે પરિક્રમાવાસીઓને વધારે પૈસા આપવા પડી રહ્યા છે. કિડીયારાની જેમ માણસોને ભરવામાં આવી રહ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો કોઈ અનિચ્છનિય ઘટના ઘટી તો જવાબદાર કોણ? બોટ માલિકો મનસ્વી રીતે વર્તી રહ્યા છે અને તેના પર કોઈનું કોઈપણ પ્રકારનું નિયંત્ર જોવા નથી મળી રહ્યુ. ત્યારે સવાલ એ છે કે તંત્ર આ બાબતે કેમ કોઈ તકેદારી નથી લઈ રહ્યુ. શું તંત્ર હરણીકાંડને ભૂલી ગયુ છે. આ યાત્રા સાથે હજારો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલ છે ત્યારે તેમની સલામતીનો ઉલાળિયો કરીને માત્ર રૂપિયા કમાવવાનું માધ્યમ બનાવી દેવાયુ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે.
પવિત્ર નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમા કર્યા જેટલુ પૂણ્યફળ પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે. આદી શંકરાચાર્ય દ્વારા રચિ નર્મદાષ્ટકમાં નર્મદા નદી માટે કહેવાયુ છે કે “અલક્ષલક્ષલક્ષપાપ લક્ષ સાર સાયુધં તતસ્તુજીવજન્તુતન્તુ ભુક્તિ મુક્તિ દાયકંમ્” અર્થાત પવિત્ર નદીના દર્શનમાત્રથી ભક્તોના પાપોનો નાશ થાય છે. આવુ ધાર્મિક મહત્વ ધરાવતી પૂણ્ય સલિલા નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા કરવા માટે સાડા ત્રણ હજાર કિલોમીટર જેટલુ અંતર કાપવુ પડે છે. જે ભક્તો આ પરિક્રમાં ન કરી શકે તેઓ નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા કરતા હોય છે. તેના દ્વારા પણ સંપૂર્ણ પરિક્રમા કર્યા જેટલા પૂણ્યની પ્રાપ્તિ થાય છે.
શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે, ત્યારે એ પ્રવાહ ઉત્તરવાહિની તરીકે ઓળખાય છે તથા એ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે, આથી અહીં નર્મદા નદીને ઉત્તરવાહિની કહેવામાં આવે છે. નર્મદા નદી લગભગ છ કિમી સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ માહાત્મય છે, જે કુલ 14 કિ.મી. લાંબી છે.
Published On - 2:38 pm, Mon, 16 March 26