
ભરૂચ : છેલ્લા કેટલાક દિવસોથી પાણીની અછતનો સામનો કરી રહેલા ભરૂચ શહેરના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભરૂચ નગરપાલિકાએ જાહેર કરેલી માહિતી અનુસાર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. હાલ આ પાણી કેનાલ મારફતે આગળ વધી રહ્યું છે અને 20 જૂનથીભરૂચ શહેરના પાણી પુરવઠા માટે જરૂરી જથ્થો ઉપલબ્ધ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મુખ્ય કેનાલમાં પાણીની આવક બંધ રહેવાના કારણે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં પાણીની ઉપલબ્ધિ પર અસર પડી હતી. જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા ઉપલબ્ધ જથ્થાના આધારે શહેરમાં એક સમય પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો હતો. જોકે હવે પરિસ્થિતિમાં સુધારો થયો છે.
નગરપાલિકાના જણાવ્યા મુજબ તા. 20 જૂન, 2026થી શહેરમાં નિયમિત રીતે ફરી બે સમય પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે. જેના કારણે લાંબા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા નાગરિકોને રાહત મળશે. પાલિકાએ જણાવ્યું હતું કે પાણીની ઉપલબ્ધિ સામાન્ય થતાં વિતરણ વ્યવસ્થાને પણ પૂર્વવત કરવામાં આવશે.
આ દરમિયાન નગરપાલિકાએ નાગરિકોને એક મહત્વપૂર્ણ સૂચના પણ આપી છે. મુખ્ય કેનાલમાં અંદાજે 25 દિવસ બાદ પાણી છોડવામાં આવ્યું હોવાથી શરૂઆતના બે દિવસ દરમિયાન પાણી થોડું ડહોળું અથવા કાદવમિશ્રિત આવવાની શક્યતા રહેલી છે. આવી સ્થિતિમાં આરોગ્યની દૃષ્ટિએ જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
પાલિકાએ શહેરજનોને ઘરગથ્થુ સ્તરે ફટકડીનો ઉપયોગ કરીને પાણી શુદ્ધ કરવાની સલાહ આપી છે. ઉપરાંત પીવાના પાણીનો ઉપયોગ કરતા પહેલાં તેને ગાળી અને સારી રીતે ઉકાળી લેવાની પણ અપીલ કરવામાં આવી છે, જેથી પાણીજન્ય રોગોથી બચી શકાય.
ભરૂચ નગરપાલિકાએ નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. પાણીની ઉપલબ્ધિમાં સુધારો થઈ રહ્યો હોવા છતાં પાણીનો બગાડ ટાળવા અને નિયમિત પુરવઠો જળવાઈ રહે તે માટે નાગરિકોના સહયોગની પણ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. નગરપાલિકાના આ નિર્ણયથી આગામી દિવસોમાં ભરૂચ શહેરમાં પાણી પુરવઠાની સ્થિતિ સામાન્ય બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Published On - 11:29 am, Fri, 19 June 26