
ભરૂચ : અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામમાં ગત ૭ જૂનના રોજ એક મોટી દુર્ઘટના સામે આવી હતી. અહીં આશરે ૩૦ વર્ષ જૂની પાણીની ઓવરહેડ ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયત પ્રશાસનની ઘોર લાપરવાહી જગજાહેર થઈ ગઈ છે.
ટાંકી અત્યંત જર્જરિત હોવાની વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં તંત્રએ તેને વહેલી તકે ઉતારી લેવાના બદલે માત્ર સમારકામના નામે ‘થીગડા’ મારવાનું કામ કર્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. હવે આ મામલે કોંગ્રેસે અકસ્માત પહેલાની ટાંકીની જોખમી સ્થિતિના ફોટા જાહેર કરીને સ્થાનિક વહીવટીતંત્ર સામે તીખા પ્રહારો કર્યા છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેવી ભયજનક સ્થિતિમાં હોવાથી વર્ષ 2023માં જ તેને ઉતારી લેવા માટે પંચાયતમાં સત્તાવાર અરજી કરવામાં આવી હતી. પરંતુ, ઊંઘતા તંત્રએ આ સોસાયટીની ખાનગી માલિકીની ટાંકી હોવાનું બહાનું આગળ ધરીને પોતાની જવાબદારીઓમાંથી હાથ અધ્ધર કરી લીધા હતા. એટલું જ નહીં, પંચાયતે રહીશોને પોતાની રીતે જ ટાંકી ઉતારી લેવાનો લેખિત ઠરાવ પણ પકડાવી દીધો હતો. નવાઈની વાત તો એ છે કે, જે ટાંકીને ખાનગી ગણાવાતી હતી તેને જ પાછળથી સરકારી આયોજનમાં નવી બનાવવા માટે મંજૂર પણ કરાઈ હતી. પ્રશ્ન એ થાય છે કે જ્યાં સુધી નવી ટાંકી ન બને ત્યાં સુધી આ બિસ્માર માળખાને ઉતારી લેવાના બદલે પંચાયતે તેના પર માત્ર ઉપરછલ્લું જોખમી સમારકામ કેમ ચાલુ રાખ્યું?
આ ઘટનાને પગલે હવે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના જિલ્લા અગ્રણી શેરખાન પઠાણે અકસ્માત પહેલાના ટાંકીના ભયાનક ફોટા સોશિયલ મીડિયા પર જાહેર કરીને પ્રશાસનને આડે હાથ લીધું છે. શેરખાન પઠાણે સવાલ ઉઠાવ્યો છે કે, જ્યારે ટાંકી આટલી હદે જર્જરિત અને ગમે ત્યારે પડે તેવી હતી, તો તેમાં પાણી ભરીને સમારકામનું નાટક કરવું અને નિર્દોષ લોકોના માથે મોતનું જોખમ ઊભું કરવું કેટલું યોગ્ય? તેમણે આ સમગ્ર લાપરવાહી મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે.
આ અકસ્માતમાં સદનસીબે જાનહાની તો ટળી ગઈ છે પરંતુ ભર ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ટાંકી તૂટી પડતા જ હવે આસપાસના વિસ્તારના 300 થી વધુ મકાનોના રહીશો પાણી વિહોણા બન્યા છે. સ્થાનિકોમાં પીવાના પાણીને લઈને ભારે કટોકટી સર્જાઈ છે. જો કે, પંચાયત તંત્ર હવે બોર કનેક્શન આપવાની અને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વાતો કરી રહ્યું છે પણ જનતામાં એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે… જોખમની પૂરેપૂરી જાણ હોવા છતાં અનદેખી કરનાર તંત્ર સમયસર જાગવાને બદલે હંમેશા કોઈ મોટી દુર્ઘટના કે નિર્દોષોના મોતના પ્રતીક્ષામાં કેમ બેસી રહે છે?
આ પણ વાંચો : રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. અહી ક્લિક કરો