
ભરૂચ ડિવિઝનની પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક (POSB) ના ખાતાધારકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભરૂચની ONGC કોલોની સબ-પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો દ્વારા જમા કરાવવામાં આવેલા ₹2.81 કરોડ કથિત રીતે તેમના ખાતામાં પહોંચ્યા જ નથી. આ નાણાં કર્મચારીઓએ પોતાના અંગત અને આંતરિક ખાતાઓમાં ડાયવર્ટ કર્યા હોવાનો ખુલાસો થયો છે, જે બાદ CBI ગાંધીનગરે 12 કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો છે.
CBIની FIR મુજબ, ઓગસ્ટ 2024 થી ડિસેમ્બર 2025 દરમિયાન આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. મુખ્ય આરોપી અને તત્કાલીન સબ-પોસ્ટમાસ્ટર યાસીન ઘાંચી એ એજન્ટો મારફતે ગ્રાહકો પાસેથી રોકડ અને ચેક મેળવ્યા હતા.
ભરૂચ ડિવિઝનના પોસ્ટ ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટની ફરિયાદ મુજબ, મુખ્યત્વે ‘ટાઇમ ડિપોઝિટ’ સ્કીમ હેઠળના 56 ખાતાઓમાં ગેરરીતિ થઈ છે. કૌભાંડીઓએ સુપરવાઈઝરના આઈડી-પાસવર્ડનો ઉપયોગ કરીને આ ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપી હોવાનું પણ બહાર આવ્યું છે.
ડિસેમ્બર 2025માં આંતરિક તપાસ દરમિયાન ટ્રાન્ઝેક્શનમાં વિસંગતતા દેખાતા આખું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. CBI એ હવે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. તપાસ અધિકારીઓ હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનના પુરાવા અને અન્ય કેટલા ખાતાઓમાં પૈસા ડાયવર્ટ થયા છે તેની વિગતો એકત્ર કરી રહ્યા છે.
જો તમારું ખાતું પણ ભરૂચ ડિવિઝનની પોસ્ટ ઓફિસમાં હોય, તો એકવાર ઓનલાઈન અથવા હેડ ઓફિસ જઈને બેલેન્સની ખરાઈ કરી લેવી હિતાવહ છે.