આવતીકાલે દેવદિવાળી સાથે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ, ગુજરાત કેટલાક મંદિર દર્શન માટે ખુલ્લા રહેશે તો કેટલાક બંધ

ચંદ્ર ગ્રહણથી (lunar eclipse) ધાર્મિક વિધિને પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતો હોવાથી ગુજરાતના કેટલાક મંદિરમાં દર્શન ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો કેટલાક મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આવતીકાલે દેવદિવાળી સાથે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ, ગુજરાત કેટલાક મંદિર દર્શન માટે ખુલ્લા રહેશે તો કેટલાક બંધ
ચંદ્ર ગ્રહણના કારણે મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર
| Edited By: | Updated on: Nov 07, 2022 | 12:17 PM

આગામી 8 નવેમ્બર અટેલે કે આવતીકાલે કારતક સુદ પૂનમને દેવ દિવાળીના રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ છે. આ ચંદ્ર ગ્રહણથી ધાર્મિક વિધિને પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતુ હોવાથી ગુજરાતના કેટલાક મંદિરમાં દર્શન ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો કેટલાક મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે મંદિરનાં દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે આખો દિવસ બંધ રહેવાનું છે. તો અરવલ્લીનું શામળાજી મંદીર ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લુ રહેશે.

અંબાજી મંદિર રહેશે બંધ

સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે 4.00 કલાકે કરાશે. ત્યારબાદ સવારે 6.30 કલાકથી અંબાજી મંદિર બંધ રહેશે અને સવારનાં 06.30 કલાકથી રાત્રીના 9.00 કલાક સુધી મંદિર સદન્તર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. સાંજનાં 6.30 ની આરતી રાત્રિના 9.30 કલાકે થશે. બાદમાં મંદિર મંગળ થશે અને ત્યારબાદ નવ નવેમ્બરથી દર્શન આરતી રાબેતા મુજબ કરાશે.

આવતીકાલે કારતક સુદ પૂનમ અને દેવ દિવાળીના દિવસે ચંદ્રગ્રહણ રહેશે. મંગળવારે આખો દિવસ ચંદ્રગ્રહણનું સૂતક રહેશે. જેને પગલે અંબાજી મંદિરના દર્શન ભક્તો માટે બંધ રહેશે. વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી કરીને 4:30થી 6.30 સુધી મંદિર ખુલ્લુ રહેશે. ત્યારબાદ સવારના 6.30થી રાત્રીના 9.00 વાગ્યા સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે અને રાત્રે 9:30 કલાકે આરતી કરાશે.

શામળાજી મંદિર ખુલ્લુ રહેશે

તો બીજી તરફ ચંદ્રગ્રહણ દરમિયાન રાજ્યમાં એક માત્ર અરવલ્લીનું શામળાજી મંદીર ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લુ રહેશે. ભક્તો ભગવાન સન્મુખ બેસી મંત્ર જાપ કરી શકે તે માટે મંદિર ખુલ્લું રખાશે. ગ્રહણ દરમિયાન મંત્ર જાપનું મહત્વ રહે છે. તો આ તરફ અમદાવાદનું કુમકુમ મંદિર ભક્તો માટે બપોર બાદ બંધ રહેશે. જેથી ભક્તો દર્શન કરી શકશે નહીં.

હિન્દુ પંચાંગ અનુસાર કારતક સુદ પૂર્ણિમાને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા એવી છે કે દેવી અને દેવતાઓ આ દિવાળી ઉજવવા માટે ધરતી પર પધારે છે. પણ, આ વખતે દેવ દિવાળી સંબંધી ખાસ વાત એ છે કે, તે જ દિવસે ચંદ્રગ્રહણ પણ લાગી રહ્યું છે. એટલે કે, વર્ષના અત્યંત શુભ દિવસ પર ગ્રહણ સર્જાઈ રહ્યું છે. ગુજરાતી પંચાંગ અનુસાર આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ છે. ધાર્મિક માન્યતા એવી છે કે આ દિવસે રાહુ અને કેતુનો પ્રકોપ પૃથ્વી પર વધી જાય છે.

ચંદ્ર ગ્રહણ

ભારતીય સમયાનુસાર 8 નવેમ્બરે બપોરે 02:39 કલાકે ગ્રહણનો સ્પર્શ થશે અને સાંજે 06:19 કલાકે તેનો મોક્ષ થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ચંદ્ર ગ્રહણ ભરણી નક્ષત્ર અને મેષ રાશિમાં લાગશે.

તુલસીના પાનનું સેવન

ધર્મ ગ્રંથો અનુસાર, ચંદ્ર ગ્રહણ દરમ્યાન તુલસીના પાનનું સેવન કરવું જોઇએ. તુલસીના પાનને આરોગવું ફાયદાકારક સાબિત થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Published On - 11:49 am, Mon, 7 November 22