બનાસકાંઠામાં (Banaskantha) છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. દાંતીવાડા (DantiWada dam) અને આસપાસનાં વિસ્તારોમાં વરસાદને પગલે દાંતીવડા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ઉતર ગુજરાતની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોને સિંચાઈના માટે ફાયદો થશે. ભારે વરસાદના (heavy rain) પગલે દાંતીવાડા ડેમની સપાટી 587.50 ફૂટ પર પહોંચી છે.
હાલ ડેમમાં 17000 ક્યુસેક પાણીની આવક થઈ છે.ડેમમાં પાણીની આવકના પગલે મુલાકાતીઓ માટે દાંતીવાડા ડેમ બંધ કરવામાં આવ્યો છે.શનિવાર સુધી ડેમ ઓવરફલો (Overflow) થવાની સંભાવનાના પગલે તંત્ર એલર્ટ પર છે.મહત્વનું છે કે ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે.હાલની સ્થિતિ મુજબ વરસાદ થાય તો શુક્રવાર સાંજ સુધીમાં ડેમ ભયજનક સપાટી પર પહોંચી શકે છે.
બનાસકાંઠામાં મુશળધાર વરસાદને પગલે પાલનપુર-આબુ રોડ (Palanpur -Abu) બંધ કરાયો છે. જેમાં નેશનલ હાઇવે ઓથોરિટીને પાણીનો નિકાલ કરવાની સૂચના આપી છે. તેમજ રોડ પર પાણી ભરાતા 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી છે. આ ઉપરાંત બનાસકાંઠાના આબુ પાલનપુર નેશનલ હાઈવેની આસપાસ મસમોટા ખાડા હોવાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.વરસાદના કારણે ખાડામાં પાણી ભરાતા વાહનો પણ ફસાયા છે.કરોડોના ખર્ચે તૈયાર થયેલા નેશનલ હાઇવેની હાલત દયનિય બની છે.નેશનલ ઓથોરિટીને રજૂઆત કરવા છતાં ખાડા પૂરવામાં ન આવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં મેઘતાંડવને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. લાખણી તાલુકાના (lakhani Taluka) નાણી ગામના 50 થી વધુ પરિવારોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા તેમને સ્થળાંતરિત કરવાની ફરજ પડી હતી. છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા વરસાદને (Heavy rain) કારણે સમગ્ર નાણી ગામ એક ટાપુમાં ફેરવાઇ ગયું છે. નાણી ગામને અન્ય ગામો સાથે જોડતા માર્ગો પર પણ 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઇ ગયા છે. જેને કારણે સમગ્ર ગામ સંપર્કવિહોણું બન્યું છે. ત્યારે ગામના સ્થાનિકો પણ આ પરિસ્થિતિમાં સરકાર અસરગ્રસ્તોને સહાય કરે તેવી માગ કરી રહ્યા છે.