ગુજરાતમાં ચોંકાવનારો સાયબર ફ્રોડ, ખેડૂતના બેંક ખાતામાંથી 29 મિનિટમાં ₹9.18 લાખ ઉપડી ગયા

ગુજરાતના વાવ-થરાદ તાલુકાના ફોરણા ગામના ખેડૂત રકમસિંહ વાઘેલા સાથે સાયબર ફ્રોડની ઘટના બની છે. સાયબર ઠગોએ માત્ર 29 મિનિટમાં તેમના બેંક ખાતામાંથી ₹9.18 લાખ ઉપાડી લીધા હતા.

ગુજરાતમાં ચોંકાવનારો સાયબર ફ્રોડ, ખેડૂતના બેંક ખાતામાંથી 29 મિનિટમાં ₹9.18 લાખ ઉપડી ગયા
| Updated on: Sep 05, 2026 | 11:44 AM

ગુજરાતમાં સાયબર ફ્રોડની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ તાલુકાના ફોરણા ગામના એક ખેડૂત રકમસિંહ વાઘેલા સાથે બનેલી ઘટના ચોંકાવનારી છે. સાયબર ઠગોએ તેમની વર્ષોની મહેનત અને બચતમાંથી એકઠા કરેલા ₹9,18,239 રૂપિયા માત્ર 29 મિનિટના ટૂંકા ગાળામાં તેમના બેંક ખાતામાંથી ચાલાકીપૂર્વક ટ્રાન્સફર કરી લીધા હતા. આ ઘટના ડિજિટલ સુરક્ષા સામેના મોટા પડકારને ઉજાગર કરે છે.

રકમસિંહ વાઘેલા એક સામાન્ય ખેડૂત છે. તેઓ ખેતી ઉપરાંત દિયોદર બજારમાં મોબાઈલની દુકાન ચલાવી પરિવારને આર્થિક રીતે મદદ કરે છે. ખેતીની લોન, પાક ધિરાણ અને પરિવારની જવાબદારીઓ વચ્ચે રાત-દિવસ એક કરીને તેમણે એક એક રૂપિયો બચાવ્યો હતો. આ મહેનતથી ભેગા કરેલા પૈસા ઘરે ચોરી થવાના ડરથી તેમણે બેંકમાં સુરક્ષિત રહેશે તેમ માનીને જમા કરાવ્યા હતા. પરંતુ તેમની આ આશા ઠગારી નીવડી.

આ ઘટના 1 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગીને 1 મિનિટે શરૂ થઈ હતી. રકમસિંહના બેંક ખાતામાંથી એક પછી એક ટ્રાન્ઝેક્શન થવા માંડ્યા. લગભગ 30 મિનિટ સુધી ચાલેલા આ સિલસિલામાં કુલ 14 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આ ટ્રાન્ઝેક્શન દ્વારા ₹9,18,239 રૂપિયા બે અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

પૈસા ઉપડી ગયાનો મેસેજ મળતા જ રકમસિંહ ચોંકી ઉઠ્યા. તેમણે તાત્કાલિક બેંકનો સંપર્ક કર્યો. બેંકમાં તેમને જણાવવામાં આવ્યું કે હાલ લાઈટ નથી અને 2 વાગ્યા પછી આવવાનું કહેવામાં આવ્યું. આટલા સમયગાળામાં જ સાયબર ઠગોએ તેમનું બેંક ખાતું લગભગ ખાલી કરી દીધું. જ્યારે તેઓ બેંકે પહોંચ્યા ત્યાં સુધીમાં તેમના ખાતામાંથી ₹9,18,000થી વધુની રકમ ગુમ થઈ ચૂકી હતી. પોતાની મહેનતની કમાણી આ રીતે ગુમાવતા તેઓ ભાંગી પડ્યા હતા.

આ ઘટના બાદ રકમસિંહ વાઘેલાએ તાત્કાલિક દિયોદર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસે અજાણ્યા બે UPI ID સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, તેમણે સાયબર સેલમાં પણ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ, બેંક દ્વારા પણ આ સાયબર ફ્રોડની જાણ થતા રકમસિંહનું ખાતું હાલ પૂરતું સ્ટોપ કરી દેવામાં આવ્યું છે. બેંકના કર્મચારીઓનું કહેવું છે કે તેમણે આ કાર્યવાહી માટે હેડ ઓફિસમાં જાણ કરી દીધી છે અને ત્યાંથી જે પણ જવાબ આવશે, તે રકમસિંહને તાત્કાલિક જણાવવામાં આવશે. જોકે, બેંક તરફથી શરૂઆતમાં અપૂરતો પ્રતિસાદ મળ્યો હોવાના કારણે ખેડૂતે નારાજગી વ્યક્ત કરી હતી, કારણ કે તેમને મહિના પછી આવવાનું કહેવામાં આવ્યું હતું.

આ ઘટના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાના મહત્વ અને ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટેની સાવચેતીઓની જરૂરિયાત પર ભાર મૂકે છે. નિર્દોષ નાગરિકો, ખાસ કરીને મહેનતુ ખેડૂતો કે જેઓ ડિજિટલ વ્યવહારોથી ઓછા પરિચિત હોય છે, તેમને આવા ફ્રોડનો શિકાર બનતા અટકાવવા માટે જાગૃતિ અને સુરક્ષાના પગલાં અત્યંત જરૂરી છે.

ફોનનું સ્પીકર ધીમુ થઇ ગયુ ? સર્વિસ સેન્ટર જતાં પહેલાં અજમાવો આ 5 દેશી જુગાડ !

Follow Us
Loading...
Unable to load recommendations.