
ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રહી રહીને શરૂ થયેલા અનરાધાર વરસાદે પાટણથી બનાસકાંઠા સુધીના અનેક ગામો અને શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ઉત્તર ગુજરાતના જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.
પાટણ શહેરમાં ધોધમાર વરસાદ બાદ નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના મુખ્ય ગરનાળા પણ વરસાદી પાણીથી ભરાઈ જતાં વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી, જેનાથી લોકોને અવરજવરમાં હાલાકી ભોગવવી પડી. પાટણના અનેક રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવ પર સવાલ ઉભા કરે છે.
વાવ-થરાદ જિલ્લાના ભાવરના અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ખારા અને મીઠા ગામના ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના કારણે ખેડૂતોની આકરી મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોએ મોંઘા બિયારણ લાવીને વાવેતર કરેલ મગફળી, જુવાર અને ઘાસચારાનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખારા ગામના સરપંચના દાવા મુજબ, બંને ગામના ખેડૂતોને રૂપિયા 50 લાખથી પણ વધુનું નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરી તેમને સહાય આપવા સરકારને વિનંતી કરી છે.
વાવ-થરાદના સુઈગામમાં પણ ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે. ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક આવેલું નડાબેટનું રણ આખુંય દરિયામાં ફેરવાઈ ગયું છે. જ્યાં અગાઉ સૂકું ભટ્ટ રણ હતું, ત્યાં હાલ દરિયાની જેમ તરંગો સર્જાય છે. જોકે, આ અદભુત દ્રશ્યો જોઈને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે અને આ કુદરતી ઘટના આકર્ષણનું કેન્દ્ર બની છે.
બનાસકાંઠાના ડીસામાંથી પણ જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે. અહીંના કણસારી ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે. વરસાદનો વિરામ હોવા છતાં ખેતરોમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, જેના કારણે પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ભારે વરસાદને કારણે બનાસકાંઠાના અનેક રોડનું ધોવાણ પણ થયું છે. વિઠોદરમાં નવચેતન પ્રાથમિક શાળાએ જવાનો રસ્તો તૂટી પડ્યો છે, જેને કારણે અવરજવર સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે. રસ્તો તૂટતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગામલોકોએ તાત્કાલિક ધોરણે રસ્તો શરૂ કરવાની માંગ કરી છે, કારણ કે દૂધ ભરાવવા જવા અને બાળકોના શાળાએ જવા-આવવામાં ભારે તકલીફ પડી રહી છે.
વરસાદી માહોલમાં પાલનપુરમાં એનએચએઆઈ (NHAI)ની કામગીરીથી લોકો પરેશાનીમાં મુકાયા છે. આબુ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોમાસામાં જ સ્કેલ્પિંગની કામગીરીથી અનેક ખાડા પડ્યા છે. આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોની મુશ્કેલી વધી છે અને અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. ભર ચોમાસે થયેલી આ કામગીરીને લઈને તંત્ર સામે સવાલો ઉઠ્યા છે અને સત્વરે સમારકામ કરાય તેવી માંગ ઉઠી છે.
ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકામાં ભારે વરસાદની શક્યતાને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. એનડીઆરએફ (NDRF) અને એસડીઆરએફ (SDRF)ની ટીમોને તૈનાત કરી દેવાઈ છે, જેથી કોઈ પણ કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય.
IMDની ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો ફરી કહેર વર્તાશે
Published On - 10:26 pm, Sun, 26 July 26