રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની (Rain) આગાહી કરાઈ છે. જે મુજબ મેઘરાજાની કૃપા ગુજરાતના અનેક વિસ્તારમાં ઉતરી રહી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નદી નાળા છલકાવા લાગ્યા છે. બનાસકાંઠામાં (Banaskantha) અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જે પછી વડગામનો પાણીયારી ધોધ (Paniyari Falls) સક્રિય થયો છે. જેને જોવા હવે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.
આગાહી વચ્ચે બનાસકાંઠાના કેટલાક તાલુકામાં વરસાદ વરસ્યો છે. અંબાજીમાં બે દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ પડયો છે. લાખણી, દિયોદર અને કાંકરેજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. તો દિયોદરના જાલોઢા, નરણા, નવાપુરા સહિતના ગામોમાં જયારે કાંકરેજના શિહોરી, કંબોઈ, ઉંબરીના ગામમાં વરસાદ પડયો હતો. રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
બનાસકાંઠાના વડગામમાં ધોધમાર વરસાદના પગલે જીવંત ધોધ થયા છે. પાણીયારી ધોધ સક્રિય થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા પાણીયારી ધોધમાં ભયજનક પાણી આવ્યું છે. ચોમાસામાં દર વર્ષે પાણીયારી ધોધ જોવા અસંખ્ય લોકો આવે છે. જો કે આ વર્ષે આ ધોધે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર પધરામણી કરી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના શહેરોમાં આગામી 24 કલાક ભારે વરસાદ વરસવાની શક્યતા છે. હવામાન વિભાગનું માનીએ તો આવતીકાલ એટલે કે 9મી ઓગસ્ટથી 11મી ઓગસ્ટ સુધી રાજ્યમાં મેઘાવી માહોલ જોવા મળશે. સાથે જ 10મી ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના શહેરોને મેઘરાજા ધમરોળી શકે છે. જ્યારે ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.